Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યુંઃ અમેરિકા પાસેથી ઓઈલની ખરીદી કરવી એ ભારતના રણનીતિક હિતમાં છે

ભારત અને અમેરિકા વચ્ચે જ્યારથી ટ્રેડ ડીલ થઈ છે ત્યારથી રશિયન ઓઈલની ખરીદીનો મુદ્દો ફરી ચગ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૯ ફેબ્રુઆરી ૨૦૨૬: ગત સપ્તાહે ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલની વિગતો સામે આવી તેમાં રશિયન ઓઈલની ખરીદી મુદ્દે ભારત સરકાર તરફથી કોઈ પ્રતિભાવ જોવા મળ્યો નહતો.

અમેરિકાએ કુલ જે ૫૦ ટકા ટેરિફ લગાવ્યો હતો તે ઘટાડીને ૧૮ ટકા કર્યો જેમાં રશિયન ઓઈલની ખરીદી પર લાગેલો દંડાત્મક ટેરિફ ૨૫ ટકા સંપૂર્ણપણે હટાવ્યો જો કે તે માટે અમેરિકાનું એવું કહેવું હતું કે ભારત હવે રશિયન ઓઈલની ખરીદી નહીં કરે તેના પગલે આ ટેરિફ હટાવ્યો. જો કે ભારત સરકારે આ અંગે કશું જ કહ્યું નહતું પરંતુ વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આડકતરી રીતે આ મુદ્દે જવાબ આપ્યો છે.

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ તેના પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકા પાસેથી ઓઈલની ખરીદી કરવી એ ભારતના રણનીતિક હિતમાં છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ઓઈલની ખરીદી અંગેના નિર્ણયો ઘરેલુ ખરીદાર તરફથી થતા હોય છે. જો કે તેમણે રશિયન ઓઈલની ખરીદી પર કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં.

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલ, એલએનજી કે એલપીજીની ખરીદી કરવી એ ભારતના રણનીતિક હિતમાં છે. કારણ કે ભારત સોર્સિસમાં વિવિધતા લાવી રહ્યું છે.

તેમણે કહ્યું કે પરંતુ નિર્ણયો તો ખરીદનારાઓ તરફથી જાતે જ લેવાતા હોય છે. કોણ કોની પાસેથી ઓઈલની ખરીદી કરશે એ ટ્રેડ ડીલ નક્કી નથી કરતું. સંધિ મુખ્યત્વ બે દેશો વચ્ચે વેપારને ગતિ આપે છે.

પિયુષ ગોયલે વધુમાં કહ્યું કે વેપાર સંધિ એ વેપારનો રસ્તો સરળ બને અને આપણને ખાસ પહોંચ મળે એ નક્કી કરે છે. એફટીએનો અર્થ એ જ હોય છે કે આપણા હરિફોની સરખામણીમાં વિશેષ પહોંચ મેળવવી.

આથી આજે જ્યારે આપણા પર સરખામણીએ અન્ય કરતા ઓછો ૧૮ ટકા જેટલો ટેરિફ છે તો આપણને અન્ય વિકાસશીલ દેશો પર લીડ મળે છે જે સામાન્ય રીતે આપણા હરિફો હોય છે. જેના કારણે મુક્ત વેપાર સંધિ ખુબ આકર્ષક બને છે.

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે જ્યારે આ ડીલની અસર રશિયન ઓઈલ પ્રત્યેના ભારતના વલણ પર પડી છે તો તેમણે કહ્યું કે આ કામ તેઓ જોતા નથી. વિદેશ મંત્રાલય યોગ્ય જવાબ આપી શકે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે અનેક મંત્રાલયો અનેક મુદ્દાઓ પર વાત કરતા હોય છે. ટ્રેડ ડીલ સંલગ્ન વાતો તેમના દાયરામાં આવે છે. એ જ રીતે જિયોપોલિટિકલ મામલાઓ પર વિદેશ મંત્રાલય ધ્યાન આપે છે.

Related posts

ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?

Master Admin

લખનઉમાં ૧૦૦થી વધુ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ૧૦૦૦થી વધુ ઝૂંપડા રાખ

Master Admin

કોંગ્રેસ PMના પાકિસ્તાન સાથે કનેક્શનના પુરાવા મળ્યા

Master Admin

Leave a Comment

Translate »