વિધાનસભામાં મુદ્દો ઉઠ્યો
બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ૧૧૪૦ ઓરડાની ઘટ છે, જ્યારે માધ્યમિક શાળાઓમાં ૬૨ ઓરડાની અછત નોંધાઈ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા,તા.૧૭ માર્ચ ૨૦૨૬ –– ગુજરાતમાં સરકારી શાળાઓમાં વર્ગખંડોની અછતનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના સવાલના જવાબમાં શિક્ષણ વિભાગે લેખિત માહિતી આપી, જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે.ગુજરાત પ્રવાસ ગાઈડ
વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ૧૧૪૦ ઓરડાની ઘટ છે, જ્યારે માધ્યમિક શાળાઓમાં ૬૨ ઓરડાની અછત નોંધાઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ વર્ગખંડોની અછત જોવા મળી રહી છે.
અહેવાલ મુજબ, છોટા ઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ૫૭૭ ઓરડાની ઘટ,પંચમહાલ જિલ્લામાં ૫૬૯ ઓરડાની ઘટ,ખેડા જિલ્લામાં ૫૨૪ ઓરડાની ઘટ, દાહોદ જિલ્લામાં ૪૯૩ ઓરડાની ઘટ જ્યારે મહીસાગર, મહેસાણા, વડોદરા, ભાવનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં પણ સૈંકડો વર્ગખંડોની અછત નોંધાઈ છે.
સરકારે આપેલી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લામાં પ્રાથમિક શાળા ઓમાં ૧૫૨ ઓરડાની ઘટ છે, જ્યારે માધ્યમિક શાળાઓમાં ૫ ઓરડાની અછત છે. ઉના, વેરાવળ, ગીર ગઢડા, કોડીનાર અને સુત્રાપાડા સહિતના તાલુકાઓમાં પણ ઓરડાની ઘટ નોંધાઈ છે. તે જ રીતે જૂનાગઢ જિલ્લામાં પ્રાથમિક શાળા ઓમાં ૧૦૭ ઓરડાની ઘટ છે અને માધ્યમિક શાળાઓમાં ૯ ઓરડાની અછત દર્શાવવામાં આવી છે. કેશોદ, માણાવદર, મેંદરડા અને વંથલી સહિતના તાલુકાઓમાં પણ વર્ગખંડોની અછત સામે આવી છે.તાજા સમાચાર અપડેટ્સ
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વર્ગખંડોની અછત સામે આવતા શિક્ષણ વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે. વર્ગખંડોની અછતના કારણે વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા મળી રહી છે કે નહીં તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. આ મામલે શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે શાળાઓમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવા માટે તબક્કાવાર પગલાં લેવામાં આવી રહ્યા છે.

