વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચંદીગઢ, તા.૯ ફેબ્રુઆરી ૨૦૨૬: પંજાબના તરન તારન જિલ્લામાંથી સોમવારે હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે. જેમાં ઉસમા ખાતે આવેલી લો કોલેજમાં એક વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને માથામાં ગોળી મારીને હત્યા કરી નાખી અને સેકન્ડમાં જ પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ કોલેજ પરિસરમાં હડકંપ મચી ગયો છે અને વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
મૃતકની ઓળખ સંદીપ કૌર તરીકે થઈ છે, જ્યારે હુમલો કરનાર વિદ્યાર્થીની ઓળખ પ્રિન્સ રાજ તરીકે થઈ છે.
ઘટનાના CCTV ફૂટેજ અનુસાર, પ્રિન્સ રાજ ક્લાસરૂમમાં પ્રવેશ કરે છે અને ત્યાં બેઠેલી સંદીપ કૌરના માથામાં ખૂબ જ નજીકથી ગોળી મારી દે છે. તરત જ તે ફરીથી પિસ્તોલ લોડ કરે છે અને પોતાના માથામાં ગોળી મારીને ત્યાં જ પડી જાય છે. બંનેનું કોલેજમાં જ મોત થઈ જાય છે.
DSP જગબીર સિંહે જણાવ્યું કે, ’માઈ ભાગો લો કોલેજ’માં આ ઘટના બની છે. જેમાં એક વિદ્યાર્થીએ પોતાની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લીધો છે. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કોલેજના ક્લાસરૂમમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થિને ગોળી મારી દેતા સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે, એક વિદ્યાર્થી કોલેજની અંદર પિસ્તોલ લઈને કેવી રીતે પ્રવેશ કરી શક્યો? હાલમાં પોલીસ એ બાબતની તપાસ કરી રહી છે કે પ્રિન્સ રાજે આટલું ભયાનક પગલું કેમ ભર્યું? શું આ કિસ્સો એકતરફી પ્રેમનો હતો કે કોઈ બીજી બાબત હતી? પોલીસ પરિવારજનો અને સાથે ભણતા વિદ્યાર્થીઓની પૂછપરછ કરી રહી છે.

