Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

રામચરિત માનસ ત્રિભુવનીય ધરોહર છે

અવસરનું ઔચિત્ય સમજો પણ અવસરવાદી ન બનો.
મહાલક્ષ્મી હૃદય વાળાઓની પાસે બુદ્ધિના રૂપમાં,સાધુની ઘરે શ્રદ્ધાના રૂપમાં અને ખાનદાનની ઘરે લજ્જાનાં રૂપમાં નિવાસ કરે છે.

કર્ણાટકનાં ગોકર્ણ ખાતે ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસે આરંભે કહ્યું કે સત્યમાં બધા જ તથ્ય છુપાયેલા હોય છે પણ દરેક તથ્યમાં સત્ય હોય પણ ખરા ન પણ હોય!
સત્ય પંચમુખી હોય છે.સત્ય એક છે પણ એના મુખ પાંચ છે,કારણ કે સત્ય શિવ છે અને શિવ પંચમુખી છે.
બાપુએ કહ્યું કે પાંચ વસ્તુનું ઔચિત્ય સંભાળવું જોઈએ:એક-અવસરનું ઔચિત્ય.અવસરનું ઔચિત્ય સમજો પણ અવસરવાદી ન બનવું.
અહીં અવસરના ઔચિત્ય વિશેની વાત કરતા બાપુએ નલકુબેરની કથા કહી.નલકુબેરનો કિલ્લો અભેદ હતો.રાવણ એમાં પ્રવેશ કરવા માગતો હતો. વિભિષણ વગેરે સૈનિકોને લઈને રાવણે કિલ્લા ઉપર હુમલો કરે છે પણ કોઈ પણ રીતે અંદર પ્રવેશી શકતો નથી.વિચારે છે કે કેમ અંદર જાઉં? રાવણની વિદ્યા કળા અને પરાક્રમની જાણ નલકુબેરની પત્નીને હતી અને આ કળા અને વિદ્યાના કારણે નલકુબેરની પત્ની રાવણને જોયા વગર પણ તેના આકર્ષણમાં હતી.એ રાવણને મળવા માગતી હતી.સંદેશો મોકલ્યો,ત્યારે બાપુએ કહ્યું કે અહીં રાવણ શીલવાન દેખાય છે એને અવસર ઔચિત્ય બરાબર પકડ્યું છે.વારંવાર સંદેશો મોકલે છે અને પોતે નલકુબેરનો ગુપ્ત માર્ગ જાણતી હતી.દાસીઓને લઈને રાવણને મળવા આવે છે.એ વખતે વિભિષણ રાવણના કાનમાં કંઈક કહે છે. વિભિષણ એવું કહે છે કે નલકુબેરની પત્નીને કહો કે અંદર જવાનો માર્ગ બતાવે.એટલા બધા આકર્ષણમાં હતી કે નલકુબેરની પત્નીએ માર્ગ ખોલી દીધો.એ વખતે રાવણે કહ્યું કે તમે મને માર્ગ દેખાડ્યો છે એટલે તમે મારી ગુરુ છો અને ગુરુ સાથે આ પ્રકારનું વર્તન ન કરવું જોઈએ.અહીં રાવણનું અવસર ઔચિત્ય દેખાય છે.
બીજું કાળ એટલે કે સમયનું ઔચિત્ય અને ત્રીજું દેશ,પ્રદેશ અને સ્થાનનું ઔચિત્ય પણ આપણે સમજવું જોઈએ.
બાપુએ કહ્યું કે આજે વાત કરવી છે કાલિકાની જીભની.ભગવતી કાલિકાની જીભ કઇ છે?જીભના ત્રણ રંગ હોય છે,જો કે કાલિકાની જીભ લાલ છે. સરસ્વતીની જીભ શ્વેત છે.સરસ્વતીનું બધું જ સફેદ છે:વસ્ત્ર,વર્ણ,શબ્દ,શ્વેત-ધવલ-નિર્મળ-વિમલ અને મહાલક્ષ્મીની જીભ લીલા રંગની છે.લક્ષ્મી માણસને હર્યો ભર્યો કરી દે છે.લાલ રંગ પ્રેમનો છે.અને કાલિકાની જીભ ખૂબ જ બહાર નીકળી છે.જીભ બે કાર્ય કરે છે:ચાટીને સ્વચ્છ કરવાનું,બોલવું અને સ્વાદ લેવો.એથી જ દાંત અને હોઠના કિલ્લાની અંદર રક્ષણ પામેલી છે.જાણે કે માં કહે છે કે મારી પ્રેમની જીભ એટલી વધારું કે બધાને સ્વચ્છ કરું અને બધાને પ્રેમનો સ્વાદ ચખાડું.મહા સરસ્વતી સફેદ ધવલ.અને મહાલક્ષ્મી પુણ્યત્માઓના ઘરમાં લક્ષ્મીના રૂપમાં રહે છે,પાપીઓના ઘરમાં અલક્ષ્મીનાં રૂપમાં,હૃદય વાળાઓની પાસે બુદ્ધિના રૂપમાં,સાધુની ઘરે શ્રદ્ધાના રૂપમાં અને ખાનદાનની ઘરે લજ્જાનાં રૂપમાં નિવાસ કરે છે.
સાથે-સાથે કાલિકાની ગળામાં મુંડમાળા છે.અહીં મુંડ એટલે કે મસ્તકની સંખ્યા ખરેખર નવ છે.પણ અલગ અલગ ચિત્રમાં અલગ-અલગ બતાવાતી હોય છે. અહીં એક ચંડ રાક્ષસની ખોપરી છે,બીજો એણે મુંડને માર્યો.જાણે કે કાલી કહેવા માગે છે કે મારા અસુરોને હૃદયની પાસે રાખું છું.એક શુંભ અને એક નિશુંભ અને બાકીના પાંચ મસ્ત મહિષાસુરના છે. આમ બધા મળીને નવ મસ્તકની મુંડમાલા છે. નવમુંડધારિણી છે.
એ જ રીતે માનસ પણ કાલિકા છે ત્યાં નવ મસ્તકની મૂંડમાલ કઈ?જીભ કઇ? ખપ્પર કયું?ખડક.. આ બધો જ સંવાદ પણ આવનારા દિવસોમાં આપણે કરીશું.
સાથે-સાથે બાપુએ બુધ્ધપુરુષની આઠ ભુજા વિશે વાત કરતા કહ્યું કે કૌશલ્યા ભરતના આઠ લક્ષણો બતાવે છે:ભરત શીલ,ગુણ,વિનય,નમ્રતા ભરી ઊંચાઈ,ભાઈચારો,ભક્તિ,ભરોસો ધરાવે છે.
જે પવિત્ર કરે એ જ ચરિત્ર એમ કહેતા બાપુએ રામચરિત્ર અને કથા આગળ વધારતા કહ્યું કે રામ જન્મ પછી અયોધ્યામાં એક મહિના સુધી આનંદ રહ્યો અને જાણે કે દિવસ આથમ્યો જ નહીં.વિવિધ સંસ્કારો પછી નામકરણ સંસ્કાર એ પછી વિદ્યા સંસ્કાર બાદ વિશ્વામિત્ર પોતાના યજ્ઞની રક્ષા કરવા માટે અયોધ્યામાં આવે છે.અને રામ લક્ષ્મણની માગણી કરીને લઈને જાય છે.રસ્તામાં તાડકાનો વધ કરીને રામ પોતાની લીલાનો આરંભ કરે છે.સાથે સાથે અહલ્યાને ગતિ આપી અને રામ જનકપુરમાં શિવ ધનુષ્ય ચડાવે છે.ચારે ભાઈઓના વિવાહનો પ્રસંગ અતિસંક્ષિપ્ત રીતે કહી અને બાપુએ કહ્યું કે વિવાહ પછી વિશ્વામિત્ર અયોધ્યામાંથી વિદાય લે છે અને બાલકાંડનું સમાપન થાય છે.

