Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
EducationGov. of GujaratGujarat

નીતિ આયોગના રિપોર્ટે ગુજરાતના શિક્ષણ મોડેલની પોલ ખોલી નાખી

૨૯૩૬ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક

૬૩ શાળાઓમાં ભણવા માટે એક પણ વિદ્યાર્થી નથી, છતાં ત્યાં ૭૮ શિક્ષકો રોજ હાજરી પૂરીને પગાર પકવી રહ્યા છે!

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૮ મે ૨૦૨૬ — ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે એવી સિદ્ધિ હાંસલ કરી છે, જેને જોઈ શિક્ષણશાસ્ત્રીઓ માથું ખંજવાળી રહ્યા છે. નીતિ આયોગના અહેવાલે સરકારના ચમકતા ‘શિક્ષણ મોડલ’ના એવા લીરેલીરા ઉડાડ્યા છે કેમકે, એવો અદ્ભુત નમૂનો જોવા મળ્યો છે કે ૨૯૩૬ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. આ જ શિક્ષક ધોરણ ૧થી ૮ના તમામ વિષયોના જ્ઞાની પણ છે! જ્યારે બીજી તરફ, સરકારની ઉદારતાના દર્શન એવા થાય છે કે ૬૩ શાળાઓમાં ભણવા માટે એક પણ વિદ્યાર્થી નથી, છતાં ત્યાં ૭૮ શિક્ષકો રોજ હાજરી પૂરીને પગાર પકવી રહ્યા છે! આ શિક્ષકો કોને ભણાવતા હશે તેની કલ્પના કરવી રહી.
સરકાર ‘પ્રવેશ ઉત્સવ’ના નામે તાયફાઓ કરીને પીઠ થાબડવામાં વ્યસ્ત છે, પણ સરકારી શિક્ષણનું સરેઆમ ધનોતપનોત નીકળી ગયું છે. શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલું ‘મોડર્ન’ છે કે ચોમાસામાં છત પરથી લાઈવ વોટરફોલ (પાણી) ટપકે છે. લેબોરેટરીઓ માત્ર સરકારી ચોપડે જ પ્રયોગો કરે છે અને શૌચાલયોની હાલત એવી ભયાનક છે કે વિદ્યાર્થીઓ ધોરણ ૬, ૭ કે ૧૧માં પહોંચતા જ શાળામાંથી જ ‘ડ્રોપઆઉટ’ (પલાયન) થઈ જવામાં જ પોતાની ભલાઈ સમજે છે. આમ છતાં સરકાર ગૌરવથી છાતી ઠોકીને કહે છે કે શાળાઓમાં ૨૪ કે ૨૭ વિદ્યાર્થીએ એક શિક્ષક છે. શિક્ષણને વેપાર બનાવીને ખાનગી શાળાઓના માલિકોને કમાણી કરી આપવાનું આ એક સુઆયોજિત સરકારી મોડલ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નીતિ આયોગના ‘સ્કુલ એજ્યુકેશન સીસ્ટમ ઇન ઇન્ડિયા ટેમ્પરલ એનાલિસિસ એન્ડ પોલીસી રોડમેપ ફોર ક્વોલિટી એન્હાન્સમેન્ટ’ અહેવાલમાં ગુજરાતના સતત કથળતા શિક્ષણ અંગે ભાજપ સરકારની દિશાવિહીન અને ભ્રષ્ટાચારી નીતિ સીધી જવાબદાર હોવાનો આરોપ મુકતા કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં ગુજરાતમાં ૫૬૧૨ શાળાઓને તાળા વાગ્યા જેથી ગ્રામીણ વિસ્તારોના બાળકોનો શિક્ષણનો મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યો છે. ગુજરાતમાં શિક્ષણ પાછળ ૬૩,૧૩૪ કરોડ રૂપિયા જેટલા માતબર નાણાંની જોગવાઈ છે, તો હકીકતમાં આ કરોડો રૂપિયા ક્યાં વપરાઈ રહ્યા છે તે એ તપાસનો વિષય છે.
શિક્ષણ વિભાગના આંકડા દર્શાવે છે કે, ધોરણ ૧૦ સુધીમાં ૨૭.૬ ટકા એટલે કે કુલ ૨.૩ લાખ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ થાય છે. આ વર્ષે ૬.૪ લાખ બાળકો અનટ્રેક્ડ છે. રાજ્યમાં ૪૨ હજાર વર્ગખંડોની અછત છે. આમ, ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ દિને દિને કથળી રહી છે તે નીતિ આયોગના રિપોર્ટ પરથી પ્રસ્થાપિત થયું છે.

Related posts

૫ દિવસ માટે ગરમીને લઇને ગરમીનું યલો એલર્ટ અપાયું

Master Admin

ગુજરાતના વાણિજ્ય સ્નાતકો માટે GCC સ્કૂલ બિગ4 અને MNCs માં કારકિર્દીની તકો ખોલી

Master Admin

ગુજરાતના ૧૩ જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

Master Admin

Leave a Comment

Translate »