કોંગ્રેસે વિચારધારા પર ઉઠાવ્યા સવાલ
મમતા બેનર્જીએ જે ડાબેરી શાસનને ઉખેડી ફેંકીને બંગાળમાં પોતાની સત્તા સ્થાપી હતી, આજે તે જ પક્ષો પાસે તેઓ મદદ માંગી રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૧૧ મે ૨૦૨૬ — પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ૧૫ વર્ષ બાદ સત્તા ગુમાવ્યા પછી તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી હવે વિપક્ષી એકતાના સહારે ભાજપને ટક્કર આપવાની યોજના બનાવી રહ્યા છે. જોકે, તેમના આ પ્રયાસોને શરૂઆતમાં જ મોટો આંચકો લાગ્યો છે. કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ મમતા બેનર્જી સાથે હાથ મિલાવવાનો સાફ ઇનકાર કરી દીધો છે. કોંગ્રેસના પ્રવક્તા સૌમ્ય આઈચ રાયે મમતા બેનર્જીના અતિ-ડાબેરીઓ (માઓવાદીઓ) સાથે જોડાવાના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે યાદ અપાવ્યું કે વર્ષ ૨૦૧૩માં છત્તીસગઢમાં માઓવાદીઓએ કોંગ્રેસના અનેક નેતાઓની હત્યા કરી હતી. કોંગ્રેસે સવાલ કર્યો કે શું મમતા આવા તત્વો સાથે મળીને ભાજપનો વિરોધ કરવા માંગે છે?
CPI(M) ના નેતા મોહમ્મદ સલીમે મમતાના પ્રસ્તાવને નકારી કાઢતા કહ્યું કે, “અમે એવા કોઈ પણ પક્ષ કે વ્યક્તિ સાથે મંચ શેર નહીં કરીએ જે ગુનાખોરી, જબરન વસૂલી અને ભ્રષ્ટાચારમાં લિપ્ત હોય.” તેમણે વધુમાં ઉમેર્યું કે ડાબેરી પક્ષો જનતાના મુદ્દાઓ પર લડશે, પરંતુ ટીએમસી સાથે ગઠબંધન નહીં કરે. શનિવારે પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં ભાજપ સરકારના આગમન બાદ મમતા બેનર્જીએ એક વીડિયો સંદેશ દ્વારા તમામ વિપક્ષી દળો, વિદ્યાર્થી સંગઠનો અને NGO ને એક થવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આપણો મુખ્ય દુશ્મન ભાજપ છે અને તેની સામે લડવા માટે સંયુક્ત મંચ જરૂરી છે.”
ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જીએ જે ડાબેરી શાસનને ઉખેડી ફેંકીને બંગાળમાં પોતાની સત્તા સ્થાપી હતી, આજે તે જ પક્ષો પાસે તેઓ મદદ માંગી રહ્યા છે. જોકે, છેલ્લા દાયકા દરમિયાન ટીએમસી અને ડાબેરી કાર્યકરો વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષને જોતા આ ગઠબંધન શક્ય જણાતું નથી.

