મસાજની આડમાં દેહવ્યાપાર
પોલીસ દ્વારા પાડવામાં આવેલા આ દરોડામાં અલગ-અલગ રાજ્યોની ત્રણ યુવતીઓને મુક્ત કરાવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૧ માર્ચ ૨૦૨૬ — અમદાવાદ શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલના એક સ્પા સેન્ટરમાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારના કૌભાંડને પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસ દ્વારા પાડવામાં આવેલા આ દરોડામાં અલગ-અલગ રાજ્યોની ત્રણ યુવતીઓને મુક્ત કરાવી, જ્યારે આરોપીઓ સામે અનૈતિક ટ્રાફિકિંગ નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, હિમાલયા મોલના બીજા માળે આવેલા એક સ્પામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીની ચકાસણી કરવા માટે પોલીસે એક નકલી ગ્રાહક તૈયાર કરીને સ્પામાં મોકલ્યો હતો. ત્યાં દેહવ્યાપાર ચાલતો હોવાની પુષ્ટિ થતા જ પોલીસની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
દરોડા દરમિયાન સ્પાની અંદરથી મિઝોરમ, દિલ્હી અને ત્રિપુરાની વતની એવી ત્રણ મહિલાઓ મળી આવી હતી. આ યુવતીઓએ પોલીસને જણાવ્યું કે સ્પા મેનેજમેન્ટ દ્વારા અહીં રાખવામાં આવી હતી અને પ્રતિ ગ્રાહક આશરે એક હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા. આ ઉપરાંત સ્થળ પરથી ઉત્તર પ્રદેશના વતની એવા સ્ટાફ સભ્ય સન્ની સંતોષની અટકાયત કરવામાં આવી છે. આ સ્પા ઇર્શાદ એસ. સૈયદ દ્વારા ચલાવવામાં આવતો હતો, જે બહારના રાજ્યોમાંથી મહિલાઓને લાવીને દેહવ્યાપારને પ્રોત્સાહન આપતો હતો.
દરોડા દરમિયાન સ્પાનો માલિક હાજર નહોતો અને હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે સ્પાના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે ડિજિટલ વિડિયો રેકોર્ડર (DVR) અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કર્યા છે. બચાવવામાં આવેલી મહિલાઓને કાનૂની જોગવાઈઓ અનુસાર કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવી છે. પોલીસે અનૈતિક ટ્રાફિક (નિવારણ) અધિનિયમ, ૧૯૫૬ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધી ફરાર માલિકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

