શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલા ઘટાડાને કારણે બંધ કરવામાં આવી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ – ગુજરાત વિધાનસભા બજેટ સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્ર દરમિયાન આજની (૨૬ ફેબ્રુઆરી) કાર્યવાહી પ્રશ્નોત્તરી દ્વારા યોજાઈ હતી.
વિધાનસભાના આજે નવમા દિવસે શિક્ષણ વિભાગના પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થઈ હતી. આજે ગુજરાત વિધાનસભાના સત્રના પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓની સ્થિતિ અંગે પ્રશ્નો ઉઠ્યા હતા. જેમાં માહિતી મળી હતી કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૭૫ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના બેઠકના ધારાસભ્ય ચૈતર વસવા દ્વારા પૂછવામાં આવેલા તા. ૨૧-૦૧-૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કેટલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. જે અંગે સરકારના મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૭૫ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે.
પેટા પ્રશ્નમાં ધારાસભ્ય ચૈતર વસવાએ શાળાઓ બંધ થવા પાછળના કારણો અંગે વિગતો માંગી હતી. જે અંગે સરકારના મંત્રીએ સરકાર દ્વારા આ શાળાઓ બંધ કરવા પાછળના મુખ્ય કારણો સ્પષ્ટ આપતા કહ્યું કે, શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલા ઘટાડાને કારણે બંધ કરવામાં આવી છે. તેમજ કેટલીક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય થઈ જવી એ આ શાળાઓ બંધ કરવાનું મુખ્ય કારણ છે.
ધારાસભ્ય ચૈતર વસવાએ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા એ પણ પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં સરકારે જવાબમાં કહ્યું કે, જે શાળાઓ બંધ થઈ છે ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વિદ્યાર્થીઓને નજીકની અન્ય સરકારી શાળામાં પ્રવેશ મળે તે માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓને નવી શાળાએ જવા માટે મુશ્કેલી ન પડે તે હેતુથી તેમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આમ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના બદલાતા પ્રવાહ અને સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અંગેના પડકારો સામે ગૃહમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૭૫ સરકારી પ્રાથમિક શાળાઓને તાળા લાગ્યા હોવાનું સામે આવ્યું છે.

