તંત્રીની કલમે….
પશ્ચિમ બંગાળની ધરતી હંમેશા ક્રાંતિ અને સંઘર્ષની સાક્ષી રહી છે. રવીન્દ્રનાથ ટાગોર અને સુભાષચંદ્ર બોઝની આ ભૂમિ પર જ્યારે પણ સત્તાનું પરિવર્તન કે રાજકીય જંગ ખેલાય છે, ત્યારે તેની ગુંજ સમગ્ર દેશમાં સંભળાય છે. વર્ષ ૨૦૨૬ ની વિધાનસભા ચૂંટણી હવે ઉંબરે આવીને ઉભી છે ત્યારે બંગાળનું રાજકારણ ફરી એકવાર રણમેદાનમાં ફેરવાઈ ગયું છે. આ વખતે જંગ માત્ર બે પક્ષો વચ્ચે નથી, પરંતુ બે વિચારધારાઓ અને બે કદાવર નેતાઓ વચ્ચેની પ્રતિષ્ઠાની લડાઈ છે. એક તરફ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી છે, જેઓ ’દીદી’ તરીકે જાણીતા છે અને છેલ્લા દોઢ દાયકાથી બંગાળ પર એકહથ્થુ શાસન કરી રહ્યા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના આક્રમક નેતા સુવેન્દુ અધિકારી છે, જેમને હવે બંગાળના રાજકારણમાં ‘દાદા’ તરીકે ઓળખવામાં આવે છે. આ જંગ ખરાખરીનો છે કારણ કે ૨૦૨૬ ની આ ચૂંટણી બંગાળનું ભવિષ્ય અને દિલ્હીના રાજકારણની દિશા નક્કી કરશે.
મમતા બેનર્જી માટે આ ચૂંટણી તેમની સત્તા બચાવવા કરતાં પણ વધુ તેમની રાજકીય વિરાસતને જાળવી રાખવાની લડાઈ છે. ૨૦૧૧ માં ડાબેરીઓના ૩૪ વર્ષના શાસનને ઉખેડી ફેંકનાર દીદીએ બંગાળમાં મા, માટી અને માનુષનો નારો આપીને જનતાના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. જોકે, ૧૫ વર્ષના શાસન બાદ હવે એન્ટી ઇન્કમ્બન્સી એટલે કે સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. સંદેશખાલી જેવી ઘટનાઓ, શિક્ષક ભરતી કૌભાંડ અને ભ્રષ્ટાચારના આક્ષેપોએ તૃણમૂલ કોંગ્રેસની છબી પર પ્રહાર કર્યા છે. તેમ છતાં, મમતા બેનર્જીની લોકપ્રિયતા અને તેમની કલ્યાણકારી યોજનાઓ જેમ કે લક્ષ્મી ભંડાર આજે પણ ગરીબ અને ગ્રામીણ મતદારોમાં મજબૂત પકડ ધરાવે છે. ભવાનીપુરની બેઠક પરથી જ્યારે તેઓ પોતે મેદાનમાં ઉતરે છે, ત્યારે તે સંકેત છે કે તેઓ આ લડાઈને છેલ્લી ઘડી સુધી લડવા માટે તૈયાર છે. દીદીની વ્યૂહરચના હંમેશા બંગાળી અસ્મિતા અને કેન્દ્ર સરકાર સામેના સંઘર્ષ પર કેન્દ્રિત રહી છે, જે આ વખતે પણ તેમનું મુખ્ય હથિયાર છે.
બીજી તરફ, બીજેપીએ બંગાળમાં પોતાની શક્તિ અસાધારણ રીતે વધારી છે. ૨૦૧૯ ની લોકસભા અને ૨૦૨૧ ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ જે રીતે ઉછાળો માર્યો હતો, તેનાથી તે સાબિત થઈ ગયું છે કે હવે બંગાળમાં તૃણમૂલનો સામનો કરી શકે તેવો કોઈ મજબૂત પક્ષ હોય તો તે બીજેપી છે. સુવેન્દુ અધિકારી, જેઓ એક સમયે મમતા બેનર્જીના જ ખાસ ગણાતા હતા, તેઓ હવે તેમના સૌથી મોટા દુશ્મન બનીને ઉભરી આવ્યા છે. ૨૦૨૧ માં નંદીગ્રામમાં મમતા બેનર્જીને પરાજય આપીને તેમણે પોતાની તાકાત બતાવી દીધી હતી. બીજેપી માટે બંગાળ માત્ર એક રાજ્ય નથી, પરંતુ એક એવો ગઢ છે જેને જીતવા માટે તેઓ વર્ષોથી મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતૃત્વની સીધી દેખરેખ અને પાયાના સ્તરે કાર્યકરોનું નેટવર્ક બીજેપીને આ વખતે વધુ આશાવાદી બનાવે છે. બીજેપીના એજન્ડામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મહિલાઓની સુરક્ષા અને ઘૂસણખોરી જેવા મુદ્દાઓ અગ્રેસર છે, જે મધ્યમ વર્ગના મતદારોને આકર્ષી રહ્યા છે.
આ ચૂંટણીમાં ભવાનીપુર બેઠક કેન્દ્રસ્થાને રહેવાની છે. મમતા બેનર્જી વિરુદ્ધ સુવેન્દુ અધિકારીનો જંગ એ માત્ર એક મતવિસ્તારની લડાઈ નથી, પણ સમગ્ર રાજ્યના મૂડનું પ્રતિબિંબ છે. તૃણમૂલ કોંગ્રેસે જે રીતે ઉમેદવારોની યાદી જાહેર કરીને આક્રમક પ્રચાર શરૂ કર્યો છે, તેની સામે બીજેપી પણ પોતાની રણનીતિને ધારદાર બનાવી રહી છે. આ લડાઈમાં ડાબેરીઓ અને કોંગ્રેસનું અસ્તિત્વ પણ દાવ પર છે. જો મતોનું વિભાજન થાય તો તેનો સીધો ફાયદો કોને મળશે તે જોવું રસપ્રદ રહેશે. બંગાળની જનતા આ વખતે પરિવર્તનની લહેર પર સવાર થશે કે ફરી એકવાર પોતાની દીદી પર ભરોસો મૂકશે, તે તો સમય જ બતાવશે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે ૨૦૨૬ નું રણમેદાન લોહીલુહાણ અને ભારે રસાકસી વાળું રહેવાનું છે. આ લડાઈમાં જે જીતશે તે બંગાળના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખશે.
નરેન્દ્ર જોષી

