કરોડો રૂપિયાના ઇનામની કરી જાહેરાત
ફાઇનલમાં ઇંગ્લેન્ડને ૧૦૦ રને હરાવીને ટીમ ઇન્ડિયાએ છઠ્ઠી વાર વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૭ ફેબ્રુઆરી ૨૦૨૬: અંડર ૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને ૧૦૦ રને હરાવીને ટીમ ઇન્ડિયાએ છઠ્ઠી વાર વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો. વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર ટીમ માટે બીસીસીઆઈએ પોતાનો ખજાનો ખોલી દીધો છે. બોર્ડે ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને સિલેક્શન કમિટી માટે કુલ ૭.૫ કરોડ રૂપિયાની ઇનામી રકમની જાહેરાત કરી છે. આ જાણકારી બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સૈકિયાએ આપી છે. BCCIની ગણતરી દુનિયાની સૌથી અમીર બોર્ડમાં થાય છે, તેણે પોતાના ઉભરતા સ્ટાર્સ માટે ઇનામની જાહેરાત કરી છે.
BCCI સચિવ દેવજીત સૈકિયાએ માહિતી આપી છે કે, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં અંડર-૧૯ વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમને ૭.૫ કરોડ રૂપિયાનું કેશ ઇનામ આપવામાં આવશે. ખેલાડીઓ, ટેકનિકલ સ્ટાફ અને પસંદગી સમિતિ વચ્ચે આ રકમ કેવી રીતે વહેંચાશે તેના પર કામ ચાલી રહ્યું છે, પણ કુલ ઇનામ ૭.૫ કરોડ રૂપિયા જ રહેશે. આખી ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
૧૪ વર્ષના વૈભવ સુર્યવંશીએ ઇંગ્લેન્ડ સામે ફાઇનલ મેચમાં માત્ર ૮૦ બોલમાં ૧૭૫ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. તેમની આ ઇનિંગ્સના કારણે ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી અને ૯ વિકેટે ૪૧૧ રન બનાવ્યા હતા, જેના કારણે ઇંગ્લેન્ડને સરળતાથી હરાવી દીધું. વૈભવે પોતાની ઇનિંગ્સ દરમિયાન ૧૫ છગ્ગા અને ૧૫ ચોગ્ગા ફટકાર્યા હતા.
તેમને આ શાનદાર પ્રદર્શન બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’નો એવોર્ડ પણ મળ્યો હતો. એવોર્ડ મળ્યા પછી સુર્યવંશીએ કહ્યું કે ટીમે ફાઇનલમાં કોઈ પણ પ્રકારનો અનાવશ્યક દબાણ ન લેવાનો નિર્ણય કર્યો હતો અને આ વિચારથી જ ટ્રોફી જીતવામાં મોટી મદદ મળી.
તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ જીત્યા પછી સામાન્ય રીતે ICC પણ ટીમને ઇનામ આપે છે. પણ અંડર-૧૯ વર્લ્ડ કપમાં એવું થયું નહીં. ટીમ ઇન્ડિયાને આ વિજય માટે ICC તરફથી કોઈ ઇનામ મળ્યું નહીં અને ખેલાડીઓ ફક્ત મેડલ લઈને પરત ફર્યા. હકીકતમાં, અંડર-૧૯ લેવલે ICC કોઈ પ્રકારનું ઇનામ આપતું નથી, કારણ કે આ ટૂર્નામેન્ટ યુવા ખેલાડીઓના વિકાસ માટે રમાય છે. આ કારણસર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને આ મેચમાં ICC તરફથી કોઈ ઇનામ મળ્યું નથી.

