ભાજપ લીડરોને તોડવાનો પ્રયત્ન કરે છે : ઈસુદાન ગઢવી
કરપડાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬: ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું છે. આમ આદમી પાર્ટીના કિસાન મોરચા પ્રમુખ રાજુ કરપડાએ રાજીનામું ધરી દીધુ છે. ગુજરાતમાં જ્યારે વિધાનસભા ચૂંટણીને હવે બે વર્ષ જેટલો સમય છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ઝટકો ગણી શકાય. રાજુ કરપડાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
અત્રે જણાવવાનું કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાં એક સક્રિય નેતા હતા અને ખેડૂતોના મુદ્દાઓ પર તેઓ ખુબ ફોકસ કરતા હતા. રાજુ કરપડા ૨૦૨૨માં ચોટીલા બેઠકથી ચૂંટણી લડ્યા હતા. ખેડૂતલક્ષી મુદ્દાઓનું તેઓ નેતૃત્વ કરતા હતા અને આમ આદમી પાર્ટીમાં પણ દિગ્ગજ નેતા તરીકે તેમની ગણતરી થતી હતી. સુરેન્દ્રનગરના રાજકારણનો ચર્ચિત ચહેરો એવા રાજુ કરપડા વર્ષ ૨૦૨૧-૨૨માં આપમાં જોડાયા હતા અને એક સક્રિય નેતા હતા. વિવિધ જવાબદારીઓ પણ તેઓ સંભાળતા હતા. અચાનક તેમણે રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત ફતેહ કરવાના અભિયાનમાં સૌરાષ્ટ્ર અતિ મહત્વનું છે અને સૌરાષ્ટ્રના દિગ્ગજ ખેડૂત નેતાના રાજીનામાથી પાર્ટીને મોટો ઝટકો મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એવું પણ કહેવાય છે કે તેઓ ગોપાલ ઈટાલિયાથી નારાજ હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્રમાં રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, “હું આજથી, ૧૧/૦૨/૨૦૨૬ થી આમ આદમી પાર્ટીમાં મારા તમામ હોદ્દા અને જવાબદારીઓ પરથી રાજીનામું આપું છું. વ્યક્તિગત કારણોસર, મારા માટે મારી વર્તમાન ફરજો ચાલુ રાખવી શક્ય નથી. પાર્ટીએ મને આપેલી તક, આદર અને સમર્થન માટે હું ખૂબ આભારી છું. કૃપા કરીને મારું રાજીનામું સ્વીકારો.”રાજુ કરપડાએ વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે વ્યક્તિગત કારણોના પગલે મારા માટે વર્તમાન જવાબદારીઓ નિભાવવી શક્ય નથી. પાર્ટીએ મને જે તક, સન્માન અને સહયોગ આપ્યો તેના માટે હુ હ્રદયપૂર્વક આભારી છું.

