આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે
૬ ન.પા.ઓમાં કુલ ૧૫૦, જ્યારે ૮ તા.પં.માં ૨૧૬ અને આણંદ જિ.પં.ની ચૂંટણી માટે વધુ ૨૦ ઉમેદવારીપત્રો ભરાયાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ, તા.૧૧ એપ્રિલ ૨૦૨૬ — આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારી પત્રો ભરવાના આજે પાંચમાં દિવસે ૬ નગરપાલિકાઓમાં કુલ ૧૫૦, જ્યારે ૮ તાલુકા પંચાયતોમાં ૨૧૬ ઉમેદવારી પત્રો અને આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે વધુ ૨૦ ઉમેદવારી પત્રો ભરાયાં હતા. જ્યારે કરમસદ- આણંદ મનપાની ચૂંટણીમાં વધુ ૧૨ ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે સત્તાવાર નોંધાયેલા રાજકીય પક્ષો દ્વારા કેટલાકને ટેલીફોનિક સંપર્ક દ્વારા ફોર્મ ભરવાનું કહી દેવામાં આવતા તેમણે તૈયારી કરી લીધી છે, હવે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ભારે ધસારો રહેવાની શક્યતા છે.પાંચમાં દિવસે ભરાયેલા ફોર્મની વિગતો જોઈએ તો, આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે વધુ ૨૦ ઉમેદવારી પત્રો ભરાયા હતા જ્યારે અત્યાર સુધીમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કુલ ૧૪ ફોર્મ, આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કુલ ૨૫ ફોર્મ ભરાયા છે. જ્યારે આણંદ જિલ્લામાં યોજાનાર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે પેટલાદ તા.પં.માં કુલ ૩૫ ફોર્મ, આકલાવમાં ૧૨, તારાપુરમાં ૧૨, ઉમરેઠમાં ૦૮, બોરસદમાં ૮૭, સોજીત્રામાં ૨૭, આણંદમાં ૧૨ અને ખંભાતમાં ૨૩ મળીને અત્યાર સુધીમાં કુલ ૨૧૬ ફોર્મ ભરાયા છે.તેવી જ રીતે આણંદ જિલ્લાની જે નગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, તેની વિગતો જોઈએ તો ખંભાત નગરપાલિકામાં અત્યાર સુધીમાં કુલ ૨૧ ફોર્મ, પેટલાદ નગરપાલિકામાં ૧૬, બોરસદમાં ૭૪ ઉમરેઠમાં ૦૫, સોજીત્રામાં ૧૨ અને તારાપુર નગરપાલિકામાં ૨૨ ફોર્મ મળીને અત્યાર સુધીમાં કુલ ૧૫૦ ફોર્મ ભરાયા છે. આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે વધુ ૨૦ ઉમેદવારી પત્રો ભરાયા છે. જ્યારે કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે વધુ ૧૨ ઉમેદવારી પત્રો ભરાયા હતા.ઉલ્લેખનિય છે કે, આવતીકાલે તારીખ ૧૧ મી એપ્રિલ શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તા. ૨૬ એપ્રિલના રોજ મતદાન અને તા. ૨૮ એપ્રિલના રોજ મતગણતરી યોજાશે. આણંદ જિલ્લામાં મહાનગરપાલિકાઓ ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓમાં દાવેદારોની સંખ્યા જોતા રાજકીય પક્ષો માટે દ્વિધા પરિસ્થિતી સર્જાઇ છે. જ્ઞાતિ સમીકરણ અને રાજકીય પીઠબળ અને દાવેદારોની સ્પર્ધાને કારણે મુખ્ય રાજકીય પક્ષો જેમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ અગાઉથી ઉમેદવારો જાહેર કરવામાં વિલંબ કર્યો છે. પ્રવાહી સ્થિતિને લીધે એકબીજા પક્ષમાં બળવાખોરી અને ધ્રુવીકરણની ચિંતાને કારણે પક્ષો એકબીજાની યાદી જાહેર થાય તેની રાહ જોવાઈ રહી હતી. જેથી અસંતોષની આગને ઠારી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં સરળતા રહે. હવ છેલ્લા દિવસે શું પરિસ્થિતિ સર્જાય છે તે જોવું રહ્યું .

