મુસાફરો માટે મેટ્રો રેલનો મોટો નિર્ણય
અત્યાર સુધી છેલ્લી ટ્રેન રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યે ઉપડતી હતી, જે હવે રાત્રે ૧૧ઃ૦૦ વાગ્યે ઉપડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૬ મે ૨૦૨૬ — અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા લાખો લોકો માટે જ મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મેટ્રો સેવાઓના સમયમાં મોટો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી સોમવાર, ૧૮ મે ૨૦૨૬થી મેટ્રો સેવાઓનો સમય લંબાવીને રાત્રિના ૧૧ઃ૦૦ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.
વસ્ત્રાલગામથી થલતેજ ગામઃ અત્યાર સુધી છેલ્લી ટ્રેન રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યે ઊપડતી હતી, જે હવે રાત્રે ૧૧ઃ૦૦ વાગ્યે ઉપડશે. આ રૂટ પર રાત્રે ૧૦ઃ૨૦, ૧૦ઃ૪૦ અને ૧૧ઃ૦૦ કલાકે એમ વધારાની ૩ મેટ્રો ટ્રેન મળશે.
થલતેજ ગામથી વસ્ત્રાલગામઃ છેલ્લી ટ્રેનનો સમય રાત્રે ૧૦ઃ૦૦ થી લંબાવીને હવે રાત્રે ૧૧ઃ૦૦ વાગ્યાનો કરાયો છે. અહીં પણ રાત્રે ૧૦ઃ૨૦, ૧૦ઃ૪૦ અને ૧૧ઃ૦૦ વાગ્યે વધારાની ૩ ટ્રેન દોડશે.
એપીએમસીથી કોટેશ્વરઃ છેલ્લી ટ્રેન જે રાત્રે ૧૦ઃ૧૦ વાગ્યે ઉપડતી હતી તે હવે રાત્રે ૧૧ઃ૧૦ વાગ્યે ઉપડશે. મુસાફરો માટે રાત્રે ૧૦ઃ૩૦, ૧૦ઃ૫૦ અને ૧૧ઃ૧૦ કલાકે વધારાની ૩ ટ્રેન ઉમેરાઈ છે.
કોટેશ્વરથી એપીએમસીઃ છેલ્લી ટ્રેન રાત્રે ૧૦ઃ૦૫ના બદલે હવે રાત્રે ૧૧ઃ૦૦ વાગ્યે ઉપડશે. આ રૂટ પર પણ રાત્રે ૧૦ઃ૨૦, ૧૦ઃ૪૦ અને ૧૧ઃ૦૦ વાગ્યે વધારાની ૩ ટ્રેન મુસાફરોને મળશે.
ગાંધીનગર-મહાત્મા મંદિર રૂટના સમયમાં પણ કરાયો મોટો ફેરફાર
૧. અત્યાર સુધી કોટેશ્વરથી મહાત્મા મંદિર જતી છેલ્લી ટ્રેન રાત્રે ૦૭ઃ૪૩ કલાકે ઊપડતી હતી, હવે આ સમય લંબાવીને છેલ્લી ટ્રેન રાત્રિના ૦૯ઃ૨૦ વાગ્યે ઉપડશે. આ રૂટ પર મુસાફરો માટે રાત્રે ૦૮ઃ૧૭ અને ૦૯ઃ૨૦ કલાકે એમ વધારાની ૨ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ૨. તે જ રીતે, મહાત્મા મંદિરથી કોટેશ્વર જતી છેલ્લી ટ્રેન જે પહેલા રાત્રે ૦૮ઃ૦૯ કલાકે ઊપડતી હતી, તેને પણ લંબાવીને હવે રાત્રિના ૦૯ઃ૦૦ વાગ્યાની કરવામાં આવી છે. આ મોડી રાત્રિની ટ્રેન મહાત્મા મંદિરથી ઉપડીને કોટેશ્વર થઈને સીધી એપીએમસી સુધી જશે.

