જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તાજેતરમાં સાત અબજ ડોલરનો કરાર થયો
દ્વિતીય વિશ્વયુદ્ધ અને હિરોશિમા-નાગાશાકી પરના પરમાણુ હુમલા બાદ જાપાને યુદ્ધથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટોક્યો, તા.૨૨ એપ્રિલ ૨૦૨૬ — જાપાન દ્વિતીય વિશ્વયુદ્ધ પછી પોતાની શાંતિવાદી નીતિ માટે જાણીતો દેશ હતો, પરંતુ હવે જાપાને એક ઐતિહાસિક અને મોટો ફેરફાર કર્યો છે. વડાપ્રધાન સાને તાકાઈચીની કેબિનેટે ઘાતક હથિયારોની નિકાસ પર દાયકાઓથી લાદવામાં આવેલો પ્રતિબંધ હટાવી દીધો છે. આ નિર્ણય હેઠળ હવે જાપાન ફાઈટર જેટ, મિસાઈલ અને યુદ્ધજહાજ જેવા સંરક્ષણ ઉપકરણો અન્ય દેશોને વેચી શકશે.મંગળવારે ‘એક્સ’ પર પોસ્ટ કરતા વડાપ્રધાન તાકાઈચીએ જણાવ્યું હતું કે, હવે તમામ પ્રકારના સંરક્ષણ ઉપકરણોનું હસ્તાંતરણ શક્ય બનશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે હથિયારો માત્ર એવા દેશોને જ આપવામાં આવશે જે સંયુક્ત રાષ્ટ્ર(યુએન)ના ચાર્ટર(બંધારણ) મુજબ તેનો ઉપયોગ કરવાનું વચન આપશે. જાપાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિશ્વના અનેક દેશો જાપાન પાસેથી શસ્ત્રો ખરીદવામાં રસ દાખવી રહ્યા છે. તાજેતરમાં જ જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સાત અબજ ડોલરનો કરાર થયો છે. જે અંતર્ગત મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ ઓસ્ટ્રેલિયન નૌકાદળ માટે ૧૧ પૈકીના પ્રથમ ૩ યુદ્ધજહાજો બનાવશે. આ નિર્ણય હેઠળ ઓછામાં ઓછા ૧૭ દેશો જાપાન પાસેથી હથિયારો ખરીદી શકશે. જેમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયા જેવા દેશો મુખ્ય છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ૧૯૭૬માં અમલમાં આવેલા નિયમો હેઠળ જાપાન માત્ર બિન-ઘાતક સૈન્ય ઉપકરણોની જ નિકાસ કરી શકતું હતું. જેમાં દેખરેખ અને માઈન સ્વીપિંગ (ભૂગર્ભ સુરંગ હટાવવા) જેવા સાધનોનો સમાવેશ થતો હતો.દ્વિતીય વિશ્વયુદ્ધ અને હિરોશિમા-નાગાશાકી પરના પરમાણુ હુમલા બાદ જાપાને યુદ્ધથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. જાપાનના બંધારણની કલમ ૯માં સ્પષ્ટ લખાયું છે કે જાપાન યુદ્ધ નહીં કરે અને તેની સેના માત્ર આત્મરક્ષણ પૂરતી મર્યાદિત રહેશે. આ જ કારણસર જાપાને ‘સેલ્ફ ડિફેન્સ ફોર્સ’ (એસડીએફ) બનાવી હતી. જાપાનના અગ્રણી અખબારોના અહેવાલ મુજબ, જાપાન એવા દેશોને હથિયાર નહીં વેચે જ્યાં હાલમાં યુદ્ધ ચાલી રહ્યું હોય.

