ફ્લાઈટ પકડે તે પહેલા જ માસ્ટરમાઈન્ડ જેલ ભેગો
મ્યાંનમારમાં આતંકી સમૂહોને ડ્રોનની ટ્રેનીંગ માટે ભારત આવેલા અમેરિકી અને યુક્રેની નાગરિકો ઝડપાઈ ગયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૮ માર્ચ ૨૦૨૬ — દેશની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ એક અમેરિકી અને ૬ યુક્રેની નાગરિકોની ધરપકડ કરી છે. એમની પાસે સૌથી એડવાન્સ યુરોપિયન ડ્રોનનો જથ્થો મળ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ લોકો ભારત સામે મોટા હુમલાની તૈયારી કરી રહ્યાં હતા. તેઓ મિઝોરમના રસ્તે મ્યાનમારના આતંકવાદીઓને ટ્રેનિંગ આપવા માટે આવ્યા હતા. જેથી પૂર્વોત્તરના રાજ્યો અને મ્યાનમારને અશાંત કરી શકાય. રક્ષા એકસપર્ટ બ્રહ્મા ચેલાની ભારત સામે આને પ્રોક્સીવોર ગણાવી રહ્યાં છે.
હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ અનુસાર ૧૩ માર્ચના રોજ આ ધરપકડો મામલે યુક્રેને ભારત સમક્ષ વિરોધ દેખાડ્યો છે.
આ ૬ યુક્રેની દિલ્હી અને લખનઉંથી પકડાયા છે. જ્યારે અમેરિકી નાગરિક મૈથ્યુ એરોન વાન ડાઈકને કોલકત્તા એરપોર્ટ પરથી પકડી લેવાયો હતો. સોમવારે દિલ્હીની એક કોર્ટે આ ૭ લોકોને ૨૭ માર્ચ સુધી NIAની કસ્ટડીમાં મોકલી દીધા છે. બ્રહ્મા ચેલાની આ બાબતને યુક્રેન અને અમેરિકાની પૂર્વોત્તર રાજ્યમાં પ્રોક્સીવોર સાથે સંકળાવી રહ્યાં છે.
એનઆઈએએ કોર્ટને જણાવ્યું છે કે તે ૮ અન્ય યુક્રેનીની શોધખોળ કરી રહી છે. આ ૭ યૂક્રેની અને એક અમેરિકી મળી ૧૫ જણા ટુરિસ્ટ વિઝા પર ગેરકાનૂની રીતે ભારત આવ્યા હતા. તપાસ એજન્સીએ જણાવ્યું છે કે આ લોકો મ્યાનમારમાં ભારત વિરોધી આતંકી ગ્રૂપોને ટ્રેનિંગ આપવા માટે આવ્યા હતા. આ આરોપીઓ ડ્રોન ચલાવવાના માસ્ટર છે.
રિપોર્ટ અનુસાર આ તમામ આરોપીઓ ડ્રોન વોરફેર, ડ્રોન ઓપરેશન અને ડ્રોન એસેમ્બલિંગ અને ટેકનોલોજી જામ કરવાની ટેકનીકો શીખીને આવ્યા હતા. એમનો મુખ્ય ઉદ્રેશ્ય એ મ્યાનમારમાં ભારત વિરોધી આતંકવાદી જૂથોને ટ્રેનિંગ આપવાનો હતો.
અહેવાલો અનુસાર, NIA અધિકારીઓએ જણાવ્યું હતું કે પકડાયેલા છ યુક્રેનિયનોના નામ હર્બા પેટ્રો, સ્લિવિયાક ટારાસ, ઇવાન સુકમાનોવ્સ્કી, સ્ટીફન મારિયન, હોનચારુક મેક્સીમ અને કામિન્સ્કી વિક્ટર છે.
NIA કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, NIA એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૧૯૬૭ ની કલમ ૧૮ હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં કાવતરું ઘડવા, આતંકવાદી કૃત્ય કરવા માટે આગ્રહ કરવા, સહાય પૂરી પાડવા અથવા ઉશ્કેરણી કરવાના કૃત્યોનો સમાવેશ થાય છે.
એનઆઈએ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં જણાવ્યું છે કે આરોપીઓ અલગ અલગ તારીખોએ ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવ્યા હતા અને ત્યારબાદ ગુવાહાટી પહોંચ્યા હતા. ત્યારબાદ, તેઓ ત્યાંથી મિઝોરમ ગયા, કોઈ માન્ય દસ્તાવેજો વિના, જેમ કે પ્રતિબંધિત વિસ્તાર પરમિટ અથવા સંરક્ષિત વિસ્તાર પરમિટ તેમની પાસે હતી જ નહીં. ત્યાંથી તેઓ ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં પ્રવેશ્યા, જ્યાં તેમની પાસે મ્યાનમારના સશસ્ત્ર જૂથો (EAGs) ને ડ્રોન તાલીમ આપવાની પૂર્વ-નિર્ધારિત યોજના હતી. આ જ જૂથ ભારતમાં કાર્યરત આતંકવાદી સંગઠનોને સહાય પૂરી પાડે છે.

