સંસદમાંથી બહાર આવી તેમણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મામલે વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૩ ફેબ્રુઆરી ૨૦૨૬ — લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે સતત બીજા દિવસે સંસદમાં ભાષણ આપી શક્યા નહીં. તેઓ લોકસભામાં ડોકલામ તથા ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવવા માંગતા હતા. રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન આજે સતત બીજા દિવસે હારે હોબાળો થયો અને ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી. જે બાદ સંસદમાંથી બહાર આવી તેમણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મામલે વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા ડીલ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. સંસદ બહાર પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી હાલ ભારે દબાણ હેઠળ છે અને તેના કારણે દેશના હિતો સાથે બાંધછોડ કરી રહ્યા છે. તેઓ ગભરાઈ ગયા છે. ભારત-અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ છેલ્લા કેટલાક મહિનાઓથી અટકી ગઈ હતી, તેના પર ગત રાત્રે નરેન્દ્ર મોદીએ હસ્તાક્ષર કરી દીધા. તેમના પર ભારે દબાણ છે અને તેમની છબી ખરડાઈ જવાનો તેમને ડર છે.
વડાપ્રધાન મોદી ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ છે. મુખ્ય વાત એ છે કે વડાપ્રધાન અત્યારે સમાધાનકારી સ્થિતિમાં છે. આ બાબતે પ્રજાએ વિચારવાની જરૂર છે.
ઈતિહાસમાં પહેલીવાર વિપક્ષના નેતાને રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલવા દેવામાં આવ્યા નથી.’
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, હજારો કરોડ રૂપિયાના ખર્ચે તેમની ઈમેજનો જે ફુગ્ગો બનાવવામાં આવ્યો હતો, તે હવે ફૂટવાની તૈયારીમાં છે. કારણ શું છે તે હું અને તે બંને જાણે છે. ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલમાં PM મોદીએ દેશવાસીઓની, ખેડૂતોની મહેનત વેચી નાંખી છે. તેમણે દેશ વેચી નાંખ્યો. તેથી મને બોલવામાં રોકવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, જે લોકોએ PM મોદીની ઈમેજ બનાવી છે, તે જ ફોડી રહ્યા છે. અમેરિકામાં અદાણી પર કેસ ચાલી રહ્યો છે, એપસ્ટિન ફાઈલ્સમાં પણ હજુ ઘણી જાણકારી હજુ જાહેર નથી થઈ. આ બે ’પ્રેશર પોઈન્ટ’ છે જેના કારણે PM મોદી પર દબાણ છે.

