Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ભારતની સિલિકોન વેલી બેંગ્લુરુનું પાણી પીવાલાયક રહ્યું નથી

બેંગ્લુરુના એકપણ તળાવનું પાણી માણસના વપરાશ માટે હિતાવહ રહ્યું નથી : ઉનાળામાં પાણીની ગંભીર કટોકટી સર્જાય તેવી ભીતિ

(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગ્લુરુ,તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ — કર્ણાટકના સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અહેવાલ પ્રમાણે બેંગ્લુરુનું પાણી પીવાલાયક રહ્યું નથી. તળાવોની સ્થિતિ અતિશય ખરાબ થઈ ચૂકી છે. નક્કી કરેલા માપદંડોમાં તળાવોનું પાણી ખરું ઉતરતું નથી. શહેરનું એકેય તળાવનું પાણી પીવાલાયક તો ઠીક, વપરાશને લાયક પણ રહ્યું નથી. તળાવોનું પાણી એટલું ખરાબ થઈ ચૂક્યું છે કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

કર્ણાટક રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અહેવાલમાં દાવો થયો છે કે બેંગ્લુરુમાં પાણી ખૂબ જ દૂષિત થઈ ચૂક્યું છે. દેશની સિલિકોન વેલી તરીકે જાણીતા શહેર બેંગ્લુરુમાં દર વર્ષે ઉનાળામાં પાણીની કટોકટી સર્જાતી હોય છે. એમાં તળાવોનું પાણી વધારે પ્રદૂષિત થઈ પાણીની આ કટોકટી વધે તેવી ભીતિ છે. ગત વર્ષે એપ્રિલથી નવેમ્બર દરમિયાન બેંગ્લુરુના ૧૪૭ તળાવોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તળાવોને ચાર કેટેગરીમાં મૂકવામાં આવે છે. ક્લાસ-એ કક્ષાના તળાવ હોય તો એનું પાણી કોઈ જ પ્રોસેસ વગર પીવાલાયક હોય છે. તળાવનું પાણી ક્લાસ-બી કક્ષાનું હોય તો નહાવા માટે સુરક્ષિત ગણાય. ક્લાસ-ડી અને ઈ કક્ષાએ કોઈ તળાવનું પાણી મૂકવામાં આવે તો એનો અર્થ થાય કે તે પાણી એટલું પ્રદૂષિત છે કે તેને વપરાશમાં લઈ શકાય નહીં. બેંગ્લુરુના તમામ ૧૪૭ તળાવો ડી અને ઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.શહેરના ખૂબ જ જાણીતા તળાવો જેવા કે વેલંદર તળાવને ગયા વર્ષે એપ્રિલમાં ઈ રેટિંગ અપાયું હતું. પછીથી તેનું રેટિંગ સુધારીને ડી કરાયું હતું, પરંતુ ગત નવેમ્બરમાં ફરીથી તેનું રેટિંગ ઈ કરી દેવાયું હતું. એવું જ બીજું જાણીતું વરથુર તળાવ પણ સતત ડી અને ઈ કેટેગરીમાં જ રહે છે. હેબ્બલ તળાવ ગયા વર્ષે ડી રેટિંગમાં રહ્યું, પરંતુ વર્ષના અંતે તેનું રેટિંગ કથળ્યું હતું અને ઈ થઈ ગયું હતું. માદિવાલા લેક, કોકોન્ડાનહલ્લી તળાવ, કુંડલહલ્લી અને ઉલ્સૂર તળાવો બેંગ્લુરુના મોટા અને જાણીતા તળાવો ગણાય છે. એનું રેટિંગ પણ ડી અને ઈની વચ્ચે જ રહે છે. નિષ્ણાતો કહે છે કે ટ્રીટ કર્યા વગરનો કચરો તળાવોમાં ઠલવાતો હોવાથી આ સ્થિતિ આવી છે.

Related posts

ભારતીય ધ્વજ ધરાવતાં ૩૭ જહાજો, ૧૧૦૯ ખલાસીઓ અટવાયાં

Master Admin

મારું કામ તો ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે

Master Admin

ત્રીજી માર્ચે અયોધ્યા રામ મંદિરમાં દર્શન પ્રતિબંધિત રહેશે

Master Admin

Leave a Comment

Translate »