Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

‘ઈરાનના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ’

ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી

અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા દરમિયાન આ યુરેનિયમને ઈરાનના પરમાણુ ઠેકાણાઓની નીચે દબાવી દેવામાં આવ્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
તહેરાન, તા.૨૨ મે ૨૦૨૬ — અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમના ભંડારને લઈને ફરી એકવાર અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન પાસે રહેલું ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમ પોતાના નિયંત્રણમાં લઈને જ રહેશે.વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને પોતાની વ્યૂહનીતિ સ્પષ્ટ કરી દીધી છે. ટ્રમ્પે જણાવ્યું કે, “અમે ઈરાન પાસે રહેલું સંવર્ધિત યુરેનિયમ મેળવીને જ રહીશું. આપણને તેની કોઈ જરૂર નથી અને આપણે તેને રાખવા પણ માંગતા નથી. શક્ય છે કે તેને મેળવ્યા બાદ અમે તેનો નાશ કરી દઈએ, પરંતુ અમે ઈરાનને તે કોઈ પણ સંજોગોમાં પોતાની પાસે રાખવા નહીં દઈએ.”અત્રે ઉલ્લેખનીય છે કે, ઈરાન પાસે આશરે ૯૦૦ પાઉન્ડ જેટલું ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમ હોવાનું મનાય છે. ટ્રમ્પનો દાવો છે કે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા દરમિયાન આ યુરેનિયમને ઈરાનના પરમાણુ ઠેકાણાઓની નીચે દબાવી દેવામાં આવ્યું હતું. જો કે, ગયા અઠવાડિયે ટ્રમ્પે એક વાતચીતમાં થોડું નરમ વલણ દાખવ્યું હતું અને સંકેત આપ્યો હતો કે જો આ યુરેનિયમ ત્યાં જ દફન રહે તો તેમને વાંધો નથી, પરંતુ ગુરુવારે તેમણે ફરી પોતાના જૂના કડક તેવરમાં વાપસી કરીને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા આ ભંડારને પોતાના નિયંત્રણમાં લેશે.આ વૈશ્વિક તણાવ વચ્ચે, અર્થતંત્ર અને ઉર્જા સપ્લાય ક્ષેત્રે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ અનુસાર, વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ ઓઇલ વેપાર માર્ગ ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર પોતાનું સત્તાવાર નિયંત્રણ મજબૂત કરવા માટે ઈરાન અને ઓમાન સંયુક્ત રીતે એક કાયમી ‘ટોલ સિસ્ટમ‘ બનાવવાની યોજના પર વિચાર કરી રહ્યા છે.ફ્રાન્સમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ અમીન-નેજાદે આ વહિવટી પ્રક્રિયા અંગે જણાવ્યું છે કે, “આ દરિયાઈ માર્ગની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઈરાન અને ઓમાને પોતાના તમામ સંસાધનોનો ઉપયોગ કરવો પડશે. આ સુરક્ષા વ્યવસ્થા પાછળ મોટો ખર્ચ થાય છે, તેથી જે દેશો અથવા આંતરરાષ્ટ્રીય કંપનીઓ આ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરશે, તેમણે તેની કિંમત (ટોલ ટેક્સ) પણ ચૂકવવી પડશે.” આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે કાચા તેલ અને ગેસના પરિવહન ખર્ચમાં મોટો વધારો થઈ શકે છે, કારણ કે દુનિયાના ઊર્જા પુરવઠાનો એક બહુ મોટો હિસ્સો આ જ સાંકડા દરિયાઈ માર્ગ પરથી પસાર થાય છે.

Related posts

ભારત એવો દેશ છે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે

Master Admin

ભારતે ખુલ્લેઆમ ઈરાનને UNમાં આપ્યું સમર્થન

Master Admin

મિલિટરી ઓપરેશનમાં વધુ ૬૭ તાલિબાનોને ઠાર માર્યા

Master Admin

Leave a Comment

Translate »