Nirmal Metro Gujarati News
national

આ લોકો રામ મંદિર અને કાશી વિશ્વનાથ ધામનો વિરોધ કરતા હતા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા

ઉત્તર પ્રદેશ હવે ફિયર ઝોનમાંથી ફેથ ઝોનમાં બદલાઈ ગયું છે. હવે કર્ફ્‌યુ કલ્ચરનો નહીં, પણ ઝીરો ટોલરન્સનું કલ્ચર છે : યોગી આદિત્યનાથ

(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનૌ, તા.૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬:
ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં સોમવારે રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, પાછલી સરકારોએ ઉત્તર પ્રદેશને અરાજકતા અને અવ્યવસ્થાનો ગઢ બનાવી દીધો હતો, પરંતુ આજે ડબલ એન્જિન સરકારની સ્પષ્ટ નીતિ અને સુશાસનના કારણે રાજ્ય બીમારુ રાજ્યની શ્રેણીમાંથી બહાર આવીને બ્રેકથ્રૂ સ્ટેટ બન્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘૨૦૧૭ પહેલા રાજ્યમાં ગુંડાઓ અને માફિયાઓ સમાંતર સરકાર ચલાવતા હતા. તે સમયે વન ડિસ્ટ્રિક્ટ વન માફિયાનું રાજ હતું અને ઉત્તર પ્રદેશની છબી અસ્થિરતા તરીકે ઓળખાતી હતી. આજે સ્થિતિ બદલાઈ છે અને ઉપદ્રવ પ્રદેશ ઉત્સવ પ્રદેશ બની ગયો છે. રાજ્યમાં હવે ન તો રમખાણો થાય છે ન તો કર્ફ્‌યુ લાગે છે, હવે બધું જ ચંગા છે.’ યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશ હવે ફિયર ઝોનમાંથી ફેથ ઝોનમાં બદલાઈ ગયું છે. હવે કર્ફ્‌યુ કલ્ચરનો નહીં, પણ ઝીરો ટોલરન્સનું કલ્ચર છે. હવે ફેસ્ટિવલ એન્ડ ટેમ્પલ ઈકોનોમી ગ્રોથ કરી રહી છે. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે અગાઉ માઘ મેળામાં કેટલાક લાખ જ શ્રદ્ધાળુઓ આવતા હતા, ત્યારે હવે ૨૧ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે, કારણ કે તેમને સુરક્ષા-વ્યવસ્થા પર વિશ્વાસ છે.’

રોજગારના મુદ્દે વિગતો આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘પોલીસ વિભાગમાં ૨.૧૯ લાખ ભરતીઓ કરવામાં આવી છે, જેમાં ૨૦ ટકા દીકરીઓ છે. ૨૦૧૭માં યુપી પોલીસમાં માત્ર ૧૦,૦૦૦ મહિલા કર્મચારીઓ હતી, જેની સંખ્યા આજે વધીને ૪૪૦૦૦થી વધુ થઈ ગઈ છે. આ ઉપરાંત અગાઉ માત્ર ૨ ફોરેન્સિક લેબ હતી, જેની સામે આજે ૧૨ લેબ કાર્યરત છે અને અન્ય ૬ નિર્માણાધીન છે. અગાઉની સરકારે પીએસીને બંધ કરવાની સ્થિતિ પર પહોંચાડી દીધું હતું, આજે ૩૪ વાહિનીઓ કાર્યરત છે, જેમાં ૩ નવી મહિલા બટાલિયનનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘વંદે માતરમ ભારતની આન-બાન-શાનનું પ્રતીક છે. રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય નાયકો અને ત્રિરંગાનું અપમાન એ બંધારણની અવગણના છે. સમાજવાદી પાર્ટીના સભ્યો વંદે માતરમનું અપમાન કરી રહ્યા છે, જે બંધારણ અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન છે. સપા રામ મંદિર, કાશી વિશ્વનાથનો વિરોધ કરે છે, જ્યારે ગાઝીના મેળાનું સમર્થન કરે છે. અમારી સરકારે બહરાઈચમાં મહારાજા સુહેલદેવના નામે ભવ્ય સ્મારક બનાવ્યું છે, જે હિન્દુ રાજાઓના શૌર્યનું પ્રતીક છે.’

Related posts

સરકારે ભારત દેશને વેચી નાખ્યો, ટ્રેડ ડીલને લઈને સંસદમાં રાહુલ ગાંધી ગર્જ્યા

Master Admin

ભાજપમાં રાજીનામાની મોસમ શરૂ થઈ, રિસામણાનું રાજકારણ રાજીનામા પર પહોંચ્યું

Master Admin

ભારતનો જીડીપી દર સાત ટકાથી વધુ રહેવાની આશા

Master Admin

Leave a Comment

Translate »