તંત્રીની કલમે….
વૈશ્વિક રાજનીતિના ફલક પર અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે અને પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. અમેરિકાએ ૨૨ વર્ષના લાંબા ગાળા પછી પોતાની વાયુસેનાનો સૌથી મોટો કાફલો જે રીતે તહેનાત કર્યો છે તે જોતા સ્પષ્ટ જણાય છે કે ઈરાન પર હુમલો ગમે તે ક્ષણે થઈ શકે છે. આ માત્ર બે દેશો વચ્ચેનો સૈન્ય સંઘર્ષ નથી પરંતુ તેની અસરો સમગ્ર વિશ્વના દેશો પર પડવાની છે. ૨૦૦૩માં ઈરાક યુદ્ધ સમયે જે પ્રકારની લશ્કરી જમાવટ જોવા મળી હતી લગભગ તેવી જ ગંભીરતા અત્યારે જોવા મળી રહી છે. અમેરિકાના આ આક્રમક વલણને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી ગરમાવો વધી ગયો છે અને રશિયા તથા ચીન જેવી મહાસત્તાઓની નજર પણ આ હિલચાલ પર ટકેલી છે. યુદ્ધ શરૂ થવું સરળ હોય છે પરંતુ તેને રોકવું કે તેના અંતની આગાહી કરવી અત્યંત મુશ્કેલ હોય છે અને નિષ્ણાતો માને છે કે જો આ સંઘર્ષ શરૂ થયો તો તે મહિનાઓ સુધી ચાલી શકે છે.
આ સંભવિત યુદ્ધની સૌથી ગંભીર અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડશે જેમાં ભારત પણ બાકાત નથી. શેરબજાર અને કોમોડિટી માર્કેટ માટે આ સમાચાર અત્યંત ચિંતાજનક છે. ઈરાન એ ખનિજ તેલના ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે અને હોર્મુઝની સામુદ્રધુની જેવા સંવેદનશીલ જળમાર્ગો પર તેનું નિયંત્રણ છે. જો યુદ્ધને કારણે આ પુરવઠો ખોરવાય છે તો ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી શકે છે. તેલના ભાવમાં થતો અનિયંત્રિત વધારો ભારતીય શેરબજાર એટલે કે બીએસઈ અને એનએસઈ પર નકારાત્મક અસર કરશે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરે છે તેથી તેલ મોંઘું થતા દેશમાં ફુગાવો વધવાની અને રૂના મૂલ્યમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે. રોકાણકારોમાં અત્યારે ભયનો માહોલ છે કારણ કે અનિશ્ચિતતાના આ સમયમાં સોના જેવી સુરક્ષિત અસેટ્સમાં રોકાણ વધશે અને શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી શકે છે. વૈશ્વિક વેપારની દૃષ્ટિએ હોર્મુઝની સામુદ્રધુની એ વિશ્વની સૌથી મહત્વની નસ સમાન છે અને આ જળમાર્ગ પરનો કોઈ પણ અવરોધ વૈશ્વિક સપ્લાય ચેઈનને પલકવારમાં ઠપ કરી શકે છે. વિશ્વના કુલ ખનિજ તેલના પરિવહનનો મોટો હિસ્સો આ સાંકડા માર્ગેથી પસાર થાય છે જે હવે સીધા યુદ્ધ ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે. જો ઈરાન આ માર્ગને બ્લોક કરવાની ધમકી આપે અથવા ત્યાં સૈન્ય કાર્યવાહી થાય તો માત્ર તેલ જ નહીં પરંતુ ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના શિપિંગ ભાડામાં પણ તોતિંગ વધારો થશે. આનાથી વીમા પ્રીમિયમ અને લોજિસ્ટિક્સ ખર્ચ વધશે જે આખરે ઉત્પાદિત વસ્તુઓની કિંમતમાં વધારો કરશે. ભારત જેવા દેશો માટે જેઓ આ માર્ગ પર વધુ નિર્ભર છે તેમના માટે આ આર્થિક નાકેબંધી સમાન સાબિત થઈ શકે છે અને ઉત્પાદન ક્ષેત્રે મોટો ફટકો પડી શકે છે.
કોમોડિટી બજારની વાત કરીએ તો ઈરાન અને અમેરિકા વચ્ચેનો આ સંઘર્ષ સોનાના ભાવને નવી અને અકલ્પનીય ઐતિહાસિક ઊંચાઈ પર લઈ જઈ શકે છે. અસ્થિરતાના સમયમાં રોકાણકારો હંમેશા સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળે છે જેને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળશે. આનાથી ભારતીય ચલણ પર દબાણ વધશે અને રૂની કિંમત ડોલર સામે રેકોર્ડ સ્તરે નીચે જઈ શકે છે. આ પ્રકારની આર્થિક સુનામી માત્ર ભારતના વિકાસ દરને જ નહીં પરંતુ સામાન્ય માનવીના ઘરગથ્થુ બજેટને પણ ખોરવી નાખશે. કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે જે અંતે ગ્રાહકો પર મોંઘવારીના સ્વરૂપમાં આવી પડશે જેની અસર ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળાના પરિણામો પર પણ જોવા મળી શકે છે.અમેરિકા દ્વારા એરફોર્સના આટલા મોટા કાફલાની તૈનાતી માત્ર ધમકી નથી પણ એક ચોક્કસ રણનીતિનો ભાગ જણાય છે. ઈરાન પાસે પણ મજબૂત મિસાઈલ ટેકનોલોજી અને પ્રાદેશિક સંગઠનોનું પીઠબળ છે જે આ યુદ્ધને વધુ ભયાનક બનાવી શકે છે. અમેરિકાએ ભલે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હોય પરંતુ ઈરાન જેવા દેશ સાથેનો સીધો સંઘર્ષ લાંબો ખેંચાઈ શકે છે અને તેમાં જાન- માલનું ભારે નુકસાન થવાની ભીતિ છે. રાજદ્વારી સ્તરે યુએન અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો આ મામલે મધ્યસ્થી કરવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ સૈન્ય જમાવટની તીવ્રતા જોતા શાંતિની આશા ઓછી દેખાઈ રહી છે. માનવતાની દૃષ્ટિએ અને આર્થિક સ્થિરતા માટે આ યુદ્ધ ટળે તે જ અત્યંત જરૂરી છે કારણ કે નવું યુદ્ધ સમગ્ર માનવજાત અને વૈશ્વિક પ્રગતિને દાયકાઓ પાછળ ધકેલી શકે છે.
નરેન્દ્ર જોષી

