Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

US ટ્રેડ ડીલના નામે ભારતના ખેડૂતો સાથે દગો : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીને પૂછ્યા ૫ સવાલ

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ ફરી અમેરિકા સાથેના વેપાર કરાર અંગે પ્રશ્નો ઉઠાવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬: ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યા બાદ હવે સોશિયલ મીડિયા પર સરકારને ૫ તીખા સવાલો પૂછ્યા છે. ગાંધીએ કહ્યું કે, “યુએસ ટ્રેડ ડીલના નામે આપણે ભારતના ખેડૂતો સાથે વિશ્વાસઘાત થતો જોઈ રહ્યા છીએ.” રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, ખેડૂતોને આ મુદ્દે સ્પષ્ટતા મળવી જ જોઈએ. તેમણે ચિંતા વ્યક્ત કરી કે, શું આપણે કોઈ બીજા દેશને ભારતની ખેતી પર લાંબા ગાળા માટે પકડ જમાવવા દઈ રહ્યા છીએ?

રાહુલ ગાંધીના ૫ મુખ્ય સવાલોઃ
૧. પશુ આહાર અને દૂધ ઉત્પાદનઃ DDG (ડ્રાઈડ ડિસ્ટિલર્સ ગ્રેન્સ) આયાત કરવાનો ખરેખર અર્થ શું છે? શું તેનો અર્થ એ છે કે, ભારતીય પશુઓને અમેરિકાના જીનેટિકલી મોડિફાઈડ (GM) મકાઈમાંથી બનેલો ખોરાક ખવડાવવામાં આવશે? શું આનાથી આપણું ડેરી ક્ષેત્ર અમેરિકા પર નિર્ભર નહીં થઈ જાય?

૨. સોયા ખેડૂતોનું ભાવિઃ જો આપણે જીનેટિકલી મોડિફાઈડ સોયા તેલની આયાતને મંજૂરી આપીએ, તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના સોયા ખેડૂતોનું શું થશે? તેઓ ભાવમાં આવનારા કડાકાને કેવી રીતે સહન કરશે?

૩. કઠોળ અને અન્ય પાકોઃ જ્યારે તમે ’વધારાની પેદાશ’ની વાત કરો છો, ત્યારે તેમાં કઈ વસ્તુઓ સામેલ છે? શું આ ભવિષ્યમાં કઠોળ અને અન્ય પાકો માટે અમેરિકાના દબાણ સામે દરવાજા ખોલવાનો સંકેત છે?

૪. MSP અને સરકારી ખરીદીઃ બિન-વ્યાપારી અવરોધો દૂર કરવાનો અર્થ શું છે? શું ભવિષ્યમાં ભારત પર ય્સ્ પાકો અંગેના કડક નિયમો હળવા કરવા અથવા સ્જીઁ (ટેકાના ભાવ) અને બોનસ ઘટાડવાનું દબાણ કરવામાં આવશે?

૫. ભવિષ્યની સુરક્ષાઃ એકવાર આ દરવાજો ખુલી જશે, પછી દર વર્ષે તેને વધુ ખુલતો કેવી રીતે રોકી શકાશે? શું આ રોકવા માટે કોઈ યોજના છે, કે પછી દર વખતે નવી નવી ખેતી પેદાશોને સોદાબાજી માટે ટેબલ પર મૂકવામાં આવશે?

રાહુલ ગાંધીએ સંસદમાં પણ આક્ષેપ કર્યો હતો કે, સરકારે દબાણમાં આવીને ખેડૂતોની મહેનત અને લોહી-પરસેવાથી કમાયેલો કોળીયો પણ છીનવી લીધો છે. “સરકાર ગભરાયેલી છે. જે ટ્રેડ ડીલ ચાર મહિનાથી અટકેલી હતી, તેમાં કોઈ જ ફેરફાર નહી આવતા છેવટે હસ્તાક્ષર કરવા માટે મજબુર બની છે. કેન્દ્ર સરકાર પર ભારે દબાણ છે અને તેમની છબીનો જે ફુગ્ગો હજારો કરોડો ખર્ચીને બનાવાયો હતો, તે હવે ફૂટી શકે છે.”

Related posts

આંતરરાષ્ટ્રીય રાજકારણ, કાયદો અને વૈશ્વિક શાંતિ પર તેની અસર – પર આધારિત છે. વિગતવાર અને વ્યાપક વિશ્લેષણ

Master Admin

મણિકર્ણિકા ઘાટ વિવાદ : કાશીને બદનામ કરવા તૂટેલી મૂર્તિઓ લાવીને ભ્રમ ફેલાવાયો

Master Admin

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ

Master Admin

Leave a Comment

Translate »