ઇરાને કહ્યું કે તે તેના લોકોના હિત માટે પ્રતિબદ્ધ છે
ફેલ વાતચીત અંગે ઇરાને કહ્યું છે કે અમેરિકા એવી બિનજરૂરી માંગણીઓ કરી રહ્યું હતું જે સ્વીકારવી અશક્ય હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
તેહરાન, તા.૧૨ એપ્રિલ ૨૦૨૬ — પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત ૨૧ કલાક પછી અનિર્ણિત રીતે સમાપ્ત થઈ ગઈ છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે કહ્યું કે વાતચીત વિશે સારા અને ખરાબ બંને સમાચાર છે. તેમણે કહ્યું કે, સારા સમાચાર એ છે કે બંને દેશોએ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી.
ખરાબ સમાચાર એ છે કે તેઓ કોઈપણ કરાર વિના પાકિસ્તાન છોડી રહ્યા છે. તેમણે કહ્યું કે ઈરાનને અંતિમ અને શ્રેષ્ઠ ઓફર આપવામાં આવી છે, અને હવે તે સ્વીકારવી કે નહીં તે તેમના પર નિર્ભર છે. આ દરમિયાન, ઇરાને કહ્યું કે ગેરવાજબી માંગણીઓને કારણે વાતચીત નિષ્ફળ ગઈ.
ઇરાનના રાજ્ય પ્રસારણકર્તાએ ટેલિગ્રામ પર અહેવાલ આપ્યો કે રાષ્ટ્રીય હિતો અને ઇરાની લોકોના અધિકારોનું રક્ષણ કરવા માટે ઇસ્લામાબાદમાં અમેરિકા સાથે ૨૧ કલાક સુધી વાતચીત કરી. ઇરાની પ્રતિનિધિમંડળના સકારાત્મક વલણ છતાં, યુએસ પક્ષે ગેરવાજબી માંગણીઓ કરી. આના કારણે વાતચીતમાં મડાગાંઠ સર્જાઈ ગઈ અને વાતચીત કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ.
જે.ડી. વેન્સની પ્રેસ કોન્ફરન્સ પછી તરત જ આ નિવેદન બહાર પાડવામાં આવ્યું. યુએસ રાષ્ટ્રપતિએ ચોક્કસપણે દરવાજો ખુલ્લો રાખ્યો છે કે જો ઈરાન તેમના પ્રસ્તાવને સ્વીકારે છે, તો પણ સકારાત્મક પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.
યુએસ ઉપપ્રમુખે કહ્યું કે ખરાબ સમાચાર એ છે કે ઈરાને યુએસની શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તે પરમાણુ શસ્ત્રો વિકસાવવાનું પણ બંધ કરવા માંગતો નથી. વેન્સે કહ્યું કે પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધ એ અમેરિકાનું પ્રાથમિક લક્ષ્ય છે, જેને ઈરાન સ્પષ્ટપણે સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યું છે.
વાતચીત દ્વારા, અમે ઈરાનને આ સમજાવવા માંગતા હતા, પરંતુ તે સમજવા માટે તૈયાર નથી. ખરાબ સમાચાર એ છે કે કોઈ ડીલ થઈ નથી. આ ફક્ત ઈરાન માટે જ નહીં પરંતુ અમેરિકા માટે પણ ખરાબ સમાચાર છે.
વેન્સે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ લગભગ ૬ વખત વાત કરી. નોંધનીય છે કે ૪૭ વર્ષમાં આ પહેલી વાર હતું જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે આ સ્તરે વીતચીત થઈ રહી હતી. વેન્સની ટીમમાં ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર, જે તેમના મુખ્ય સલાહકાર પણ છે, શામેલ હતા. ઈરાનના પ્રતિનિધિઓમાં સંસદના અધ્યક્ષ મોહમ્મદ ગાલિબાફ અને વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીનો સમાવેશ થતો હતો.

