વડોદરાના રાજકારણમાં નવો વળાંક
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ નિલમ શ્રીવાસ્તવને ખેસ પહેરાવીને કોંગ્રેસ પાર્ટીમાં આવકાર્યા કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા, તા.૨૯ માર્ચ ૨૦૨૬ — સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ વડોદરાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના એક સમયના દબંગ અને બાહુબલી ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવના દીકરી નિલમ શ્રીવાસ્તવ તેમના પતિ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. આ સાથે જ વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા થયેલી નવાજૂની નવો વળાંક લેશે.
વાઘોડિયાના ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રી કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા નિલમ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાતા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ખેસ પહેરાવી તેમને કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો છે. તો નિલમ શ્રીવાસ્તવના પતિ ધનંજય નિગમ પણ તેમની સાથે કોંગ્રેસમાં જોડાયા.
ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ વર્ષ ૧૯૯૫ થી ૨૦૨૨ સુધી વાઘોડિયા બેઠક પર ભાજપના ધારાસભ્ય રહ્યા હતા. વર્ષ ૨૦૨૨માં ભાજપે ટિકિટ કાપતાં તેમણે ભાજપથી છેડો ફાડ્યો હતો. તેમની છાપ આજે પણ દબંગ નેતા તરીકેની છે. ભાજપમાં તેમનું સારું એવું વર્ચસ્વ પણ રહ્યું હતું. જોકે ભાજપ સામે જ અનેકવાર બળવાખોરી કરતા તેમનું કદ ઘટતું જઈ રહ્યું હતું. જેના બાદ ભાજપે તેમની ટિકિટ કાપી હતી. પહેલા તેમના પુત્રને ભાજપની ટિકિટ ન મળી, તેના બાદ તેમની પુત્રીની ટિકિટ પણ ભાજપે કાપી નાંખી હતી. વાઘોડિયાની ગોરજ બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની પુત્રી નીલમ શ્રીવાસ્તવે ટિકિટ માંગી હતી, પરંતુ ભાજપે ગત વિધાનસભામાં નિલમ શ્રીવાસ્તવની ટિકિટ કાપી હતી. શ્રીવાસ્તવે આ પહેલા પણ ભાજપ સામે બળવો કરીને તાલુકા પંચાયતમાં પોતાની પેનલ ઉભી રાખી હતી પણ તેમના ૩ ઉમેદવારો જ જીતી શક્યાં હતાં. મધુ શ્રીવાસ્તવના કારણે વાઘોડિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સતા મળી તેવી રજૂઆત પણ પક્ષને કરાઈ હતી.
તો બીજી તરફ અમિત ચાવડાએ નિલમ શ્રીવાસ્તવને કોંગ્રેસમાં આવકારતા કહ્યું કે, ભાજપના શાસનથી ત્રસ્ત અનેક લોકો કોંગ્રેસમાં જોડાયા છે. કમિશન કમલમ અને કૌભાંડની સત્તાથી મુક્તિ માટે લોકો કોંગ્રેસ તરફ વળ્યા છે. ભાજપના ભ્રષ્ટાચારી શાસકોની ગુનાહિત બેદરારીને કારણે વડોદરામાં દર વર્ષે પૂર આવે છે. તારાજી સામે વડોદરાના નાગરિકોની વાત કોઈ સાંભળતું નથી. હરણી બોટકાંડ માટે વડોદરા મનપાની નીતિ જવાબદાર છે. હરણી બોટ કાંડ અંગે ભાજપના કોર્પોરેટરે સવાલ કર્યો તો તેને પાર્ટી છોડવી પડી. વડોદરાના સત્તા બેઠકમાં લોકો સવાલ કરે તો તેમને પાર્ટીમા દૂર કરવામાં આવે છે. વડોદરા અલગ અલગ વિસ્તારમાં ભ્રષ્ટાચારથી ત્રસ્ત લોકોએ કોંગ્રેસમાં જોડાયા છે. વડોદરા અને આખા ગુજરાતમાં હવે પરિવર્તન જોવા મળી રહ્યું છે. વડોદરામાં પારદર્શક શાસન સ્થાપવાનું અમિત ચાવડાનુ વચન છે.