Box 1
કથા વિશેષ:
યુનેસ્કોની આ પ્રવૃત્તિને બાપુએ હર્ષ અને આનંદથી વધાઈ સાથે બિરદાવી
આજે કથા આરંભે બાપુએ કહ્યું કે એક ખૂબ સારા સમાચાર આવ્યા છે કે યુનેસ્કોએ જાહેરાત કરી છે કે રામચરિત માનસ વિશ્વની ધરોહર છે.કેટલાક ગ્રંથોને વિશ્વની ધરોહર તરીકે ઘોષિત કરતી વખતે તેમાં રામચરિત માનસને પણ સામેલ કરવામાં આવ્યું છે. બાપુએ કહ્યું કે તલગાજરડાને પૂછો તો કહીશ કે રામચરિત માનસ ત્રિભુવનીય ધરોહર છે.
આ સકલલોક જગ પાવની ગંગા છે.
રામકથાના ગાયકના રૂપમાંં,આ મળેલા આદર બદલ હું યુનેસ્કોને ખૂબ-ખૂબ વધાઈ આપું છું એવું બાપુએ જણાવ્યું.

સત્યનાં પાંચ મુખ ક્યા છે:
૧-વિચારનું સત્ય.
૨-ઉચ્ચારનું સત્ય.
૩-આચારનું સત્ય.
૪-સ્વિકારનું સત્ય અને
૫-સાક્ષાતકારનું સત્ય.
સત્યના પાંચ મુખ છે,એ જ રીતે પ્રેમના છ લક્ષણો છે અને કરુણાના સાત અંગો છે.
આ બધું મળીને ૧૮નો પૂર્ણાંક બને છે.

Related posts

ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ, બ્રિટનની તીક્ષ્ણ પ્રતિક્રિયાઓ, અને ભારત-યુરોપ બધા સોદાઓની માતા,ત્રણેય ઘટનાઓ એકસાથે એક નવા વિશ્વ વ્યવસ્થાના ઉદભવનો સંકેત આપે છે.

Master Admin

Creckk launches dual campaigns for Independence Day: Pledge for safe driving and tree plantation drive/ Creckk’s twin campaigns for Independence Day – Safer roads and a greener future

Reporter1

World Water Day: QNET India Advocates Need for Healthier Hydration With KENT-QNET RO Purifier

Reporter1
Translate »