પૂજ્ય મોરારી બાપૂએ તલગાજરડામાં મત આપીને લોકશાહીના પર્વમાં ભાગ લીધો

 

 

તલગાજરડાઃ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂએ આજે ભાવનગર જિલ્લામાં તલગાજરડામાં મતદાન મથક ઉપર લોકસભાની ચૂંટણીઓ માટે મત આપીને લોકતાંત્રિક પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા નિભાવી હતી.

કરોડો નાગરિકો સાથે પૂજ્ય બાપૂએ પણ ખૂબજ ઉત્સાહપૂર્વક તેમના લોકતાંત્રિક હકનો ઉપયોગ કર્યો હતો તથા ભારપૂર્વક સંદેશો આપ્યો હતો કે મત આપવો મૂળભૂત અધિકાર નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે દરેક વ્યક્તિની જવાબદારી પણ છે. તેમણે મોટાપાયે મતદાન માટે લોકોને અપીલ કરી હતી.

મત આપ્યાં બાદ પત્રકારો સાથે વાત કરતાં પૂજ્ય બાપૂએ ચૂંટણીઓમાં વ્યાપક સહભાગીતા માટે આહવાન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે. આજે ગુજરાત અને બીજા રાજ્યોમાં મતદાન ચાલી રહ્યું છે. એક નાગરિક તરીકે મેં મત આપવાની મારી જવાબદારી નિભાવી છે. મેં ભૂતકાળમાં પણ અપીલ કરી હતી અને આજે ફરી એકવાર દરેક નાગરિકને મતદાન કરવા અપીલ કરું છું, જેથી દેશના ભવિષ્યના ઘડતરમાં યોગદાન આપી શકાય.

પૂજ્ય બાપૂએ 7 મેના રોજ બીજા કોઇ કાર્યક્રમ રાખ્યાં નથી તથા લોકશાહીના પર્વમાં ભાગ લેવાને પ્રાથમિકતા આપી છે. તેમણે મતદાન પ્રક્રિયામાં ભાગ લઇને તેમની જવાબદારી નિભાવી છે તથા કરોડો લોકોને પ્રેરણા પણ આપી છે.

પૂજ્ય બાપૂએ પ્રભુ શ્રીરામ અને રામચરિત માનસના ઉપદેશોના પ્રસારમાં તેમનું જીવન સમર્પિત કર્યું છે. જોકે, લોકોના આધ્યામિક ઉત્કર્ષ ઉપરાંત તેમણે જનતાને વિવિધ પ્રકારે પ્રોત્સાહિત પણ કરી છે.