- પ્રેમસંબંધ, આર્થિક સંકટ અને તણાવ મુખ્ય કારણ
- ત્રણ વર્ષમાં ૨૫,૪૭૮ લોકોએ આત્મહત્યા કરી છે જેમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં સૌથી વધુ આપઘાતના કિસ્સા નોંધાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૪ જાન્યુઆરી ૨૦૨૬: એક બાજુ, ગુજરાતમાં વિકાસનું ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવેલી છે ત્યારે બીજી બાજુ, દેવું, આર્થિક સંકડામણને કારણે લોકો પરિવાર સાથે જીવન લીલા સંકેલવા મજબૂર બન્યાં છે. છેલ્લાં બે વર્ષમાં ૪૨ પરિવારો એ સામૂહિક આત્મહત્યા કરી છે. ચિંતાજનક બાબતો એ છે કે, ગુજરાતમાં રોજ સરેરાશ ૨૫ લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવી રહ્યા છે. કારમી મોઘવારીમાં જીવનનિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યાં છે. બેરોજગારી અનેઆર્થિક સંકડામણના કારણે ગુજરાતમાં આત્મહત્યા અને સામૂહિક આત્મહત્યાનાકિસ્સા ચિંતાજનક હદે વધી રહ્યાં છે. ત્રણ વર્ષમાં ૨૫,૪૭૮ લોકોએ આત્મહત્યા કરી છે જેમાં અમદાવાદ, સુરત, રાજકોટમાં સૌથી વધુ આપઘાતના કિસ્સા નોંધાયા છે. ંછેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં ૯,૦૦૦ લોકોએ આત્મહત્યા કરી હતી. નેશનલ ક્રાઈમ રેકોડ્ર્સ બ્યુરોના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૩માં આત્મહત્યા કરનારાઓમાં ૬,૨૬૦ પુરુષો, ૨,૬૮૫ મહિલાઓ અને ૩ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ગરીબીના કારણે ૬૭ લોકોએ આત્મહત્યા કરી, બેરોજગારી ૨૦૭ આત્મહત્યાઓનું કારણ બની હતી. આત્મહત્યાનું મુખ્ય કારણ બીમારી પણ બની છે, સરેરાશ દરરોજ પાંચ લોકો બીમારીને કારણે આત્મહત્યા કરે છે. આ ઉપરાંત પ્રેમ સંબંધ, આર્થિક સંકટ, બીમારી, માનસિક તણાવ પણ મુખ્ય પરિબળ છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાઓમાં વધારો થયો છે. છેલ્લાં ૩ વર્ષમાં ૪૯૫ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ ઉપરાંત મજૂરોમાં આત્મહત્યાઓમાં ૫૦ ટકાનો વધારો થયો છે, જેનું મુખ્ય કારણ ઓછા વેતન અને સામાજિક સુરક્ષાનો અભાવ છે. આમ ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.ગુજરાતના પોલીસના માનસિક સ્વાસ્થ્ય અને કામના ભારણ સામે સવાલો ઉભા થયા છે કેમકે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં ત્રણ પોલીસ કર્મચારીઓએ આત્મહત્યા કરી છે. ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જ્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહે ઝેરી દવા ગટગટાવી જીવન લીલા સંકેલી લીધી હતી. ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં પણ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભરૂચમાં મહિલા પોલીસકર્મીએ રૂમમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. આમ સરકારી નોકરીયાતો પણ કામના કારણે આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે.

