તંત્રીની કલમે….
ભારતની આર્થિક પ્રગતિમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે અને હવે રાજ્યના વિકાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને આપેલી મંજૂરી એ માત્ર એક પરિવહન યોજના નથી, પરંતુ ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં લેવાયેલું એક ક્રાંતિકારી પગલું છે. રૂ. ૨૦,૬૬૭ કરોડના અંદાજિત ખર્ચ ધરાવતો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આગામી દાયકાઓમાં રાજ્યના આર્થિક અને સામાજિક માળખાને ધરખમ રીતે બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે.
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (સર) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે. સિંગાપોર કરતા પણ મોટા વિસ્તારમાં ફેલાયેલું આ સ્માર્ટ સિટી અત્યાધુનિક આંતરમાળખાકીય સુવિધાઓથી સજ્જ થઈ રહ્યું છે. આ રેલ પ્રોજેક્ટ ધોલેરાને અમદાવાદ સાથે જોડશે, જે મુસાફરીના સમયમાં ધરખમ ઘટાડો કરશે. આ કનેક્ટિવિટીને કારણે ઉદ્યોગો માટે માલસામાનની હેરફેર ઝડપી બનશે અને ખર્ચમાં ઘટાડો થશે, જે આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષવા માટે અનિવાર્ય છે. જ્યારે પરિવહન વ્યવસ્થા સંગીન બને છે, ત્યારે તે વિસ્તારનો ઔદ્યોગિક વિકાસ આપોઆપ વેગ પકડે છે.
રોજગારીની દ્રષ્ટિએ જોઈએ તો, આ પ્રોજેક્ટ ગુજરાતના યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. માત્ર રેલવે લાઇનના નિર્માણ દરમિયાન જ હજારો કુશળ અને અકુશળ શ્રમિકોને કામ મળશે. પરંતુ તેની સાચી અસર પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી જોવા મળશે. ધોલેરામાં સ્થાપિત થઈ રહેલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ, ગ્રીન એનર્જી યુનિટ્સ અને ઓટોમોબાઈલ ઉદ્યોગોને આ રેલ કનેક્ટિવિટીથી નવું બળ મળશે. અંદાજ મુજબ, ધોલેરા સર સંપૂર્ણ રીતે કાર્યરત થતા લાખો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે. આનાથી માત્ર અમદાવાદ કે ભાવનગર જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના આર્થિક સ્તરમાં સુધારો આવશે.
પરિવહન ક્ષેત્રે આ પરિયોજના એક મોડેલ તરીકે ઉભરી આવશે. સેમી હાઈ-સ્પીડ ટ્રેનો દ્વારા મુસાફરો અને કાર્ગો બંનેની હેરફેર માટે અલગ અને કાર્યક્ષમ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આનાથી રસ્તાઓ પરનું ભારણ ઘટશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. ધોલેરામાં નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે આ રેલવે લાઇનનું જોડાણ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી પૂરી પાડશે, જે વ્યાપારિક ગતિશીલતા માટે અત્યંત જરૂરી છે.
જોકે, આટલા મોટા પ્રોજેક્ટ સામે પડકારો પણ છે. સમય મર્યાદામાં નિર્માણ કાર્ય પૂર્ણ કરવું અને જમીન સંપાદન જેવી પ્રક્રિયાઓને પારદર્શક રાખવી એ વહીવટીતંત્ર માટે કસોટી સમાન રહેશે. આ ઉપરાંત, સ્થાનિક રહેવાસીઓને આ વિકાસમાં સહભાગી બનાવવા અને તેમને જરૂરી કૌશલ્ય વર્ધક તાલીમ આપવી એ પણ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. વિકાસ માત્ર ઈંટો અને પથ્થરોનો જ નહીં, પણ લોકોના જીવનધોરણનો પણ હોવો જોઈએ.
અંતમાં અમદાવાદ-ધોલેરા રેલ પ્રોજેક્ટ એ ‘વિકસિત ગુજરાત’ થી ‘વિકસિત ભારત’ તરફનું એક મજબૂત કદમ છે. તે ગુજરાતના ઔદ્યોગિક નકશા પર એક નવું કેન્દ્રબિંદુ સ્થાપિત કરશે. આ પ્રોજેક્ટ દ્વારા માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પણ લાખો પરિવારોના સપનાઓને પણ પાંખો મળશે. ગુજરાતની પ્રગતિશીલ વિચારધારા અને કેન્દ્ર સરકારના સહયોગથી ધોલેરા આગામી સમયમાં વિશ્વના શ્રેષ્ઠ ઔદ્યોગિક શહેરોની હરોળમાં સ્થાન મેળવશે તેમાં કોઈ બેમત નથી. આ વિકાસપથ પર ગુજરાતની રફ્તાર હવે વધુ તેજ બનવાની છે.
નરેન્દ્ર જોષી

