- રખડતા શ્વાનોના આતંક હવે નહીં ચાલે
- જો શ્વાન કરડવાથી કોઈનું મોત થશે અથવા કોઈ ઇજાગ્રસ્ત થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે અને સરકારે ભારે વળતર ચૂકવવું પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૩ જાન્યુઆરી ૨૦૨૬: દેશમાં રખડતા શ્વાનોના વધતા આતંક અને હુમલાની ઘટનાઓ પર Supreme Courtએ આજે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો શ્વાન કરડવાથી કોઈનું મોત થશે અથવા કોઈ ઇજાગ્રસ્ત થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે અને સરકારે ભારે વળતર ચૂકવવું પડશે.જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, જે લોકો રસ્તા પર રખડતા શ્વાનોને ખવડાવે છે, તેમની પણ જવાબદારી નક્કી થવી જોઈએ. કોર્ટે કહ્યું, “જો તમને શ્વાનો પ્રત્યે આટલો જ પ્રેમ હોય, તો તેમને તમારા ઘરે લઈ જાવ. તેમને રસ્તા પર લોકોને ડરાવવા કે કરડવા માટે ન છોડો.”
Supreme Courtએ એક મહત્વની વાત એ કહી કે શ્વાનોમાં એક ચોક્કસ પ્રકારનો વાયરસ હોય છે, જે અસાધ્ય છે. જસ્ટિસ મહેતાએ રણથંભોર નેશનલ પાર્કનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં શ્વાન કરડવાથી વાઘ પણ ગંભીર બીમારીનો શિકાર બન્યા હતા. Supreme Courtએ સવાલ કર્યો કે જ્યારે ૯ વર્ષના માસૂમ બાળક પર હુમલો થાય, ત્યારે શું આપણે આંખ આડા કાન કરી શકીએ?
Supreme Courtએ ચેતવણી આપી છે કે રખડતા શ્વાનોના નિયંત્રણ માટે જો સરકાર કંઈ નહીં કરે, તો દરેક જાનહાનિ માટે રાજ્ય સરકાર જવાબદાર ગણાશે. બાળકો અને વૃદ્ધોના સુરક્ષાના અધિકારને સર્વોપરી ગણતા કોર્ટે વળતર લાદવાની વાત કરી છે.
સુનાવણી દરમિયાન અભિનેત્રી શર્મિલા ટાગોરના વકીલે જ્યારે દલીલ કરી કે ‘બધા શ્વાન આક્રમક નથી હોતા’, ત્યારે કોર્ટે તેમને અટકાવતા કહ્યું હતું કે શ્વાનોને મહાન સાબિત કરવાનો પ્રયાસ ન કરો. કોર્ટે અગાઉ પણ હોસ્પિટલ, રેલવે સ્ટેશન અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી શ્વાનોને હટાવવાનો આદેશ આપેલો છે.
૯ જાન્યુઆરી, ૨૦૨૬ઃ અભિનેત્રી શર્મિલા ટાગોરના વકીલે દિલ્હી AIIMSના ‘ગોલ્ડી’ નામના શ્વાનનું ઉદાહરણ આપી દલીલ કરી કે બધા શ્વાન આક્રમક નથી હોતા. કોર્ટે વકીલને ફટકાર લગાવતા કહ્યું કે, શ્વાનોને મહાન બતાવવાની કોશિશ ન કરો.
૮ જાન્યુઆરી, ૨૦૨૬ઃ જસ્ટિસ નાથે અવલોકન કર્યું કે શ્વાન માણસનો ડર પારખી જાય છે અને એટલે જ કરડે છે. જ્યારે વકીલે આ વાતનો ઇનકાર કર્યો, ત્યારે જસ્ટિસે સ્પષ્ટ કહ્યું કે તેઓ આ વાત પોતાના અંગત અનુભવ પરથી કહી રહ્યા છે.
૭ નવેમ્બર, ૨૦૨૫ઃ કોર્ટે સ્કૂલ, હોસ્પિટલ અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએથી શ્વાનનોને તાત્કાલિક હટાવવાનો આદેશ આપ્યો અને સૂચના આપી કે તેમને ફરી એ જ જગ્યાએ ન છોડવામાં આવે.૩ નવેમ્બર, ૨૦૨૫ઃ કોર્ટે મુખ્ય સચિવોને હાજર રહેવા આદેશ આપ્યો હતો. બિહારના મુખ્ય સચિવે ચૂંટણીનું બહાનું કાઢી મુક્તિ માંગી, જે કોર્ટે ફગાવી દીધી અને હાજર રહેવા મજબૂર કર્યા.
૨૭ ઓક્ટોબર, ૨૦૨૫ઃ કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે રખડતા શ્વાન કરડવાની વધતી ઘટનાઓને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી ખરાબ થઈ રહી છે.
૨૨ ઓગસ્ટ, ૨૦૨૫ઃ અગાઉના આદેશમાં સુધારો કરી કોર્ટે નસબંધી અને રસીકરણ બાદ કૂતરાઓને નિર્દિષ્ટ ‘ફીડિંગ ઝોન’ માં રાખવા અને દેખરેખ રાખવા જણાવ્યું હતું.
૧૧-૧૪ ઓગસ્ટ, ૨૦૨૫ઃ આ કેસની શરૂઆતમાં કોર્ટે પ્રથમ વખત કડક વલણ અપનાવી શ્વાનનોને રસ્તા પરથી ઉઠાવી શેલ્ટર હોમમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો.

