Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

મોંઘવારી અને ભાડાનો માર મામલે રાહુલ ગાંધીનું વિશ્લેષણ

નોઈડા વિરોધ પ્રદર્શન

રાહુલ ગાંધીએ આ સ્થાનિક પ્રદર્શનને વૈશ્વિક પરિસ્થિતિ સાથે જોડતા જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે સપ્લાય ચેઇન તૂટી ગઈ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૪ એપ્રિલ ૨૦૨૬ — ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં પગાર વધારાની માંગ સાથે શ્રમિકોનું પ્રદર્શન બીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું. કેટલીક જગ્યાએ પથ્થરમારાની ઘટનાઓ બાદ પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી છે, પરંતુ આ ઘટના પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયાએ ચર્ચા જગાવી છે. તેમણે શ્રમિકોની સ્થિતિને દેશના મજૂરની અંતિમ ચીસ ગણાવી છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર એક લાંબી પોસ્ટ દ્વારા શ્રમિકોના આર્થિક સંઘર્ષનો ચિતાર આપ્યો હતો. નોઈડામાં કામ કરતા મજૂરનો પગાર રૂપિયા ૧૨,૦૦૦ છે, જ્યારે ભાડું રૂપિયા ૪,૦૦૦ થી રૂપિયા ૭,૦૦૦ સુધીનું હોય છે. રાહુલ ગાંધીએ લખ્યું કે, જ્યારે રૂપિયા ૩૦૦નો વાર્ષિક પગાર વધારો મળે છે, ત્યારે મકાનમાલિકો રૂપિયા ૫૦૦ ભાડું વધારી દે છે. આ બેફામ મોંઘવારી મજૂરનું ગળું ટૂંપે છે. શ્રમિકો રૂપિયા ૨૦,૦૦૦ પગારની માંગ કરી રહ્યા છે, જેને રાહુલે તેમનો અધિકાર ગણાવ્યો છે.

રાહુલ ગાંધીએ આ સ્થાનિક પ્રદર્શનને વૈશ્વિક પરિસ્થિતિ સાથે જોડતા જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે સપ્લાય ચેઇન તૂટી ગઈ છે, જેનાથી ઇંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમણે એક મહિલા શ્રમિકનો ઉલ્લેખ કર્યો જેણે જણાવ્યું કે, ગૅસના ભાવ વધે છે પણ પગાર નહીં. ગૅસ સંકટમાં લોકોએ રૂપિયા ૫,૦૦૦માં પણ સિલિન્ડર ખરીદ્યા હશે. રાહુલે આરોપ લગાવ્યો કે, આ વૈશ્વિક મોંઘવારી અને ટેરિફ વૉરનો બોજ વડાપ્રધાનના મિત્ર ઉદ્યોગપતિઓ પર નહીં, પણ રોજેરોજ કમાઈને ખાતા મજૂર પર પડ્યો છે.

રાહુલ ગાંધીએ નવેમ્બર ૨૦૨૫થી અમલી બનેલા ચાર નવા શ્રમ કાયદાઓ પર નિશાન સાધ્યું હતું. આ કાયદાઓ દ્વારા કામના કલાકો વધારીને ૧૨ કલાક કરી દેવામાં આવ્યા છે. સરકારે કોઈપણ ચર્ચા વગર ઉતાવળમાં આ કાયદા લાગુ કર્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો. જે મજૂર રોજ ૧૨ કલાક ઊભા રહીને કામ કરે છે અને બાળકોની ફી દેવું કરીને ભરે છે, શું તેની માંગ ગેરવાજબી છે?

રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે, તેઓ દેશની કરોડરજ્જુ સમાન શ્રમિકોની સાથે છે, જેમને સરકારે બોજ સમજી લીધા છે. નોઈડાના આ પ્રદર્શનોએ દેશમાં વધતી મોંઘવારી અને શ્રમ અધિકારોના મુદ્દાને ફરી એકવાર કેન્દ્રસ્થાને લાવી દીધો છે.

Related posts

આ વર્ષે ૫૭ દિવસ ચાલશે પવિત્ર અમરનાથ યાત્રા

Master Admin

૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ.૬૦નો વધારો

Master Admin

પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના: કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી, ૯ શ્રમિકોના મોત

Master Admin

Leave a Comment

Translate »