Nirmal Metro Gujarati News
article

આપણી મહામોહ રૂપી વૃત્તિને મારવા રામકથા કાલિકા છે. સત્તા હોય એ સ્વાર્થ સુધી સક્રિય રહે છે,સત નિરંતર સક્રિય હોય છે

 

“સત્ય ન બોલી શકો તો કમ સે કમ પ્રિયંવદા થઈ જાઓ!”
નિંદા કરનારને નીંદર આવતી નથી
ઈર્ષા કરનારનું આયુષ્ય ઓછું થાય છે.
નિંદાનું સ્થાન જીભ છે,ઈર્ષા મનથી થાય છે અને દ્વૈષ માણસની આંખમાં વસે છે.

રમણીય ભૂમિ ગોકર્ણ અને મહાબલેશ્વર(કર્ણાટક)માં ચાલી રહેલી નવ દિવસીય રામકથાનાં ચોથા દિવસે આરંભે બે વિવિધ શ્લોકનું બાપુએ પઠન કર્યું જેમાં એક:
કુટસ્થો ચ મહાબાહુ રામ: કમલ લોચન:…. વિસ્તારથી પાઠ કરી અને કહ્યું કે અદભુત રામાયણનો આ શ્લોક જેમાં રાવણ કહે છે કે જાનકીની સામે જ્યારે રામનું રૂપ લઉં છું ત્યારે મારી કઈ પરિસ્થિતિ થાય છે!-એ મૂળ પાઠનું બાપુએ પઠન કરીને કાગબાપુએ પણ ગુજરાતીમાં લખ્યું છે કે રામનું જ્યાં રૂપ ધરું ત્યાં કેવા-કેવા સંકલ્પ આવે છે. કુંભકર્ણને જગાડતા સમયે રાવણ કહે છે કે રામનું રૂપ લઉં છું ત્યારે પરનારી તો શું,બ્રહ્મપદ પણ તુચ્છ લાગે છે.
બાપુએ મૌનના ત્રણ પ્રકારની વાત કરી:એક ક્રિએટિવ કે સર્જન કરે છે,એક નેગેટિવ-નિષેધાત્મક અને એક પોઝિટીવ મૌન
રામાયણના ત્રણ નારી પાત્રો ઉર્મિલા એ સર્જનાત્મક મૌન છે,અને એ જ રીતે નેગેટિવ મૌનનું ઉદાહરણ શત્રુઘ્ઘના પત્ની શ્રૂતિ-કીર્તિ એ નકારાત્મક મૌન છે. શ્રુતિ નકારાત્મક હોય.અને માંડવીનું મૌન પોઝિટિવ છે.ભરત માંડવીને મળ્યા નથી છતાં પણ માંડવી બિલકુલ પોઝિટિવ રહે છે.મૌન ખૂબ મોટી સાધના છે સત્તા હોય એ સ્વાર્થ સુધી સક્રિય રહે છે,સત નિરંતર સક્રિય હોય છે.મહર્ષિ અરવિંદ,રમણ મૌન સાધક રહ્યા એમ પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્ર પણ ખૂબ મૌન રહ્યા છે.મૌનમાંથી એક ઉર્જા ઉત્પન્ન થાય છે. નગીન બાપા કહેતા કે શબ્દ એ આપણે આપણને ઢાંકવાનો ઉપાય છે.શબ્દોથી બીજાને છેતરી શકાય છે પણ શબ્દને છેતરી શકાતો નથી.
બીજા એક મંત્રનું પણ પઠન કર્યું જેમાં ઋષિ કહે છે કે જ્યારે વક્તા બોલે છે ત્યારે મારું મન મારી વાણીમાં પ્રતિષ્ઠિત થાવ અને મારી વાણી એ મારા મૌનની અંદર પ્રતિષ્ઠિત બનો.આવું આટલા વર્ષથી વ્યાસપીઠ પર બોલીને અનુભવ થયો છે.વાણી સ્ત્રી છે મન નાન્યતર છે છતાં પણ બંને વચ્ચે ગઠબંધન છે મારા મનમાં હોય તે જ મારી વાણીમાંથી નીકળે અને મારી વાણીમાં મારું મન પૂરેપૂરું ડૂબેલું રહે એવું ઋષિ કહે છે.વક્તા બોલે એ પહેલા એની રક્ષા કરજો. કારણ કે કંઈનું કંઈ આપણે બોલી નાંખીએ છીએ. બાપુએ કહ્યું કે સત્ય ન બોલી શકો તો કમ સે કમ પ્રિયંવદા થઈ જાઓ.અહીં સત્યનો નિષેધ નથી પણ પ્રિયંવદાનો પ્રયોગ કરો.પ્રિય બોલો.
સવાભગતનું પદ છે મરણતિથિનો બાવાજી મહિમા છે મોટો..
બાપુએ કહ્યું કે સત્ય જમણી આંખ છે.સત્ય એ સૂર્ય છે.વચ્ચેની શિવની આંખ જે અગ્નિની આંખ છે કરુણા એ ડાબી આંખ છે અને વચ્ચેની આંખ જે અગ્નિની આંખ છે એ પ્રેમ છે.પ્રેમ આગ છે,જ્વાળા છે.ત્રીજી આંખ અગ્નિ તત્વ છે.
ભૂખની આગ,જઠરાગ્નિ,પ્રેમાગ્ન્,ક્રોધાગ્નિ અને ઈર્ષાનો પણ અગ્નિ હોય છે.નિંદા કરનાર ને નીંદર આવતી નથી.જેના જીવનમાં નિંદા વધારે હોય એ સુઈ શકતા નથી.ઈર્ષા કરનારનું આયુષ્ય ઓછું થાય છે.નિંદાનું સ્થાન જીભ છે,ઈર્ષા મનથી થાય છે અને દ્વૈષ માણસની આંખમાં વસે છે.
ઘણી વસ્તુ વહેંચવાથી વધે છે:
શાસ્ત્ર,વિદ્યા,વાણી વિમલ,વીરડા જલ,વિજ્ઞાન;
દાન દયા અને માન તે વાપર્યા વધે વિઠ્ઠલા.
મોહ અને મહામોહમાં કેટલો ફેર છે?આમ તો બંને અસૂર છે.રાવણ મોહ છે મહિષાસુર મહામોહ છે. મોહરૂપી રાવણને ભગવાન મારે છે પણ મહિષાસુર રક્તબીજની જેમ વારંવાર ઉત્પન્ન થાય છે.મોહવૃત્તિ મરતી નથી.અસૂરને રામ મારી શકે આસૂરી વૃત્તિનો રામેશ્વરી-જાનકી સંહાર કરે છે.
આપણી મોહવૃત્તિને મારવા માટે રામકથા કાલિકા છે. એ પછી નરસિંહની હૂંડીનો રસાળ પ્રસંગ ખુબ સરસ રીતે ગાઇને કહ્યું રામકથા ચાર ફળ આપે છે:
પુંગીફલ,કદલી,આમ્ર અને શ્રીફળ.એટલે કે સોપારી કેળું,કેરી અને શ્રીફળ.સોપારી ધર્મ છે,કેળું અર્થ છે, આમ્ર કામ છે અને શ્રીફળ-મોક્ષ ખૂબ કઠિન છે.
આપણી મહામોહ રૂપી વૃત્તિને મારવા રામકથા કાલિકા છે.

