ટ્રેડ ડીલ પર બોલ્યા શિવસેના (યુટીબી) સાંસદ સંજય રાઉત
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથે જે ટ્રેડ ડીલ થઈ છે, જેનાથી આપણા દેશને લગભગ અમેરિકાના ચરણોમાં સમર્પિત કરી દીધો છે : સાંસદ સંજય રાઉત
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૪ ફેબ્રુઆરી ૨૦૨૬: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે સવાલ ઉઠાવ્યા છે. સંજય રાઉતે કહ્યું કે, આ ડીલ હેઠળ અમેરિકાએ ભારતને ખરીદી લીધું છે. આ સાથે જ તેમણે કેન્દ્રીય મંત્રીઓ પર જૂઠું બોલવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, સરકારના લોકોને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. અને સરકાર બ્લેકમેલ થઈ ગઈ.
સંજય રાઉતે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું કે, આ દેશના તમામ કેન્દ્રીય મંત્રીઓ જૂઠું બોલી રહ્યા છે. જ્યારે પત્રકારોએ ટ્રેડ ડીલ પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નિવેદનનો ઉલ્લેખ કર્યો ત્યારે સંજય રાઉત ભડકી ગયા અને કહ્યું કે, પીયૂષ ગોયલ જૂઠું બોલી રહ્યા છે અને આ દેશના તમામ કેન્દ્રીય મંત્રીઓ જૂઠું બોલી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથે જે ટ્રેડ ડીલ થઈ છે, જેનાથી આપણા દેશને લગભગ અમેરિકાના ચરણોમાં સમર્પિત કરી દીધો છે. અમેરકાએ આપણને ખરીદી લીધા છે. કહી રહ્યા છે કે, આ ખૂબ મોટો વિજય છે. કયો વિજય ભાઈ? તમે જણાવો. તમે આખા દેશમાં જશ્ન મનાવવાની વાત કરી રહ્યા છે. સંજય રાઉતે આગળ કહ્યું કે, ભારતે આજે પણ મોટો ટેરિફ ચૂકવવો પડી રહ્યો છે. રાજ્યસભા સાંસદે કહ્યું કે, ૧૮% ટેરિફ આજે પણ કાયમ છે, જે પહેલા લગભગ ૩% હતો. તેમ છતાં અમેરિકાના જે કૃષિ ઉત્પાદનો છે તે ઝીરો ટેરિફ પર ભારતના બજારમાં આવી જશે. જેમાં બધા અનાજ, ફૂલ, ફળ, દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ હશે. આપણા ખેડૂતો લોહી-પરસેવો પાડીને જે માલ બનાવે છે, તેનાથી ઓછા ભાવમાં અમેરિકા પોતાનો માલ વેચશે. તો શું આપણા ખેડૂતો આત્મહત્યા કરશે? સંજય રાઉતે કહ્યું કે, કોઈ એક રહસ્યમયી રીતે અમારી સરકારને અમેરિકા દ્વારા બલેકમેલ કરવામાં આવી રહી છે. તે શું છે? જેમ કે કાલે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, એપ્સ્ટીન ફાઈલ્સ બાદ જે ટ્રેડ ડીલ અટકી હતી તેના પર હસ્તાક્ષર થઈ ગયા. તે ફાઈલની વિગતો આવવાની બાકી છે. તાત્કાલિક હસ્તાક્ષર થઈ ગયા. બ્રિટિશ જ્યારે અહીં આવ્યા હતા ત્યારે ટ્રેડ કરવા આવ્યા હતા અને ગુલામ બની ગયા. હવે આજે અહીંના સત્તાધિકારીઓએ પોતે અમેરિકાના ચરણોમાં જઈને આપણને ગુલામ બનાવ્યા કે, અમારી ફાઈલ ન ખોલો. આ દેશ માટે ખૂબ જ ખતરનાક છે. મોદી સરકારે દેશને લગભગ વેચી દીધો છે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે મંગળવારે કહ્યું કે ભારતે અમેરિકા સાથે સારા વેપાર સોદા પર સંમતિ દર્શાવી છે અને કૃષિ અને ડેરી ક્ષેત્રોના હિત સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. અમેરિકા સાથેના કરારની વિગતો આપ્યા વિના ગોયલે કહ્યું કે, વેપાર કરાર અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં ભારત-અમેરિકા દ્વારા સંયુક્ત નિવેદન જારી કરવામાં આવશે. જેમાં કરારની રૂપરેખા સ્પષ્ટ કરવામાં આવશે.

