SIRની કામગીરીને લીધે સરકારનો નિર્ણય
મહેસૂલી તંત્ર વ્યસ્ત હોવાથી સહકારી મંડળીઓની ચૂંટણીનું આયોજન કરવું હાલના તબક્કે મુશ્કેલ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૬ — રાજ્યમાં ચાલી રહેલી ’SIR’ (Special Intensive Revision) ની મહત્ત્વની કામગીરીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા સહકારી ક્ષેત્રને લઈને એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની તમામ નિર્દિષ્ટ સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીઓ આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર રાજ્યમાં જીૈંઇની અત્યંત મહત્ત્વની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં મહેસૂલી તંત્ર વ્યસ્ત હોવાથી સહકારી મંડળીઓની ચૂંટણીનું આયોજન કરવું હાલના તબક્કે મુશ્કેલ છે. આથી, વહીવટી સરળતા ખાતર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જાહેરનામાની મુખ્ય વિગતો
મુક્તિનો ગાળોઃ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી આગામી ૬ મહિના સુધી.
કાયદાકીય જોગવાઈઃ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, કલમ-૭૪(ગ) અને કલમ-૧૪૫(ક) થી (વ) ની જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે.
કોને લાગુ પડશે?ઃ એવી તમામ નિર્દિષ્ટ સહકારી મંડળીઓ જેની ચૂંટણી પ્રક્રિયા હાલ ચાલુ છે અથવા આગામી સમયમાં યોજાવાની હતી.
કોને આ મુક્તિ લાગુ પડશે નહીં? : જે સહકારી મંડળીઓની ચૂંટણી પ્રક્રિયા કોઈ ન્યાયિક હુકમ અથવા કોર્ટના ચુકાદા અંતર્ગત હાથ ધરવામાં આવી રહી હોય, તેવી મંડળીઓને આ મુક્તિ લાગુ પડશે નહીં. એટલે કે, ન્યાયિક આદેશ વાળી ચૂંટણીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. આ નિર્ણયથી રાજ્યના સહકારી માળખામાં અને ચૂંટણીની તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં મોટી અસર જોવા મળશે. મહેસૂલી તંત્ર હવે સંપૂર્ણપણે જીૈંઇ ની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

