વાનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો
નશામાં ધૂત ચાલકે કચરો કલેક્ટ કરતી વાન પુરઝડપે ચલાવી બે નિર્દોષ વિદ્યાર્થિનીઓનો ભોગ લેવાનો પ્રયાસ કર્યો હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૬ ફેબ્રુઆરી ૨૦૨૬: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં બે દિવસ પૂર્વે સર્જાયેલા ભયાનક અકસ્માત મામલે ’ૈં’ ટ્રાફિક પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપી ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. નશામાં ધૂત ચાલકે કચરો કલેક્ટ કરતી વાન પુરઝડપે ચલાવી બે નિર્દોષ વિદ્યાર્થિનીઓનો ભોગ લેવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ તે ફરાર થઈ ગયો હતો.
વસ્ત્રાલના પ્રણામી બંગલોઝ પાસે આ અકસ્માત તે સમયે સર્જાયો હતો, જ્યારે બે વિદ્યાર્થિનીઓ રસ્તો ઓળંગી રહી હતી અથવા પસાર થઈ રહી હતી. તે સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીમાં જોડાયેલી કચરો કલેક્શન કરવાની વાનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વાન એટલી પુરઝડપે હતી કે, વિદ્યાર્થિનીઓને બચવાની તક પણ મળી ન હતી. આ ટક્કર બાદ બંને વિદ્યાર્થિનીઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, અકસ્માત સમયે વાન ચાલક દારૂના નશામાં સંપૂર્ણપણે ચકચૂર હતો. નશાની હાલતમાં જાહેર માર્ગ પર જોખમી રીતે ગાડી ચલાવી તેણે આ જીવલેણ અકસ્માત સર્જ્યો હતો.
ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીને દબોચી લીધો છે. ’ૈં’ ટ્રાફિક પોલીસે આરોપી વિરૂદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ ગંભીર અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે વસ્ત્રાલના સ્થાનિક રહીશોમાં નશાખોર ડ્રાઈવરો અને બેફામ દોડતી અમદાવાદ મનપાની વાન સામે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી તેની વધુ પૂછપરછ શરૂ કરી છે.

