Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

સ્થાનિક સરકારે ૬૦ દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો

કોરોના પછી પ્રવાસનને વેગ આપવા થાઈલેન્ડે ૬૦ દિવસની વિઝા-ફ્રી સુવિધા આપી હતી, જેનો ભારતીયોએ ઘણો લાભ લીધો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગ્કોક,તા.૨૩ મે ૨૦૨૬ — ભારતીય પ્રવાસીઓનું ફેવરિટ થાઈલેન્ડ હવે ૯૦થી વધુ દેશો માટેની પોતાની પ્રખ્યાત ૬૦ દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી પોલિસી બંધ કરી રહ્યું છે. આ મોટા નિર્ણયના કારણે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. જો તમે બેંગકોક, પટાયા કે ફુકેટ જવાનું વિચારતા હોવ તો આ અપડેટ ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે હવે પૂરતી તૈયારી વિના લાંબા સમય સુધી થાઈલેન્ડમાં રોકાવું સરળ નહીં રહે.

કોરોના પછી પ્રવાસનને વેગ આપવા થાઈલેન્ડે ૬૦ દિવસની વિઝા-ફ્રી સુવિધા આપી હતી, જેનો ભારતીયોએ ઘણો લાભ લીધો હતો. જોકે, કેટલાક વિદેશી નાગરિકો દ્વારા આ સુવિધાનો દુરુપયોગ કરી ઓવરસ્ટે કરવાના અને ગેરકાયદેસર બિઝનેસ ચલાવવાના કિસ્સા સામે આવ્યા હતા. આથી, સુરક્ષા વધુ ચુસ્ત કરવા અને આવી પ્રવૃત્તિઓ રોકવા થાઈ સરકારે હવે આ કડક પગલું ભર્યું છે.

થાઈ સરકાર હવે જૂના દ્વિપક્ષીય કરારોના આધારે એન્ટ્રી નિયમો નક્કી કરશે, જેથી ભારતીયો માટે વિઝા-ફ્રી સ્ટે ૬૦ દિવસથી ઘટીને ફરી ૩૦ દિવસનો થઈ શકે છે. જોકે, જરૂર પડ્યે થાઈ ઇમિગ્રેશન વિભાગમાંથી જરૂરી ફી અને દસ્તાવેજો દ્વારા વધુ ૩૦ દિવસનું એક્સ્ટેન્શન મેળવી શકાશે. આ માટે વિઝા પોલિસી કમિટી દરેક દેશની સ્થિતિની અલગથી સમીક્ષા કરશે.

થાઈલેન્ડે ઓવરસ્ટે અને ગેરકાયદે બિઝનેસ રોકવા ઇમિગ્રેશન સિસ્ટમને સંપૂર્ણ ડિજિટલ કરી ‘Thailand Digital Arrival Card’ સિસ્ટમ લાગુ કરી છે. આ પેપરલેસ સિસ્ટમથી પ્રવાસીઓનો તમામ રેકોર્ડ ઓનલાઇન રહેશે, જેથી એરપોર્ટ પર પ્રક્રિયા ઝડપી બનશે અને વારંવાર એન્ટ્રી લેતા લોકોની સરળ ઓળખ થતાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થશે.

થાઈલેન્ડની અર્થવ્યવસ્થા પર્યટન પર નિર્ભર હોવાથી આ નિર્ણય આશ્ચર્યજનક છે. જોકે, મોટાભાગના ભારતીયો ૭થી ૧૫ દિવસની ટૂંકી ટ્રિપ પર જતા હોવાથી સામાન્ય પ્રવાસીઓ પર આની મોટી અસર નહીં થાય, પણ તેમણે પ્લાનિંગ સાવચેતીપૂર્વક કરવું પડશે. માત્ર ડિજિટલ નોમેડ્‌સ અને લાંબા વેકેશનવાળા લોકોએ નવા નિયમો મુજબ તૈયારી રાખવી પડશે. નિયમો કડક થયા છે પણ ભારતીયો માટે થાઈલેન્ડ જવાના દરવાજા બંધ નથી થયા.

Related posts

‘દીદી, તમે હાર્યા નથી’ અખિલેશે મમતા બેનરજીને આપી સાંત્વના

Master Admin

દેશભરના રાશનકાર્ડ ધારકોના હિતમાં કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

Master Admin

બે રાજ્યોમાંથી ૮ શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા

Master Admin

Leave a Comment

Translate »