દિલ્હીમાં ભેગા થશે અમેરિકાના ૩ દુશ્મન!
વડાપ્રધાન મોદી કિર્ગિસ્તાનમાં SCO શિખર સંમેલનમાં ચીન-રશિયાના નેતાઓને મળશે : આ મુલાકાત ભારત-ચીન સંબંધો માટે મહત્ત્વપૂર્ણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩૧ જુલાઈ ૨૦૨૬ — ચીનના પ્રમુખ શી જિનપિંગ સપ્ટેમ્બર મહિનામાં નવી દિલ્હીમાં યોજાનાર BRICS શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે. જો આ પ્રવાસ નક્કી થાય છે, તો કોવિડ-૧૯ મહામારી અને ૨૦૨૦ ના ગલવાન સરહદ વિવાદ બાદ આ તેમની પહેલી ભારત યાત્રા હશે. મિડલ ઇસ્ટની જંગ વચ્ચે જો શી જિનપિંગ ભારત આવે છે, તો આ એક અત્યંત મહત્વપૂર્ણ કૂટનીતિક ઘટના માનવામાં આવશે.
ભારત ૧૨-૧૩ સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ સંમેલનમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પણ સામેલ થવાની પૂરી સંભાવના છે. ક્રેમલિન પહેલેથી જ પુતિનની ભારત યાત્રાના સંકેત આપી ચૂક્યું છે. BRICS ના સભ્ય દેશ તરીકે ઈરાન પણ આ સંમેલનમાં ભાગ લેશે, જો કે ઈરાન તરફથી કયા સ્તરનું પ્રતિનિધિમંડળ આવશે તેના પર હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.
BRICS સંમેલન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને કિર્ગિસ્તાનમાં યોજાનાર શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં રશિયા, ચીન અને ઈરાનના શીર્ષ નેતાઓને મળશે. આ SCO શિખર સંમેલન અમેરિકા-ઈરાન સંઘર્ષ શરૂ થયા પછી સભ્ય દેશોની પહેલી શીર્ષ બેઠક હશે. આ બેઠકમાં ક્ષેત્રીય સુરક્ષા, પશ્ચિમ એશિયાના હાલાત, વેપાર અને સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. જો શી જિનપિંગ ભારત આવે છે, તો તેને ભારત-ચીન સંબંધોના મામલે એક મોટું કૂટનીતિક પગલું માનવામાં આવશે. બંને દેશો વચ્ચે સરહદ વિવાદ અને તણાવ છતાં શીર્ષ નેતૃત્વની આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે અતિ મહત્વની સાબિત થશે.
ચીનના પ્રમુખ શી જિનપિંગની સંભવિત ભારત યાત્રાની ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન મોદીને પાકિસ્તાન તરફથી પણ આમંત્રણ મળી શકે છે.
પાકિસ્તાને સંકેત આપ્યા છે કે ૨૦૨૭ માં ઇસ્લામાબાદમાં યોજાનાર શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન માટે વડાપ્રધાન મોદીને સત્તાવાર નિમંત્રણ મોકલવામાં આવશે.
પાકિસ્તાન સપ્ટેમ્બર ૨૦૨૬ માં SCO ની અધ્યક્ષતા સંભાળશે અને ૨૦૨૭ માં ઇસ્લામાબાદમાં આ શિખર સંમેલનની યજમાની કરશે.

