તંત્રીની કલમે….
દક્ષિણ ભારતના રાજકારણમાં તમિલનાડુ હંમેશા એક નિર્ણાયક અને વૈચારિક કિલ્લો રહ્યો છે. આવતીકાલે, ૨૩ એપ્રિલના રોજ, જ્યારે તમિલનાડુની ૨૩૪ બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે આ ચૂંટણી માત્ર સત્તા પરિવર્તનનો જંગ નથી, પણ તમિલનાડુના આત્મસન્માનને ભારતની વિકાસયાત્રા સાથે જોડવાનો એક ઐતિહાસિક અવસર છે. છેલ્લા કેટલાક દાયકાઓથી તમિલનાડુમાં પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ રહ્યું છે, પરંતુ ૨૦૨૬ની આ ચૂંટણીમાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની કમાન સંભાળી છે, તેનાથી સ્પષ્ટ દેખાય છે કે તમિલનાડુ હવે જૂના સમીકરણો તોડીને નવી ક્ષિતિજો શોધવા તૈયાર છે. પીએમ મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચેના શાબ્દિક પ્રહારોએ આ ચૂંટણીને ’વિકાસ વિરુદ્ધ વિભાજન’નો જંગ બનાવી દીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના પ્રચારમાં જે વ્યૂહરચના અપનાવી છે, તે અભૂતપૂર્વ છે. તેમણે માત્ર રાજકીય ભાષણો નથી આપ્યા, પરંતુ તમિલ સંસ્કૃતિ, સાહિત્ય અને તમિલ ભાષા પ્રત્યે જે ગૌરવ વ્યક્ત કર્યું છે, તેણે તમિલ પ્રજાના હૃદયને સ્પર્શી લીધું છે. કાશી-તમિલ સંગમમ્ અને સેંગોલ (રાજદંડ)ની સ્થાપના જેવા પગલાં દ્વારા પીએમ મોદીએ સાબિત કર્યું છે કે તેમના માટે તમિલનાડુ માત્ર એક રાજ્ય નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક ધરોહરનો પ્રાણ છે. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન અને કોંગ્રેસ હજુ પણ જૂના ’ભાષાવાદ’ અને ’ઉત્તર-દક્ષિણ’ના ભેદરેખાના સહારે રાજનીતિ કરી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેના પ્રહારોમાં વિકાસની વાત ઓછી અને વ્યક્તિગત આક્ષેપો વધુ જોવા મળ્યા છે, જે દર્શાવે છે કે વિપક્ષ પાસે પીએમ મોદીના વિકાસના વિઝનનો કોઈ તોડ નથી.
તમિલનાડુના રાજકારણમાં વર્ષોથી ’દ્રવિડિયન મોડલ’ની ચર્ચાઓ થતી રહી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ભ્રષ્ટાચાર અને પરિવારવાદે આ મોડલને અંદરથી પોલું કરી દીધું છે. પીએમ મોદીએ તેમના પ્રચારમાં ખૂબ જ સચોટ રીતે આ મુદ્દાઓને સ્પર્શ્યા છે. તેમણે ’ડાયનેસ્ટી પોલિટિક્સ’ (પરિવારવાદ) વિરુદ્ધ ’ડેમોક્રેસી’ (લોકશાહી)નો નારો આપ્યો છે. ભાજપના વધતા પ્રભાવ પાછળ પીએમ મોદીનું મજબૂત નેતૃત્વ અને ’સૌનો સાથ, સૌનો વિકાસ’ની નીતિ જવાબદાર છે. કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ, જેમ કે આયુષ્માન ભારત, પીએમ આવાસ યોજના અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો લાભ તમિલનાડુના ખૂણે-ખૂણે પહોંચ્યો છે. આ જ કારણ છે કે પ્રચાર દરમિયાન પીએમ મોદીની સભાઓમાં ઉમટી પડતી જનમેદની માત્ર રાજકીય સમર્થકોની નથી, પરંતુ એવા લોકોની છે જેઓ પરિવર્તન ઝંખે છે.
