Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

પાકિસ્તાનમાં આતંકીઓનો ખાતમો, એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર

પાકિસ્તાનમાં ફરી એકવાર અજ્ઞાત હુમલાખોરો સક્રિય થયા

ત્યારબાદ તેણે આતંકનો માર્ગ અપનાવ્યો હતા હાલમાં સજ્જાદ હિઝબુલમાં કમાન્ડરના પદ પર તૈનાત હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈસ્લામાબાદ,તા.૧ મે ૨૦૨૬ — પાકિસ્તાનમાં ભારતના દુશ્મનો શંકાસ્પદ રીતે મરી રહ્યા છે, એક અઠવાડિયામાં ૩ આતંકવાદીઓનો ખાતમો થયો છે. પાકિસ્તાનમાં હિઝબુલ, લશ્કર અને જૈશના આતંકવાદીઓ પર અજ્ઞાત હુમલાખોરો કહેર મચાવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ૩ આતંકવાદીઓની શંકાસ્પદ સંજોગોમાં હત્યા કરવામાં આવી છે. ૨૦૨૦થી અત્યાર સુધીમાં ૨૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાન સરકાર આ અંગે સત્તાવાર નિવેદન પણ જારી કરતી નથી.પાકિસ્તાનમાં ફરી એકવાર અજ્ઞાત હુમલાખોરો સક્રિય થયા છે. આ હુમલાખોરોના નિશાન પર લશ્કર અને જૈશના આતંકવાદીઓ છે. છેલ્લા એક અઠવાડિયામાં ભારત વિરોધી જૈશ અને લશ્કરના ૨ આતંકવાદીઓ માર્યા ગયા છે. તાજેતરનો કેસ સજ્જાદ અહેમદ સાથે જોડાયેલો છે. અજ્ઞાત હુમલાખોરોએ હિઝબુલ આતંકવાદી સજ્જાદ અહેમદની ગોળી મારીને હત્યા કરી દીધી છે. સજ્જાદની હત્યા રાજધાની ઈસ્લામાબાદમાં કરવામાં આવી છે. સજ્જાદની હત્યાની પુષ્ટિ તેના જહાંગીર નામના પાડોશીએ કરી છે. સજ્જાદ કાશ્મીરનો રહેવાસી હતો અને ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તેના મિત્રોનું કહેવું છે કે શુક્રવારે અજ્ઞાત હુમલાખોરોએ તેની હત્યા કરી હતી. ૧૯૯૭માં સજ્જાદ પાકિસ્તાનના આતંકવાદીઓના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તેણે આતંકનો માર્ગ અપનાવ્યો હતો. હાલમાં સજ્જાદ હિઝબુલમાં કમાન્ડરના પદ પર તૈનાત હતો.

૨ દિવસ પહેલા આતંકવાદી સલમાન અઝહરની હત્યા કરવામાં આવી હતી. અઝહર જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર હતો. અઝહરનું મોત કોઈ અજ્ઞાત વાહન સાથેની ટક્કરમાં થયું હતું. અઝહરને બહાવલપુરના સુભાનઅલ્લાહ મરકઝમાં દફનાવવામાં આવ્યો હતો. સલમાનને જૈશ સરગના મસૂદ અઝહરનો નજીકનો માનવામાં આવતો હતો.ગયા અઠવાડિયે ખૈબર પખ્તુનખ્વાના લશ્કરના ટોપ કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીની અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ પહેલા માર્ચ મહિનામાં મસૂદ અઝહરના ભાઈ તાહિર અઝહરનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. અઝહર અંડરગ્રાઉન્ડ થયા પછી તાહિર જ તેનું બધું કામકાજ સંભાળતો હતો.

૨૦૧૯માં અજ્ઞાત હુમલાખોરોએ ટાર્ગેટ કિલિંગ હેઠળ પાકિસ્તાનના આતંકવાદીઓને મારવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધી અજ્ઞાત હુમલાખોરોના હાથે ૨૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાનની સરકાર કે ગુપ્તચર એજન્સીઓ આવા મામલાઓની તપાસ પણ કરતી નથી. અત્યાર સુધી સરકારે સત્તાવાર રીતે જણાવ્યું નથી કે આ આતંકવાદીઓ કેવી રીતે માર્યા ગયા.પાકિસ્તાનમાં લશ્કર અને જૈશ સાથે જોડાયેલા આશરે ૧૦ હજાર આતંકવાદીઓ સક્રિય છે. આ આતંકવાદીઓનું મુખ્ય કામ ભારતમાં આતંક ફેલાવવાનું છે. ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ ૨૬ નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી. પાકિસ્તાનના પંજાબ, ગિલગિત અને પીઓકે (POK) માં આતંકવાદીઓના તાલીમ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવે છે..

Related posts

ચોરી કરવી એમનો ખાનદાની ધંધો, મહાત્મા ગાંધીની સરનેમ ચોરી લીધી

Master Admin

ઐતિહાસિક બહુમતીથી બંગાળમાં દીદી જ જીતશે

Master Admin

પેટ્રોલમાં લીટરે રૂ.૧૪, ડીઝલમાં રૂ.૧૮ની ખોટ

Master Admin

Leave a Comment

Translate »