ફરી એકવાર વિવાદિત નિવેદનઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહે સાણંદ દારુ પાર્ટીની ઘટનાને લઇને કેટલાક વેઘક સવાલો સરકાર સામે કર્યાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૭ ફેબ્રુઆરી ૨૦૨૬: સાણંદમાં દારૂની પાર્ટી પર થયેલી પોલીસની કાર્યવાહીને લઇને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર દારૂબંધીને લઇને પોતાના મંતવ્ય રજૂ કરતા દારુ પરનો રાજ્ય પરથી પ્રતિબંઘ હટાવવા માટે સરકારને હાકલ કરી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં દારુ પર પ્રતિબંધનો કાયદો સંપૂર્ણપણે અમલી થાય તેવો વ્યવહારૂ નથી. તો સરકારે આ નોંટંકી બંધ કરવી જોઇએ, તેમણે વધુમાં એમ પણ જણાવ્ચું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં દારૂબંધ હટાવવાની જાહેરાત કરનાર પાર્ટીને જ જનતાએ વોટ આપવો જોઇએ. આવા કાયદાના કારણે સારા પરિવારના યુવક યુવતીઓ બદનામ થવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
શંકરસિંહ વાઘેલાના નિવેદનના મુખ્ય અંશ નીચે મુજબ છેઃ
યુવા પેઢી પર અસરઃ તેમણે દાવો કર્યો છે કે, દારૂબંધીને કારણે રાજ્યની યુવા પેઢી હવે ગુટખા અને અન્ય ખતરનાક નશાકારક પદાર્થો (ડ્રગ્સ) તરફ વળી રહી છે.
ભ્રષ્ટાચારનો આરોપઃ શંકરસિંહ વાઘેલાએ અગાઉ પણ કહ્યું છે કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને તે ભ્રષ્ટાચારનું મોટું સાધન બની ગઈ છે. તેમના મતે, દારૂ પર પ્રતિબંધ હોવાછતાં પણ દારૂ ગમે ત્યાં ઉપલબ્ધ છે.
આર્થિક ફાયદોઃ પૂર્વ મુખ્યમંત્રીનું કહેવું છે કે, જો દારૂબંધી હટાવવામાં આવે તો સરકારને મોટી આવક થઈ શકે છે, જેનો ઉપયોગ વિદ્યાર્થીઓના શિક્ષણ અને કલ્યાણકારી યોજનાઓ પાછળ કરી શકાય.
શંકર સિંહ વાઘેલાએ એમ પણ જણાવ્યું હતું કે મોટાભાગના ગુજરાતીઓ આ ખોટી નીતિની વિરુદ્ધમાં છે અને હવે સમય આવી ગયો છે કે આ પ્રતિબંધને જડમૂળથી દૂર કરવામાં આવે.
આ પહેલા પણ શંકરસિંહ વાઘેલાએ દારૂબંધીને લઇને વિવાદિત નિવેદન કર્યું હતું. શંકરસિંહ વાઘેલાએ વર્ષ ૨૦૨૦માં સ્થાપેલી તેમની પ્રજાશક્તિ ડેમૉક્રૅટિક પાર્ટીમાં ફરીથી પ્રાણ ફૂંકવાની જાહેરાત કરતા બનાસકાંઠાના પાલનપુર ખાતે પાર્ટીની બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે ગુજરાતમાં દારૂબંધી હટાવવા અંગે નિવેદન આપ્યું હતું.પૂર્વ મુખ્યમંત્રી વાઘેલાએ બનાસકાંઠામાં પાર્ટીના કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં દારૂ સંબંધિત નિવેદન આપ્યું છે.શંકરસિંહ વાઘેલાનું કહ્યું હતું કે, રાજ્યોમાં દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે અને દારૂબંધી જેવુ કશું જ રહ્યું નથી. ત્યારે હવે ગાંધીના ગુજરાતમાં સારી ક્વોલિટીવાળો દારૂ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ગુજરાતમાં સૌ કોઈ જાણે છે કે દારૂબંધી માત્ર સરકારના ચોપડે છે.ત્યારે આસપાસના રાજ્યોમાંથી દારૂની ધૂમ હેરાફેરી થાય છે અને ગુજરાતમાં દારૂ પીવાય છે