કથા વિશેષ:
બુધ્ધનો હિસાબ બરાબર રહ્યો
બાપુએ બુદ્ધના કાળની એક વાત કરી.બૌધકાળમાં એક મહિલા-જેનું નામ પ્રિયંવદા હતું.બુદ્ધ ભિક્ષા લેવા નીકળે છે અને પ્રિયંવદા ખૂબ યુવાન છે એના આંગણામાં બુદ્ધ પહોંચે છે.બુદ્ધ કોઈને જોતા નથી અને પાત્ર ફેલાવીને ઊભા છે.સાધુનું શીલ જુઓ! પ્રિયંવદાએ બુદ્ધને પહેલીવાર જોયા.એકીટશે તાકતી રહી.ભિક્ષામાં વિલંબ થયો.બુદ્ધ પાત્ર ધરીને ઊભા છે.રાહ જુએ છે કે પાત્રમાં શું પડે છે એજ જોવાનું છે.ઘણા સમય સુધી જોતી રહી અને પછી પ્રિયંવદાની આંખમાંથી બે આંસુ બુદ્ધના પાત્રમાં પડે છે.જાણે કે સાતેય સમુદ્રને એવું લાગ્યું કે આ બે આંસુ સામે અમારી પ્રતિષ્ઠા કંઈ નથી! તે પછી વર્ષો સુધી પ્રતિક્ષા કરતી રહી કે ક્યારે આવે.ઉંમર પોતાનું કામ કરે છે.પ્રિયંવદા ખૂબ રોગોથી ઘેરાઈ ગઈ. શારીરિક રોગ તો છે જ પણ વિરહનો માનસિક રોગ પણ શરીરને અસર કરી ગયો.બુદ્ધને જોવા માટે તરસે છે,આંખ અપલક રહી ગઈ છે,રોગોએ ઘેરી લીધી છે.અને એક વખત બુદ્ધ તથાગતોની સામે દેષણા કરતા હતા અને એક ભીખ્ખુ દોડીને આવ્યો, વિવેક થાય તો માફ કરજો,પ્રિયંવદા ખૂબ બીમાર છે અને બુદ્ધ પ્રવચન અડધું છોડીને ગયા,પ્રિયંવદાની સામે ઊભા રહ્યા,એ જ રીતે જ્યારે વર્ષો પહેલા એ જ આંગણામાં ઉભા હતા.અને ઘટના એવી ઘટી કે એક પંખી પાંખો ફેલાવીને ઉડી ગયું,પ્રિયંવદાનું પ્રાણ પંખી પણ નીકળી ગયું અને એ વખતે પ્રિયંવદાનાં ચરણમાં બુદ્ધના બે આંસુ પડ્યા!
હરિ ના વિસારે એને હરિ ના વિસારે!
હિસાબ જુઓ! પ્રેમ શું નથી કરી શકતો?

Related posts

From Deals to Dominance: Hem Batra redefines luxury real estate in South Delhi

Reporter1

Indian spiritual leader Morari Bapu dedicates Ram Katha at the United Nations to the organisation for world peace

Reporter1

રાજસ્થાનમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Reporter1
Translate »