શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શંકા
આગ ફેબ્રિકેશનના કારણે લાગી હશે, વધુ પડતા ધુમાડાને કારણે વેન્ટિલેશનનું કામ કરવામાં આવ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬: અમદાવાદમાં ઇસ્કોન મંદિર પાસે આવેલા વ્હીલચેર વેરહાઉસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા ઊડ્યાં હતા ત્યારબાદ ફાયર વિભાગની ૮ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ ફેબ્રિકેશનના કારણે લાગી હોવાનો અંદાજ છે. છેલ્લા પાંચ વર્ષથી અહીં વ્હીલચેર રાખવામાં આવી રહી છે.
જોકે આ સમગ્ર ઘટના ક્રમમા કોઈને ઈજા થઈ નથી. ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ૪૦ લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ જગ્યા પર વ્હીલચેર બનાવવા માટે ફેબ્રિકેશનનું કામ ચાલી રહ્યું હતું. પ્રારંભિક તપાસમાં એવું જણાય છે કે આગ ફેબ્રિકેશનના કારણે લાગી હશે.
વધુ પડતા ધુમાડાને કારણે વેન્ટિલેશનનું કામ કરવામાં આવ્યું હતું.
આ પહેલા અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ફ્લિપકાર્ટના વેરહાઉસ માં અચાનક ભયાનક આગ લાગવાની ઘટના બની હતી.ચાંદખેડા ગામ નજીક આવેલ આ વેરહાઉસમાંથી ઊંડા કાળા ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો.આગની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર ટીમે તરત જ આગ ને કાબૂમાં લાવવાના સતત પ્રયાસો શરૂ કર્યા હતા. ફાયર વિભાગના અધિકારીઓ અનુસાર, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. અધિકારીઓએ શોર્ટ સર્કિટ, ઇલેક્ટ્રિકલ ફોલ્ટ કે અન્ય કોઈ કારણ હોવાની શક્યતા વ્યક્ત કરી હતી.

