PM મોદીના ઈઝરાયલ પ્રવાસ મુદ્દે હંગામા
ભારત પેલેસ્ટાઈનને માન્યતા આપનારા દેશોમાં સામેલ હોવા છતાં મોદી સરકારે પેલેસ્ટાઈનિયનોના હિતોની અવગણના કરી રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ — વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બુધવારે, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ઈઝરાયલના પ્રવાસે જઈ રહ્યા છે, ત્યારે આ ઐતિહાસિક મુલાકાત સામે કોંગ્રેસે સખત વિરોધ નોંધાવ્યો છે.
કોંગ્રેસનો આરોપ છે કે, ભારત પેલેસ્ટાઈનને માન્યતા આપનારા દેશોમાં સામેલ હોવા છતાં મોદી સરકારે પેલેસ્ટાઈનિયનોના હિતોની અવગણના કરી રહ્યા છે.
કોંગ્રેસના નેતા અને કમ્યુનિકેશન ઈન્ચાર્જ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વડાપ્રધાનની આ મુલાકાતની આકરી ટીકા કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘વેસ્ટ બેંકના કબજા હેઠળના વિસ્તારમાં પેલેસ્ટાઈનીઓને હાંકી કાઢવા અને વિસ્થાપિત કરવા માટે ઈઝરાયલ ઝડપથી કાર્યવાહી કરી રહ્યું છે, જેની વિશ્વભરમાં નિંદા થઈ રહી છે. ગાઝામાં ઈઝરાયલ નિર્દયતાથી હુમલા કરી રહ્યું છે અને ઈઝરાયલ તથા અમેરિકા ઈરાન પર પણ હુમલાની યોજના બનાવી રહ્યા છે.’જયરામ રમેશે વધુમાં લખ્યું છે કે, ‘આ બધુ હોવા છતાં વડાપ્રધાન આવતીકાલે ઈઝરાયલ જઈ રહ્યા છે અને પોતાના ખાસ મિત્ર વડાપ્રધાન નેતન્યાહુની ઉષ્માભરી મુલાકાત કરવામાં છે, જેઓ પોતે ભ્રષ્ટાચારના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. પેલેસ્ટાઈનના મુદ્દે મોદી સરકારના દાવા પોકળ છે. તેમના શબ્દોમાં, ’સચ્ચાઈ એ છે કે મોદી સરકારે તેમને (પેલેસ્ટાઈનીઓને) છોડી દીધા છે, એ ભૂલીને કે ભારત ૧૮ નવેમ્બર, ૧૯૮૮ના રોજ પેલેસ્ટાઈન રાજ્યને માન્યતા આપનારા શરૂઆતના દેશોમાં સામેલ હતું.
’વડાપ્રધાન મોદી વડાપ્રધાન નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ આઈઝેક હર્ઝોગ સાથે મહત્વપૂર્ણ બેઠકો કરશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સુરક્ષા કરારના રિન્યુઅલ અંગે ચર્ચા થવાની શક્યતા છે. આ ઉપરાંત વર્તમાન વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

