- આવું બિલકુલ નહીં ચલાવી લઉં : ઝ્રસ્ ભુપેન્દ્ર પટેલ
- માંડવી પોલીસ મથકે જવાબદાર કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત, તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૬ – સુરતના કામરેજ તાલુકામાં બનેલી એક ગંભીર દુર્ઘટનાના પડઘા આજે ગાંધીનગર કેબિનેટ બેઠકમાં પડ્યા છે. ગાયપગલા (તડકેશ્વર) ગામમાં ૨૧ કરોડના ખર્ચે બનેલી પાણીની મસમોટી ટાંકી ટ્રાયલ દરમિયાન જ પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આકરા તેવર અપનાવ્યા છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, વિકાસના કામોમાં આવી બેદરકારી કે નબળી કામગીરી લેશમાત્ર ચલાવી લેવામાં આવશે નહીં.
કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને બોલાવીને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “જનતાના પૈસાનો આ રીતે વ્યય અને લોકોના જીવ જોખમમાં મૂકતી કામગીરી સાંખી લેવાય નહીં.” આ દરમિયાન મુખ્ય સચિવ એમ.કે. દાસે મુખ્યમંત્રીને અવગત કર્યા હતા કે ઘટનાની ગંભીરતા જોતા જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
માત્ર સસ્પેન્શન જ નહીં, પરંતુ આ મામલે હવે કાયદાકીય શિકંજો પણ કસાયો છે. માંડવી પોલીસ મથકે જવાબદાર કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરો સામે સરકારી નાણાંની ઉચાપત, છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મે. જયંતી સુપર કન્સ્ટ્રક્શન પ્રા. લિ., મહેસાણા (કોન્ટ્રાક્ટર એજન્સી), બાબુભાઈ અંબાલાલ પટેલ (મહેસાણા), પી.એમ.સી. એજન્સી માર્સ અને પ્લાનિંગ પ્રો. પ્રા. લિ., અમદાવાદ (ટીમ લીડર અને સાઈટ એન્જિનિયર), જય એસ. ચૌધરી (નાયબ કાર્યપાલક ઈજનેર, પાણી પુરવઠા બોર્ડ) અને અંકિત પી. ગરાસિયા (કાર્યપાલક ઈજનેર, પાણી પુરવઠા બોર્ડ) સુરતના કામરેજમાં ૨૧ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યારે ટાંકીમાં પાણી ભરીને તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે જ આખી સંરચના લોંદાની જેમ જમીનદોસ્ત થઈ ગઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ મજૂરોને પહોંચેલી ઈજાઓ અને સરકારી મિલકતના નુકસાન અંગે મ્દ્ગજી ની કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે.
નાયબ કાર્યપાલક એન્જિનિયર જય ચૌધરી અને તત્કાલીન કાર્યપાલક એન્જિનિયર રજનીકાંત ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. ટાંકી બનાવનાર એજન્સીના તમામ બાકી ચૂકવણાઓ પર સરકારે રોક લગાવી દીધી છે. સમગ્ર પ્રોજેક્ટમાં વપરાયેલ મટીરિયલ અને ડિઝાઇનની ખામી તપાસવા માટે ઉચ્ચ સ્તરીય ખાતાકીય તપાસના આદેશ અપાયા છે.

