તંત્રીની કલમે….
ગુજરાતની રમતગમતની દુનિયામાં બરોડા ક્રિકેટ એસોસિએશન એટલે કે બીસીએ હંમેશાથી એક આગવું સ્થાન ધરાવે છે. વડોદરાની ધરતીએ દેશને અનેક દિગ્ગજ ક્રિકેટરો આપ્યા છે, પરંતુ કમનસીબે છેલ્લા કેટલાક સમયથી આ સંસ્થા રમત કરતાં વિવાદો અને વહીવટી ખેંચતાણને કારણે વધુ ચર્ચામાં રહેતી હોય તેવું જણાય છે. હાલમાં જ ગુજરાત હાઈકોર્ટે બીસીએની આગામી ચૂંટણી સંદર્ભે જે આકરો અને સ્પષ્ટ ચુકાદો આપ્યો છે, તેણે માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર દેશના રમતગમત વહીવટદારો માટે એક મહત્વનો સંકેત આપ્યો છે. પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર મુખ્ય ઉમેદવારોને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવાનો હાઈકોર્ટનો નિર્ણય એ બાબતની સાબિતી છે કે નિયમોની ઉપર કોઈ હોઈ શકે નહીં, પછી ભલે તે વ્યક્તિ ગમે તેટલી પ્રતિષ્ઠિત કે લોકપ્રિય કેમ ન હોય.
રમતગમતના સંગઠનોમાં જ્યારે સત્તાનું રાજકારણ રમતની ભાવના પર હાવી થવા લાગે છે ત્યારે ન્યાયતંત્રનો હસ્તક્ષેપ અનિવાર્ય બની જતો હોય છે. કિરણ મોરે જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ખેલાડીનું નામ જ્યારે અયોગ્યતાની યાદીમાં આવે ત્યારે સ્વાભાવિક રીતે જ આશ્ચર્ય થાય, પરંતુ કાયદાકીય દ્રષ્ટિએ જોતાં એ સ્પષ્ટ થાય છે કે સંસ્થાના બંધારણ અને સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા લોઢા સમિતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન કરવું દરેક માટે ફરજિયાત છે. હાઈકોર્ટે આ ચુકાદા દ્વારા એ સ્પષ્ટ કર્યું છે કે વહીવટી પદો માટેની પાત્રતાના જે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે તેમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. આ પ્રકારની કડક ન્યાયિક સમીક્ષા રમતગમત સંગઠનોમાં પ્રવેશી ગયેલી ભાઈ-ભત્રીજાવાદની સંસ્કૃતિ અને હિતોના ટકરાવ જેવી બાબતોને ડામવા માટે અત્યંત જરૂરી છે.
બીસીએમાં વર્ષોથી ચાલતી જૂથબંધી અને કાયદાકીય લડાઈઓએ વડોદરાના ક્રિકેટના વિકાસને ક્યાંક ને ક્યાંક અવરોધ્યો છે. જ્યારે સક્ષમ વહીવટદારો અને ભૂતપૂર્વ ખેલાડીઓ મેદાન પર ધ્યાન આપવાને બદલે અદાલતોના ચક્કર કાપતા હોય ત્યારે નુકસાન તો અંતે ક્રિકેટ અને ઉભરતા ખેલાડીઓને જ થાય છે. હાઈકોર્ટનો આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે બીસીએમાં પરિવર્તનની લહેરની અપેક્ષા રાખવામાં આવતી હતી. ચાર ઉમેદવારોની અયોગ્યતા બાદ હવે ચૂંટણીનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને સ્પોટ્ર્સ પોલિટિક્સમાં એક નવો વળાંક આવ્યો છે. આ ચુકાદો એ પણ સૂચવે છે કે હવે માત્ર ખેલાડી તરીકેનું કદ સત્તા મેળવવા માટે પૂરતું નથી, પરંતુ વહીવટી શુદ્ધિ અને નિયમબદ્ધતા અનિવાર્ય શરત બની ગઈ છે. આગામી દિવસોમાં બીસીએની આ ચૂંટણીના પરિણામો જે પણ આવે, પરંતુ ન્યાયિક પ્રક્રિયાએ એ સુનિશ્ચિત કર્યું છે કે લોકશાહી ઢબે થતી ચૂંટણીમાં પારદર્શકતા જળવાઈ રહે. રમતગમતની સંસ્થાઓમાં વહીવટ એ કોઈની ખાનગી મિલકત નથી પરંતુ એક જાહેર ટ્રસ્ટ છે, જેનું સંચાલન સંપૂર્ણપણે નૈતિકતા અને નિયમોના દાયરામાં રહીને થવું જોઈએ. ગુજરાત હાઈકોર્ટના આ સીમાચિહ્નરૂપ ચુકાદાથી અન્ય રમત સંગઠનોએ પણ પાઠ શીખવાની જરૂર છે. જો રમતગમતના વહીવટમાં સુધારો લાવવો હશે તો વ્યક્તિગત હિતોને બાજુ પર મૂકીને સંસ્થાકીય ગરિમાને પ્રાથમિકતા આપવી પડશે. આ નિર્ણયથી ભલે અત્યારે રાજકીય સમીકરણો હચમચી
ગયા હોય, પણ લાંબે ગાળે આનાથી ક્રિકેટ વહીવટમાં ચોક્કસપણે શુદ્ધિકરણ આવશે અને રમતનો જ વિજય થશે.
નરેન્દ્ર જોષી

