- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપથ
- આ સમારોહમાં મુખ્યમંત્રી ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને NCB અને ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ હાજર રહ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૬: મહારાષ્ટ્રના સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવારે શનિવારે મુંબઈના લોકભવન ખાતે રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને NCB અને ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ હાજર રહ્યા હતા.
અજિત પવારનું ૨૮ જાન્યુઆરીએ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અચાનક અવસાન થયું હતું. શપથ ગ્રહણ પહેલાં સુનેત્રા પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય દળના નેતા પણ ચૂંટાયા હતા. તેઓ હવે અજિત પવારના મૃત્યુથી ખાલી પડેલી બારામતી બેઠક માટે પેટાચૂંટણી લડશે. શપથ ગ્રહણ પહેલાં પવારે તેમની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. આ સાથે સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બની ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NCB તેમના મોટા પુત્ર પાર્થ પવારને તેમના સ્થાને રાજ્યસભામાં મોકલશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ સુનેત્રા પવારે તેમના સત્તાવાર નિવાસસ્થાન દેવગીરી બંગલામાં તેમના સ્વર્ગસ્થ પતિ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાજ્યસભા સાંસદ તરીકે સુનેત્રા પવાર વિધાનસભા ભવનમાં પહોંચ્યા હતા, જ્યાં તેમને પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. પાર્ટીના નેતાઓના મતે, આ નિર્ણય સંગઠન અને રાજ્યના રાજકારણ માટે નિર્ણાયક માનવામાં આવે છે. અગાઉ NCB નેતા અનિલ ભાઈદાસ પાટીલે જણાવ્યું હતું કે સુનેત્રા પવાર બારામતીમાં બધી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી અહીં પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ આઘાત એટલો ગંભીર હતો કે તેમના માટે સ્વસ્થ થવું લગભગ અશક્ય હશે. અમારું માનવું છે કે સુનેત્રા પવાર આ સમયે આ જવાબદારી સંભાળી શકે છે, કારણ કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ ટૂંક સમયમાં આવી રહી છે. અજિત પવાર ચૂંટણીમાં તેમણે ઉભા રાખેલા તમામ ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા માટે પ્રવાસ કરી રહ્યા હતા. અજિત પવારના અવસાન પછી ઉમેદવારોનું સંચાલન કરવાની જવાબદારી હવે સુનેત્રા પવાર પર આવશે.
સુનેત્રા પવારે ગયા વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે બારામતીથી તેમની ભાભી સુપ્રિયા સુલે સામે લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. ત્યારબાદ ૧૮ જૂન, ૨૦૨૪ના રોજ તેઓ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા હતા. હવે તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા છે. સુનેત્રા પવારની કુલ સંપત્તિ તેમના પતિ અજિત પવાર કરતાં વધુ છે. તેમની પાસે ૧૫૦ કરોડથી વધુની સંપત્તિ છે. ૨૦૨૪માં દાખલ કરાયેલા તેમના સોગંદનામા મુજબ, તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે ૩ લાખ રોકડા છે. સુનેત્રા પવાર પાસે સરકારી, સહકારી અને ખાનગી બેંકો સહિત અનેક બેંક ખાતા છે. તેમની પાસે કુલ ૬ કરોડ જમા છે. વધુમાં તેમની પાસે ૬૬ લાખથી વધુ મૂલ્યના બોન્ડ અને કંપનીના શેર છે. સુનેત્રા પવાર પાસે મુંબઈ, પુણે અને બારામતી સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જમીન છે. તેમની પાસે ખેતીની જમીન, રહેણાંક મકાનો, પ્લોટ અને વ્યાપારી ઇમારતો સહિત ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની મિલકતો છે.

