Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

આપણો દેશ ત્રિભુવનીય હોવો જોઇએ. બ્રહ્મની કોઇ જાતિ નથી,કોઇ નીતિ નથી,તે કૂળ,ગોત્રથી પર છે

બ્રહ્મ-નામ,રૂપ,ગુણ,દોષથી વર્જિત હોય છે.
એ બ્રહ્મ અવતાર લ્યે ત્યારે આપણે રામ,કૃષ્ણ એવા નામ આપીએ છીએ.
આપણે સ્વથી શરૂ કરી પ્રમાણિક પુરૂષાર્થ કરીએ એ જ સાધન,એ જ ભજન છે,આ જ પાઠ છે.
પૃથ્વિ પર સારા ઢંગથી પગલું મૂકીએ એ પરિક્રમ્મા જ છે.
સારી રીતે વાત કરીએ એ સ્તોત્ર જ છે.
વિશ્વના વડામથક પર ગવાઇ રહેલી રામકથાનાં આઠમા દિવસે ગંગા તટ પર પરમાર્થ નિકેતન આશ્રમમાં રહી દુનિયાભરમાં વિચરણ કરતા સાધુ સ્વામી ચિદાનંદ સરસ્વતીજીએ સુંદર ભાવ પ્રગટ કર્યા.
બાપુએ એમની સાધના,સત્કર્મો એમના સંન્યાસીપણાને પ્રણામ કરીને કહ્યું કે આપ બોલ્યા એ ભાષા નહી,ભાવ હતો.ભાષા કમજોર માધ્યમ છે.દિવાળી પછીની પહેલી કથા ઋષિકેશ થશે ત્યાં ફરી દર્શન થશે એમ પણ જણાવ્યું.
આજે પ્રશ્ન હતો કે આશા અને ઈચ્છા કરવી જોઈએ?
બાપુએ કહ્યું કે:આપણે જીવ છીએ,ઈચ્છા કરતા રહ્યા છીએ,કરીએ છીએ.પણ મારો તો એટલો જ વિનય છે કે ઈચ્છા કરવાથી માણસ વિકસિત થતો હોય તો ઠીક છે.લાખ ઉપદેશ આપીએ,ઈચ્છા છૂટતી નથી.એટલે ઈચ્છા કરો.ખૂબ કરો પણ ઈર્ષા ના કરો. ઈર્ષા નહીં કરો તો ઈચ્છા અમૃતવેલ,કલ્પતરુ થઈ જશે.
બાપુએ કહ્યું કે પરસ્પર દેવો ભવ:શ્રી રંગ અવધૂતનું આ સૂત્ર છે.
રામ રાજ્યનું સૂત્ર છે:સબ નર કરહિ પરસ્પર પ્રીતિ. વિવેકથી નિર્ણય કરો કે ઈચ્છા સમ્યક છે કે હદથી વધારે છે?
બાપુએ કહ્યું કે મદ્ય-શરાબ છૂટી જાય તો ખૂબ સારું પણ મદ્ય છોડો,ન છોડો;મદ છોડો.અહંકાર છોડો.હું જ ઈશ્વર છું,હું જ મહાન છું એમાંથી બહાર આવો. સાધુ સંતો જાગતા હોય છે.સારી વાત છે.નિદ્રા છોડો એવું નહીં પણ એમ કહીશ કે નિંદા છોડો.
ગાંધીજી કહેતા હતા કે સ્વાદ છોડો પણ હું એવું નહીં કહું કે:સ્વાદ છોડો,પણ વાદવિવાદ છોડો.અને એ જ રીતે દેશ છોડવો પડે તો છોડો, કે ના છોડો પણ દ્વૈષ છોડો.
શ્રી શંકરાચાર્યજીના વિવેક ચૂડામણિમાંથી એક શ્લોકનું સમૂહગાન,ઉચ્ચારણ કરાવ્યું:
જાતિ નીતિ કૂલ ગોત્ર દુરંગ
નામ રૂપ ગુણ દોષ વર્જિતમ્
દેશ કાલ વિષયાતિવર્તિ યદ
બ્રહ્મ તત્ તમસિ ભાવ્યાત્માનિ
એટલે કે જે બ્રહ્મ છે એની કોઇ જાતિ નથી.
ગંગા સતી પણ એ જ કહે છે કે:જાતિ રે પાતિ નહિ હરિ કેરા દેશમાં.
બ્રહ્મની કોઇ જાતિ નથી,કોઇ નીતિ નથી,તે કૂળ,ગોત્રથી પર છે.બ્રહ્મ નામ,રૂપ,ગુણ,દોષથી વર્જિત હોય છે.એ બ્રહ્મ અવતાર લ્યે ત્યારે આપણે રામ,કૃષ્ણ એવા નામ આપીએ છીએ પણ આ ગૂઢ મંત્ર છે.બ્રહ્મને આ ભાવથી અનુભૂત કરો.
પૃથ્વિનું કૂળ અને વંશ સૂર્ય છે.
