સાત દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે
હાલમાં કેશોદ ૩૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૨ માર્ચ ૨૦૨૬ — રાજ્યમાં હવે ધીમે-ધીમે ગરમી વધી રહી છે. ત્યારે હવામાન વિભાગે આજથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. અમદાવાદમાં ગત રોજ લઘુતમ તાપમાન ૩૪.૨ ડિગ્રી નોંધાયું હતું, જે આજે(૨૨ માર્ચ) વધીને ૩૬ ડિગ્રી સુધી પહોંચ્યું હતું. આગામી બે દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં હજુ પણ ૨થી ૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં કેશોદ ૩૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે.
હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ, હવામાનમાં ફેરફાર પાછળ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયેલું સાયકલોનિક સર્ક્યુલેશન મુખ્ય કારણ માનવામાં આવે છે. જો કે, ગરમીના આ વધારા વચ્ચે રાહતના સમાચાર એ છે કે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈ રહ્યું છે. આ સિસ્ટમને કારણે આગામી સાત દિવસ બાદ રાજ્યન૨ા વાતાવરણમાં ફરી પલટો આવવાની અને ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા છે. હાલ પૂરતું નાગરિકોએ વધતા જતા તાપમાન અને સીધા તડકાથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી બનશે.
મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થયો છે અને આગામી ૨૪ કલાકમાં વધુ ૨થી ૩ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. લઘુતમ તાપમાન પણ હાલમાં સામાન્ય કરતાં ૧થી ૨ ડિગ્રી જેટલું ઊંચું છે અને આગામી ૨૪ કલાકમાં તેમાં પણ ૨ ડિગ્રીની આસપાસ વધારો થવાની અપેક્ષા છે, ત્યારબાદ તે સ્થિર રહેશે.
વેધર સિસ્ટમની વાત કરીએ તો, પશ્ચિમ રાજસ્થાન પર એક ચક્રવાતી પરિભ્રમણ છે અને નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે. પરંતુ ગુજરાત પર તેની કોઈ વિશેષ અસર નથી. એટલે આગામી ૭ દિવસ સુધી ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે.
જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનની શક્યતા દેખાતી નથી. ગઈકાલના તાપમાન મુજબ, કેશોદમાં મહત્તમ તાપમાન ૩૫.૨ અને ડીસા તથા વી.વી. નગરમાં લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રી નોંધાયું હતું. આજે(૨૨ માર્ચ) અમદાવાદમાં તાપમાન ૩૬ અને ગાંધીનગરમાં ૩૫ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

