જીવ બચાવવા લોકોએ દરિયામાં લગાવી છલાંગ
૪૧ હજુ ગુમ છે : ૨૨૫ મુસાફરોને બચાવી લેવાયા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જાકર્તા, તા.૨ ઓગસ્ટ ૨૦૨૬ — ઇન્ડોનેશિયામાં એક મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે, જ્યાં ૨૭૧ લોકોથી ભરેલી એક ફેરીમાં સમુદ્રમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા છે. જ્યારે ૪૧ લોકો હજુ પણ ગુમ છે. વિવિધ અહેવાલ મુજબ સર્ચ એન્ડ રેસ્ક્યુ અધિકારીઓ દ્વારા બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી (Basarnas) ના જણાવ્યા અનુસાર, કેપ્ટને અહેવાલ આપ્યો હતો કે જ્યારે આ જહાજ પૂર્વ જાવાના ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબયાથી દક્ષિણ સુલાવેસીના મકાસ્સાર તરફ જઈ રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.
એજન્સીના ડેટા મુજબ, ફેરીમાં કુલ ૨૭૧ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી રવિવાર બપોર સુધીમાં ૨૨૫ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. સુરાબયા સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓફિસના વડા નાનાંગ સિગિટના જણાવ્યા અનુસાર, અનેક નજીકના જહાજો બચાવ કામગીરીમાં જોડાયા છે.
તેમણે જણાવ્યું હતું કે, TB Hasnur 26 અને બ્રિટીશ મેન્ટર જહાજો KMP Mutiara Sentosa 2 પરથી કૂદી પડેલા મુસાફરોને બચાવવામાં મદદ કરી રહ્યા છે. હાલમાં ચાર જહાજો ફેરીની સાથે છે.
આ ઉપરાંત, સર્ચ-એન્ડ-રેસ્ક્યુ જહાજ SAR 249 Permadi પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યું છે, જેને પહોંચવામાં અંદાજે ૬ કલાકનો સમય લાગશે.
ઘટનાસ્થળના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. જેમાં ફેરીના ઉપલા ડેક પરથી જાડા કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા અને આગ ફેલાતી જોઈ શકાય છે. જીવ બચાવવા માટે લાઈફ જેકેટ પહેરેલા મુસાફરો જહાજની એક બાજુએ એકઠા થયેલા નજરે પડે છે. જોકે, આ ફૂટેજની સત્તાવાર સત્યતા હજુ સુધી વેરિફાઈ થઈ શકી નથી.