ગોત્ર મંગળ છે.પૃથ્વિનો દેશ આકાશ છે.પૃથ્વિની પ્રવૃત્તિ નિરંતર પરિભ્રમણ કરવાની છે.પૃથ્વિનો સ્વભાવ ધૈર્ય અને સહનશીલતાનો છે.
આપણે પણ આપણા કુટુંબમાં સૂર્યની જેમ પ્રકાશમયી,સૂર્ય જેવા બનીએ.
આપણું ગોત્ર વિશ્વમંગલનું હોવું જોઇએ.
આપણો દેશ ત્રિભુવનીય હોવો જોઇએ.
આવતિકાલે કથા પૂર્ણાહૂતિ દિવસ છે,સવારે ૬ વાગ્યે કથા શરૂ થશે.
કોઇ મંદિરમાં ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠામાં નર નારાયણની પ્રતિષ્ઠા કરે છે અહીં માનસમાં નારાયણ નરને પ્રતિષ્ઠિત કરે છે.સબ તે અધિક મનુજ મોહિ ભાયે.આજે મનુષ્ય ભુલાઇ રહ્યો છે ત્યારે આપણે સ્વથી શરૂ કરી પ્રમાણિક પુરૂષાર્થ કરીએ એ જ સાધન,એ જ ભજન છે.આ જ પાઠ છે.પૃથ્વિ પર સારા ઢંગથી પગલું મૂકીએ એ પરિક્રમ્મા જ છે.સારી રીતે વાત કરીએ એ સ્તોત્ર જ છે.
કાલે આપણે પૂર્ણાહૂતિ વખતે કહીશું કે બીજ વાવી દીધાં છે હવે વાદળ જાણે ને વસુધા જાણે!
લાંબી કથા બાકી હતી એનું વિહંગાવલોકન કરતા અયોધ્યાકાંડનાં શ્લોકથી આરંભ કરી વચ્ચે સુદામા-કૃષ્ણ મિલનની ભાવુક કથાનું ગાન કરતા સંક્ષેપમાં દરેક મહત્વનો પ્રસંગ લઇને રાવણ નિર્વાણ બાદ રામ રાજ્યાભિષેક પ્રસંગ પર કથા વિરામ અપાયો.આવતિકાલે રામ રાજ્ય વિશે ઉપસંહારક વાત કરી કથાની પૂર્ણાહૂતિ થશે.
સ્વામી ચિદાનંદ સરસ્વતીજીનો અસ્ખલિત અંગ્રેજી-હિન્દી-ગુજરાતીમાં સંદેશ
એ બધી ઐતિહાસિક તિથિઓ સાથે હવે આ તિથિ પણ સદીઓ સુધી જોડાશે.
લવ ઇઝ ધ કી,ધ માસ્ટર કી,તમે તમામ પ્રકારના તાળાઓ આ ચાવીથી ખોલી શકશો.
સહી સોચ અને સહી કોચ મળે તો તમામ પ્રકારનાં મેડલ જીતી શકાય.
બાપુ જેવા સદગુરુ કોચ મળ્યા છે ત્યારે સનાતનની આ જ્યોત પ્રગટી રહી છે.
આ આજથી ‘યુનાઇટેડ નેશન’ નહીં ‘યુનાઇટેડ ક્રિએશન’ ચાલુ થાય છે.
આજની કથા આરંભે સાધ્વી ભગવતીજી અને ચિદાનંદ સરસ્વતીજીની વિશેષ ઉપસ્થિતિ હતી. સાધ્વીજીએ પણ પોતાનો ભાવ રાખીને આ વિશ્વ સંસ્થા દ્વારા જે ૧૭ અલગ-અલગ કાર્યો થઈ રહ્યા છે.એમાં મોરારીબાપુની રામકથા દ્વારા ખૂબ મોટો સંદેશ જઇ રહ્યો છે એમ કહી ઉમેર્યું કે જ્યારે હનુમાનજીને પૂછવામાં આવ્યું કે આપે આ બધું કઈ રીતે કર્યું?ત્યારે એણે અલગ-અલગ વાતો ન કરી,એમ પણ ન કીધું કે તમને ખબર નથી હું કોણ છું?પણ હનુમાનજી એટલું જ કીધું કે:ભગવાન રામનું નામ લઇ લઉં છું અને બધું થઈ જાય છે! સ્વામી ચિદાનંદ સરસ્વતીએ ખુબ સરસ સંદેશ આપતા કહ્યું:એક ખૂબ જ નાનકડા ગામમાંથી જન્મેલ વ્યક્તિ,સાવ નાનકડી શાળામાં અભ્યાસ કરેલ માણસ,આજે યુનાઇટેડ નેશન્સથી અને બધા નેશન્સને સંદેશ આપી રહ્યા છે એ ખૂબ ગૌરવની વાત છે.૨૦૦૦ની સાલમાં મિલેનિયમ ગોલ માટે ૧૦૮ સંતો યુએનના હોલમાં એકઠા થયેલા અને એનું આઉટ કમ આજે આપ જોઈ રહ્યા છો.
