રોકાણકારોમાં ચિંતાનો માહોલ
સોના-ચાંદીમાં આવેલી આ તેજી પાછળનું મુખ્ય કારણ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો તાજેતરનો નિર્ણય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૨ એપ્રિલ ૨૦૨૬ — અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સીઝફાયર વધારવાની જાહેરાત વચ્ચે બુધવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં વધેલી અનિશ્ચિતતાને કારણે બંને કિંમતી ધાતુઓના ભાવમાં ૧ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. ભારતીય બજારમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (સ્ઝ્રઠ) પર સોનાનો ભાવ ૧૫૩૫ રૂપિયાની તેજી સાથે ૧,૫૩,૨૦૬ રૂપિયા પર પહોંચી ગયો છે, જ્યારે ચાંદીનો ભાવ ૪૨૪૭ રૂપિયા વધીને ૨,૪૮,૯૪૮ રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો હતો. સોના-ચાંદીમાં આવેલી આ તેજી પાછળનું મુખ્ય કારણ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો તાજેતરનો નિર્ણય છે. ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધવિરામની ડેડલાઇન વધારી દીધી છે, પરંતુ આ સમયગાળો કેટલો હશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. ટ્રમ્પે જણાવ્યું કે ઈરાનનું હાલનું નેતૃત્વ વિખરાયેલું છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમ અને આર્મી ચીફની અપીલને માન આપીને ટ્રમ્પે ઈરાન પરના હુમલા હાલ પૂરતા રોકવાનો નિર્ણય લીધો છે, જેથી શાંતિ મંત્રણા માટે વધુ સમય મળી રહે. વૈશ્વિક સ્તરે ઊભી થયેલી આ અસ્થિરતા અને ભૌગોલિક-રાજકીય તણાવને કારણે રોકાણકારોમાં ફાળ પડી છે. જ્યારે પણ દુનિયામાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાય છે, ત્યારે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદી તરફ વળે છે. આ વધતી જતી માગને કારણે જ કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. હાલમાં બજારમાં જે પ્રકારની સ્થિતિ છે તે જોતા આગામી દિવસોમાં પણ કિંમતી ધાતુઓમાં ભારે વધઘટ જોવા મળી શકે છે.

