Nirmal Metro Gujarati News
article

ઈશ્વર એ છે જે સર્વજ્ઞ છે,જે સમર્થ છે. જે સકલ કલા અને ગુણોનાં ધામ છે એ ઇશ્વર છે. શંકર ચરિત્રનું ગાયન કરે છે અને હનુમાનજી ચરિત્રવાનનાં ગુણોનું ગાયન કરે છે. જે યોગ,જ્ઞાન અને વૈરાગ્યનિધિ છે એ ઇશ્વર છે

 

કોટેશ્વર પાસે ઝૂલેલાલજી મંદિરનાં પટાંગણથી વહી રહેલી રામકથા ધારાનાં ચોથા દિવસે આરંભે બતાવ્યું કે રામચરિત માનસમાં ઈશ્વર શબ્દ ક્યાં-ક્યાં આવેલો છે.માત્ર ‘ઈશ્વર’ શબ્દ આઠ વખત અને કવિશ્વર, કપિશ્વર,અખિલેશ્વર એવા શબ્દો મળીને કુલ ૧૮ વખત આ શબ્દનો ઉચ્ચાર થયો છે.જેમ કે:

સંગ સતી જગ જનની ભવાની;

પૂજે ઋષિ અખિલેશ્વર જાની.

ઈશ્વરના બધા જ લક્ષણો મહાદેવ સાથે જોડાયેલા છે.અહીં એને પ્રભુ કહે છે,સમર્થ કહે છે.વેદાંતિઓ જેને બ્રહ્મ કહીને બોલાવે છે,બૌધો એને બુદ્ધ કહે છે, ન્યાય પ્રિય કર્તા કહીને બોલાવે છે,જૈનો જેને અરિહંત કહે છે,મીમાંષકો માટે એ સ્વયં કર્મ છે-એ તત્વ એક જ છે.

બાપુએ એ પણ જણાવ્યું કે ઘણા લોકો સમજ્યા વગર પોતાના જ બનાવી બેઠેલા ઈશ્વર માટે એવું કહે છે કે ગીતા કૃષ્ણએ કહી જ નથી! કારણ કે ગીતામાં કૃષ્ણ શબ્દ નથી!ભગવાન બોલ્યા એવું છે-એમ કહીને પોતાના ઈશ્વરને મૂકે છે.અમુક વિચારધારા; જોકે એને હું ધારા પણ નહીં દંદૂળી કહું છું-એવી નાની-નાની ધારાઓ.. અને પંડિતો પણ ખરીદાય છે! પણ ગીતા કૃષ્ણ જ બોલ્યા છે,યોગેશ્વર કૃષ્ણ, સુદર્શન ચક્રધારી કૃષ્ણએ ગીતા કહી છે.

ઈશ્વર એ છે જે સર્વજ્ઞ છે,જે સમર્થ છે.એક જ દુહામાં ઈશ્વરના લક્ષણ કહ્યા છે:

પ્રભુ સમરથ સર્વજ્ઞ શિવ,સકલ કલા ગુણધામ;

જોગ જ્ઞાન વૈરાગ્ય નિધિ,પ્રણત કલ્પતરુ નામ.

કબીર કહે છે કે કીડીના પગમાં ઝાંઝર વાગે એ પણ સાહેબ સાંભળે છે.

અહીં ઈશ્વરને સકલ કલા ગુણધામ કહ્યા છે.આપણે ત્યાં ૧૬-૩૨-૬૪ કલાઓ છે.ઘણી બધી કલાઓમાં એક કલા એવી પણ છે કે જેમાં અંધશ્રદ્ધાનું નિવારણ કરવા માટે કલા વપરાઇ હોય.અહીં અમરેલી જિલ્લાના સનારીયા ગામના હરજી ભગતનાં પત્ની લાસુબાઈનો કિસ્સો કે જે જયમલ પરમારે સંકલિત કરીને ‘શીલવંતી નારીઓ’ નામના પુસ્તકમાં લખ્યો છે,અમરદાસ ખારાવાલાએ એને કહ્યો છે-એ કિસ્સો પણ સંભળાવ્યો,જેમાં કોઈ ખોટી રીતે ધૂણે,ધતિંગ અને ઢોંગ કરે એને લાસુબાઈ કાનમાં જઈને કહેતા કે બધો ઢોંગ બંધ કરો! અને પછી કાળી ચૌદસના દિવસે એની પરીક્ષા કરવા માટે ખીજડા પર તલવાર અટકાવી અને પરીક્ષા કરી અને ૧૧ રૂપિયા સો વર્ષ પહેલા એણે મેળવીને આવા ઢોંગ અને ધતિંગ સામે અંધશ્રદ્ધા નિવારણની પ્રવૃત્તિ કરેલી એ વાત કરી.