ચૂંટણી પ્રચારમાં મલ્લિકાર્જુન ખડગે અને પીએમ મોદી વચ્ચેના શાબ્દિક યુદ્ધમાં એક વાત સ્પષ્ટ થઈ છે કે પીએમ મોદી રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્રને કેન્દ્રમાં રાખીને વાત કરે છે, જ્યારે ખડગે સાહેબના નેતૃત્વમાં કોંગ્રેસ પ્રાદેશિક અસ્મિતાના નામે ભાગલાવાદી માનસિકતાને ઉત્તેજન આપી રહી હોય તેવું લાગે છે. પીએમ મોદીએ રજૂ કરેલા ‘વિકસિત ભારત જ્ર ૨૦૪૭’ ના સંકલ્પમાં તમિલનાડુની ભૂમિકા અત્યંત મહત્વની છે. ડિફેન્સ કોરિડોર હોય કે દરિયાકાંઠાના વિસ્તારોનો વિકાસ, મોદી સરકારે તમિલનાડુને પ્રાથમિકતા આપી છે. આ બાબત વિપક્ષોને પચી રહી નથી, તેથી જ તેઓ જૂના અને ગેરમાર્ગે દોરનારા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે.
તમિલનાડુની પ્રજા અત્યંત શિક્ષિત અને જાગૃત છે. તેઓ જાણે છે કે ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે એવા નેતૃત્વની જરૂર છે જે વિશ્વ મંચ પર ભારતનું માન વધારે અને આંતરિક રીતે દેશને મજબૂત બનાવે. વડાપ્રધાન મોદીએ તમિલનાડુના યુવાનોને આકર્ષવા માટે સ્ટાર્ટઅપ અને ટેકનોલોજીના જે રોડમેપ રજૂ કર્યા છે, તે ખરેખર પ્રશંસનીય છે. પીએમ મોદીનો પ્રચાર પ્રવાસ એ સાબિત કરે છે કે તેઓ દક્ષિણના આ રાજ્યને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કેટલા ગંભીર છે. ખડગે અને અન્ય વિપક્ષી નેતાઓ ભલે ગમે તેટલા પ્રહારો કરે, પણ જનતા હવે ’પરિવારવાદ’ અને ’તુષ્ટિકરણ’ની રાજનીતિથી કંટાળી ગઈ હોય તેવું જણાય છે.
આવતીકાલનું મતદાન તમિલનાડુના ઇતિહાસમાં એક નવો વળાંક સાબિત થઈ શકે છે. પીએમ મોદીની લોકપ્રિયતા અને તેમની કામ કરવાની પદ્ધતિએ તમિલનાડુના લોકોમાં એક નવો વિશ્વાસ જગાડ્યો છે. ભાજપ અને તેના સાથી પક્ષો આ વખતે ગ્રાઉન્ડ લેવલ પર જે તાકાત બતાવી રહ્યા છે, તેણે વિપક્ષી છાવણીમાં ફફડાટ ફેલાવી દીધો છે. ૨૩ એપ્રિલના રોજ જ્યારે જનતા મતદાન મથક પર જશે, ત્યારે તેમના મનમાં પીએમ મોદીના શબ્દો – “તમિલનાડુનો વિકાસ એ ભારતનો વિકાસ છે” – ચોક્કસપણે ગુંજશે. જો તમિલનાડુ પરિવર્તનનો માર્ગ પસંદ કરે છે, તો તે માત્ર એક રાજ્યની જીત નહીં હોય, પણ પીએમ મોદીના ’રાષ્ટ્રવાદ અને વિકાસવાદ’ના વિજયની મોટી મહોર હશે. હવે જનતાના હાથમાં છે કે તેઓ જૂની રૂઢિચુસ્ત રાજનીતિને સ્વીકારે છે કે પછી પીએમ મોદીના નેતૃત્વમાં એક નવી, આધુનિક અને સમૃદ્ધ તમિલનાડુની ગાથા લખે છે.
નરેન્દ્ર જોષી

