૨ પાણીના એકમો સીલ કરાયા
ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૭૬ પાણીના સેમ્પલ અનફિટ જાહેર થયા છે, જ્યારે મે મહિનામાં જ ૯ સ્થળોના રિપોર્ટ અનફિટ આવ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૨ મે ૨૦૨૬ — અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીની સાથે પાણીજન્ય રોગચાળામાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. મે મહિનાના શરૂઆતના દિવસોમાં જ ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસોમાં ઉછાળો આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું છે કે, તંત્ર દ્વારા રોગચાળાને નાથવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
મળતી વિગતો મુજબ, માત્ર મે મહિનામાં જ શહેરમાં ઝાડા-ઊલટીના ૨૧૭ કેસ નોંધાયા છે. આ ઉપરાંત, ટાઈફોડના ૪૧ અને કમળાના ૧૦ કેસ નોંધાતા તંત્ર ચિંતિત બન્યું છે. ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૭૬ પાણીના સેમ્પલ અનફિટ જાહેર થયા છે, જ્યારે મે મહિનામાં જ ૯ સ્થળોના રિપોર્ટ અનફિટ આવ્યા છે.
શહેરમાં ઠેર-ઠેર ૩૧ જેટલા સ્થળોએ રૂટીન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી હેઠળ ૧૯ જેટલી બરફ ફેક્ટરીઓમાં તપાસ કરી બરફની ગુણવત્તા ચકાસાઈ છે.પાણીના સેમ્પલ ફેલ થતા ૨ પાણીના જગ સપ્લાય કરતા યુનિટને સીલ કરી દેવામાં આવ્યા છે.
શહેરમાં કાર્યરત ૨૦૦ જેટલા પાણીના જગ યુનિટમાં રોજ ક્લોરિનની ચકાસણી કરવામાં આવી રહી છે. ગરમીમાં વપરાતા શેરડીના રસ, બરફના ગોળા અને પીવાના પાણીના સ્ત્રોતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