બાપુ વનનેસનો મેસેજ,ટુગેધરનેસનો મેસેજ અને ૨૧મી સદીની અંદર જે જરૂરી છે,કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે યુક્રેન-રશિયા અને કેટલા બધા દેશો પીડાઈ રહ્યા છે ત્યારે.ગરીબી,સમાનતા, ભૂખમરીની સામે,બીમારી સામે,ન્યાય માટે થઇ રહ્યુ છે-આ બધું તો છે જ.પણ બાપુએ જે પંક્તિ લીધી છે કે:રામ કહે છે કે મને મનુષ્ય સૌથી વધુ પ્રિય છે. અને મનુષ્યમાં પણ ઇન્સાનિયત-મનુષ્યતા વધારે પ્રિય છે.કારણ કે મનુષ્ય મનુષ્યતાથી દીપે છે.
અહીં ઘણા જ મંત્રીઓ દ્વારા ઘણું જ કાર્ય થઈ રહ્યું છે પણ હું જોઉં છું કે જે પૂરી સૃષ્ટિને એક મંત્રની જરૂર છે એ મંત્ર બાપુએ લખ્યો:પ્રેમ દેવો ભવ. કારણ કે લવ ઇઝ ધ કી,ધ માસ્ટર કી.તમે તમામ પ્રકારના તાળાઓ આ ચાવીથી ખોલી શકશો.
સ્વામી ચિદાનંદજીએ એ પણ કહ્યું કે ૨૬ જાન્યુઆરીની તારીખ આપણા માટે મહત્વની છે, આપણે મનાવીએ છીએ.૨૨ જાન્યુઆરી-જ્યારે અયોધ્યાનો એ દિવસ જ્યારે દુનિયાના તમામ મહાપુરુષો એકઠા થયા,બાપુ પણ હતા,અમે પણ હતા.એ પણ યાદ રાખવા જેવી છે.અને ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે-જ્યારે શિકાગોની અંદર વિશ્વધર્મ સંસદ મળી એ વખતે વિવેકાનંદજી આવ્યા.એ તારીખ પણ યાદ હતી.એ જ બધી તારીખોની સાથે હવે જોડાઈ રહી છે ૨૭ જુલાઈથી શરૂ કરીને ૪ ઓગસ્ટ સુધીની તિથિ-જે દુનિયાની બધી જ તિથિઓને બદલવા જઈ રહી છે.
તેઓએ કહ્યું કે પ્રેમ ને ખોઈ દેશો તો બધું જ ખોવાઈ જશે.ઇફ લવ ઇઝ લોસ્ટ એવરીથીંગ ઈઝ લોસ્ટ. સ્વામીજીએ કહ્યું કે સહી સોચ અને સહી કોચ મળે તો તમામ પ્રકારનાં મેડલ જીતી શકાય.બાપુ જેવા સદગુરુ કોચ મળ્યા છે ત્યારે સનાતનની આ જ્યોત પ્રગટ રાખવા આ આજથી ‘યુનાઇટેડ નેશન’ નહીં ‘યુનાઇટેડ ક્રિએશન’ ચાલુ થાય છે.સનાતન છે તો માનવતા છે,સનાતન છે તો સમરસતા છે,સુરક્ષા છે, શાંતિ છે.સનાતન છે તો વિશ્વશાંતિ છે.બાપુની સનાતનની પીઠને વંદન કરી અને ખૂબ નવી દિશા આપનાર બાપુને પ્રણામ કરતા સ્વામી ચિદાનંદ સરસ્વતી ભાવ વિભોર થયા.

Related posts

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા સ્થિત ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં આપી હાજરી

Reporter1

Step by Step First Aid for Heart Attacks: Recognize and Respond Fast Dr Dinesh Raj, Senior Interventional Cardiologist, HCG Hospitals, Rajkot

Reporter1

India’s Largest Consumer Interest Organisations Unite to Urge the Government to Prohibit Opinion Trading Platforms in India

Reporter1
Translate »