ધ્રોલના મૃતક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સર્વેલન્સ સઘન બનાવાયું
બાળકોમાં તાવ, ઝાડા, ઉલટી કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો તુરંત નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર, તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૬ — જામનગર જિલ્લામાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩ બાળ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૯ બાળકોના મોત નોંધાયા છે. હોસ્પિટલમાં પાંચ શંકાસ્પદ બાળ દર્દીઓના મોત બાદ રાજકોટમાં સારવાર લઈ રહેલા જામનગરના ૬ઠ્ઠા બાળકનું પણ મોત થયું હતું, જેનો રિપોર્ટ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય ધ્રોલ પંથકના ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક બાળકનું ૪ દિવસ પહેલા રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બાળકના સેમ્પલનો રિપોર્ટ હાલ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. નોંધાયેલા કેસો પૈકી ૧ કેસ પોઝિટિવ છે, જ્યારે ૧ દર્દીનો રિપોર્ટ આવવો બાકી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા ચાંદીપુરાના અન્ય તમામ શંકાસ્પદ કેસોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ખાનગી હોસ્પિટલમમાં ૩ બાળ દર્દીઓ સારવાર હેઠળ હતા, જેમાં પસાયા અને ધ્રોલ પંથકના વધુ ૨ બાળકો ઉમેરાતાં કુલ દર્દીઓની સંખ્યા ૫ થઈ હતી. જોકે, દાખલ દર્દીઓમાંથી કાલાવડના ૨ અને ધ્રોલના ૧ બાળક મળી કુલ ૩ બાળકોના મોત થતાં હાલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ૫થી ઘટીને ૨ થઈ છે.આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સર્વેલન્સ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બાળકોમાં તાવ, ઝાડા, ઉલટી કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો તુરંત નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