શંકર ચરિત્રનું ગાયન કરે છે અને હનુમાનજી ચરિત્રવાનનાં ગુણ ગાય છે.

ઈશ્વર ક્યા ધર્મની રક્ષા કરે છે:સનાતન ધર્મની. સનાતનમાં બધા જ ધર્મ આવી જાય છે.જેમ જૈન ધર્મમાં પાણીના પર્યાય અનેક શબ્દો છે અંતે એ પાણી જ છે.સાધનામાં બાવનબારી સાધના એટલે શું?એને મૌન કહી શકાય અથવા તો ગંજીફાનાં બાવન પત્તામાં એની બહારનું પત્તું જોકર-જોઈ જોઈને કરે એ જોકર!- એવો પણ અર્થ કરી શકાય. નારદજીને યુધિષ્ઠિર ભાગવતમાં સનાતન ધર્મના લક્ષણો પૂછે છે અને ત્યારે ૩૦ લક્ષણો કહ્યા છે.જેમાં સત્ય,દયા,તપ,તિતીક્ષા,સહનશીલતા,શૌચ,બ્રહ્મચર્ય, ત્યાગ,શાંતિ,વિવેકપૂર્ણ દમન,અહિંસા,સ્વાધ્યાય, સરળતા,તરળતા,કોમળતા,સંતોષ,સમાનધર્મી સાધુની સેવા,ધીરે ધીરે છોડવાની વૃતિ,ઈચ્છાનો ત્યાગ,આત્મચિંતન,અન્નન સમવિભાજન,કરુણા, બધામાં દ્વૈત બુદ્ધિ જોવી,ઈશ્વર સ્મરણ,દાસ ભાવથી સેવા,શ્રવણ,કીર્તન,સ્મરણ,આત્મનિવેદન,સખ્ય ભાવ-આ બધા જ લક્ષણો નારદજી કહે છે.

કથા પ્રવાહમાં રામકથાના આરંભે શિવકથા શરૂ થઈ એકવારનાં ત્રેતા યુગમાં શિવ કુંભજ પાસે સતી સાથે શ્રવણ કરવા જાય છે અને ત્યાં રસ્તામાં તે ત્રેતા યુગની રામલીલા ચાલુ છે.સતીને શંકા જાય છે, પરીક્ષા કરવાનો પ્રયત્ન કરે છે અને શિવજી બધું જાણીને સતીનો ત્યાગ કરી અને સન્મુખ આસન આપે છે એ સંપૂર્ણ કથા કહેવામાં આવી.

 

કથા-વિશેષ:

યુવાનો માટેનાં પંચશીલ અને પંચબળ:

યુવાનો માટેના પાંચશીલ:લઘુતા એટલે કે નિર્વિકારીપણું,આત્મ મૂલ્યાંકન,સંવાદ,ક્ષોભ ના કરવો-કોઈ પણ ઘટના ઘટે એનો ક્ષોભ ન કરવો અને બધાનો સ્વિકાર કરવો.

આ પાંચેય શ્રી હનુમાન દેખાય છે.

યુવાનો માટે પાંચ બળ:એક-શરીર બળ,બીજુ-બુધ્ધિ બળ,ત્રીજું-વૈરાગ્ય બળ,ચોથું-પ્રાણબળ,પાંચમું-જ્ઞાન બળ.

જે હનુમાનના પાંચ મુખ:હયગ્રીવ મુખ,વાનરમુખ, વરાહમુખ,ગરૂડ મુખ વગેરે દ્વારા ગવાયા.

Related posts

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય

Reporter1

Morari Bapu’s tributes and assistance to victims of Maliyasan road accident

Reporter1

HCG Aastha Cancer Centre, Ahmedabad, Hosts ‘The Pink Run’ to Honour Cancer Champions and Promote Breast Cancer Awareness

Reporter1
Translate »