Nirmal Metro Gujarati News
international

સીરિયામાં આઇએસના ૧૫૦૦થી વધુ આતંકીઓ જેલમાંથી ભાગી ગયા

  • સીરિયન કુર્દીશ સૈન્યએ જેલની સુરક્ષા હટાવી લીધી
  • ધરપકડ કરાયેલા આતંકીઓના મુદ્દે અન્ય દેશો દ્વારા કોઇ જ ધ્યાન નથી અપાઇ રહ્યું તેથી સૈનિકો હટાવ્યા : કુર્દીશ સૈન્ય

(સંપૂર્ણ સમાચાર સેવા)
દમાસ્કસ, તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૬: સીરિયામાંથી આઇએસના ૧૫૦૦થી વધુ આતંકીઓ જેલમાંથી ભાગી ગયા હોવાનો ઘટસ્ફોટ ખુદ સીરિયન સૈન્ય દ્વારા કરવામાં આવ્યો છે. સીરિયાના સૈન્યએ જણાવ્યું છે કે ઉત્તરપૂર્વી સીરિયામાં આઇએસના ધરપકડ કરાયેલા હજારો આતંકીઓને રાખવામાં આવ્યા હતા, આ કેમ્પની સુરક્ષાની જવાબદારી કુર્દીશ સીરિયન ડેમોક્રેટિક ફોર્સની હતી. જોકે કુર્દીશ સૈન્યએ આ કેમ્પમાંથી સૈનિકો હટાવી લીધા હતા અને તેને તરછોડાયેલા હાલમાં મુકી દીધો હતો. જેનો લાભ ઉઠાવીને અનેક આઇએસ આતંકીઓ આ કેમ્પમાંથી ભાગી ગયા છે. સીરિયન ડેમોક્રેટિક ફોર્સે પણ સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ કેમ્પની જવાબદારી અમારા સૈનિકોની હતી પરંતુ અમે સૈનિકોને સુરક્ષામાંથી હટાવી લીધા છે. કેમ કે આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટી તરફથી કે અમને મદદ કરનારા દેશો તરફથી કોઇ જ ધ્યાન આપવામાં ના આવ્યું અને આ કેદીઓનો મુદ્દો લટકતો છોડી દેવામાં આવ્યો હતો. હાલમાં જે જગ્યાએ આઇએસનો ખતરો છે ત્યાં આ સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. આ પહેલા સીનિયર મંત્રીએ કહ્યું હતું કે ઉત્તરપૂર્વના કેમ્પમાંથી ૧૨૦ ઇસ્લામિક સ્ટેટના આતંકી ભાગી ગયા છે. જેમાંથી ૮૧ને પરત પકડી લેવામાં આવ્યા છે. જ્યારે એક રિપોર્ટ મુજબ ૧૫૦૦ આતંકીઓ ભાગી ગયા છે. રાક્કા નજીક આવેલા અલ અકતાન જેલમાં કેદીઓને પાણી પુરુ પાડવાની લાઇન દમાસ્કસ દ્વારા કાપી નાખવામાં આવી અને પાણીનો પુરવઠો ઠપ કરી દેવાયો હતો. એસડીએફ અમેરિકાની સાથે મળીને સીરિયામાં આઇએસ સામે લડયું, હાલમાં ઉત્તરપૂર્વ સીરિયામાં જેલોમાં કેદ આઇએસના આતંકીઓની જવાબદારી તેમની છે. ૨૦૧૭માં ઇરાકમાં અને બે વર્ષ બાદ સીરિયામાં આઇએસને પછાડવામાં આવ્યું હતું. જોકે તેના સ્લીપર સેલ હાલ પણ સક્રિય છે.

Related posts

સોશિયલ મીડિયાને તમારી શક્તિ બનાવો, તમારી નબળાઈ નહીં – રવિ ચાણક્ય

Master Admin

અમેરિકાએ ૨૦૨૫માં ૮,૦૦૦ સ્ટુડન્ટ સહિત એક લાખથી વધુ લોકોના વિઝા રદ કર્યા

Master Admin

ભારતે ખુલ્લેઆમ ઈરાનને UNમાં આપ્યું સમર્થન

Master Admin
Translate »